
Trump: આખરે યુએસ સુપ્રીમ કોર્ટે આજે શુક્રવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્લોબલ ટેરિફને રદ કર્યો હતો.અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા બીજા દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા હતા.જેમાં કોર્ટે ભારત પર લાદવામાં આવેલા 18% રેસિપ્રોકલ ટેરિફને પણ ગેરકાયદેસર જાહેર કર્યો છે.
સુપ્રીમ કોર્ટે 6-3 બહુમતીના ચુકાદામાં કહ્યું કે બંધારણ હેઠળ રાષ્ટ્રપતિને ટેરીફ લાદવાનો કોઈ અધિકાર નથી પણ કોંગ્રેસ (સંસદ)ને જ ટેક્સ અને ટેરિફ લાદવાનો અધિકાર છે.બીજી તરફ ટેરિફ સુનાવણી દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે જો તેઓ કેસ હારી જશે તો દેશ બરબાદ થઈ જશે.કોર્ટના આ નિર્ણયને ટ્રમ્પની આર્થિક નીતિઓ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
એપ્રિલ 2025માં, રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપતા, ટ્રમ્પે ઘણા દેશોમાંથી આયાત થતી વસ્તુઓ પર ભારે ટેરિફ અથવા આયાત ડ્યુટી લાદી હતી.ટેરિફ એ દેશમાંથી આયાત થતી વસ્તુઓ પર વધુ ટેક્સ લાદવાની પ્રથા છે, જે તેમને વધુ મોંઘા બનાવે છે અને સ્થાનિક કંપનીઓને ફાયદો પહોંચાડે છે.
■ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે શું થશે જાણો
● ટ્રમ્પના ટેરિફ હટાવવામાં આવશે.
● યુએસએ કંપનીઓને પૈસા પાછા આપવા પડી શકે છે.
● યુએસને માલ વેચવામાં વિશ્વભરના દેશોને રાહત મળશે.
● ભારત, ચીન અને યુરોપના નિકાસકારોને ફાયદો થશે.
● ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે.
●શેરબજારોમાં તેજી આવી શકે છે.
● વિશ્વ વેપાર વધુ સ્થિર બની શકે છે.
આ ચુકાદાથી બધા ટેરિફ નાબૂદ નહીં થાય
કોર્ટના આદેશથી ટ્રમ્પના બધા ટેરિફ નાબૂદ થતા નથી.સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના ટેરિફ અલગ કાયદા હેઠળ લાદવામાં આવ્યા હતા, તેથી તે અમલમાં રહેશે.જોકે, ટેરિફની બે મુખ્ય કેટેગરી સ્થગિત કરવામાં આવી છે. પ્રથમ કેટેગરી પારસ્પરિક ટેરિફ છે જે ટ્રમ્પે વિવિધ દેશો પર લાદ્યા હતા. આમાં ચીન પર 34% બેઝલાઇન ટેરિફ અને બાકીના વિશ્વ માટે 10% બેઝલાઇન ટેરિફનો સમાવેશ થાય છે. કોર્ટના નિર્ણયથી આ ટેરિફને અમાન્ય કર્યા છે.
બીજી કેટેગરીમાં 25% ટેરિફ છે જે ટ્રમ્પે કેનેડા, ચીન અને મેક્સિકોથી અમુક માલ પર લાદ્યો હતો.વહીવટીતંત્રે દલીલ કરી હતી કે આ દેશોએ યુનાઇટેડ સ્ટેટ્સમાં ફેન્ટાનાઇલની દાણચોરી અટકાવવા માટે પૂરતા પગલાં લીધા નથી. કોર્ટના નિર્ણયથી આ 25% ટેરિફને પણ અમાન્ય ઠેરવ્યો હતો.
■ ટ્રમ્પે ટેરીફ માટે 49 વર્ષ જૂના કાયદાનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું.
ટ્રમ્પના ટેરિફ મામલામાં ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) નામનો કાયદો છે. આ કાયદો 1977માં ઘડવામાં આવ્યો હતો.તેનો હેતુ દેશ માટે ગંભીર ખતરો, જેમ કે યુદ્ધ જેવી પરિસ્થિતિ, વિદેશી દુશ્મન તરફથી મોટો આર્થિક ખતરો, અથવા અસાધારણ આંતરરાષ્ટ્રીય કટોકટીની સ્થિતિમાં રાષ્ટ્રપતિને ચોક્કસ સત્તાઓ આપવાનો હતો.
આ સત્તાઓ હેઠળ, રાષ્ટ્રપતિ વિદેશી વ્યવહારો પર ચોક્કસ આર્થિક નિર્ણયો પર પ્રતિબંધ, નિયમન અથવા તાત્કાલિક અમલ કરી શકે છે. ટ્રમ્પે ટેરિફ લાદવા માટે IEEPAનો ઉપયોગ કર્યો હતો.આમ,આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા ટેરીફ ગેરકાયદે જાહેર કરાતા અન્ય દેશોએ હાશકારો લીધો છે.








