
અભિનેતા અલ્લુ અર્જુનના હૈદરાબાદ સ્થિત ઘરની બહાર પ્રદર્શન કરવા મામલે ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન મળ્યા છે. કોર્ટે તમામ આરોપીઓને જામીન આપ્યા છે. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ બીએનએસની કલમ 331 (5), 190, 191 (2), 324(2), 292, 126 (2), 131 હેઠળ કેસ નોંધ્યો હતો. સોમવારે આ તમામને મેજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે પોલીસની રિમાન્ડની માંગને ફગાવી દીધી હતી અને તમામને 10 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન પર છોડી મુક્યા હતા.
અલ્લુ અર્જુન વિરૂદ્ધ લગાવ્યા હતા નારા
મળતી માહિતી અનુસાર એક્ટર અલ્લુ અર્જુનના હૈદરાબાદના જુબલી હિલ્સ સ્થિત ઘરની બહાર રવિવારે ઉસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને અલ્લુ અર્જુન વિરૂદ્ધ નારા લગાવ્યા હતા અને સજાની માંગ સાથે પીડિત પરિવારને વધુ વળતર આપવાની માંગ કરી હતી.
અલ્લુ 1 કરોડ રૂપિયા વળતર આપે તેવી માંગ

મળતી માહિતી અનુસાર, જ્યારે સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને એક્ટરના ઘરની અંદર ટામેટા ફેક્યા હતા અને બહાર રહેલા છોડના કુંડાને તોડી નાખ્યા હતા. આ સાથે જ કેટલાક સુરક્ષાકર્મીઓ સાથે મારામારી પણ કરી હતી. કહેવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં ભાગદોડમાં મૃત્યુનો ભોગ બનેલી મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયા વળતર આપવાની માંગ કરી રહ્યાં હતા.
શું છે સમગ્ર મામલો
4 ડિસેમ્બર, 2024માં પુષ્પા-2 ફિલ્મની સ્ક્રીનિંગ માટે અલ્લુ અર્જુન પોતાની ટીમ સાથે સંધ્યા થિયેટર પહોંચ્યા હતા. આ દરમિયાન ભીડ અલ્લુ અર્જુનને જોવા માટે ભેગી થઇ હતી. અલ્લુ અર્જુન થિયેટરની અંદર ફિલ્મ જોઇ રહ્યો હતો, આ દરમિયાન બહાર ભાગદોડમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો 8 વર્ષીય પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે બાદ અલ્લુ અર્જુન વિરૂદ્ધ કેટલાક લોકો પ્રદર્શન કરી રહ્યાં છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે. અલ્લુ અર્જુન અત્યારે જામીન પર બહાર છે. જેથી પ્રદર્શનકારીઓએ 22 ડિસેમ્બરે અભિનેતા અલ્લુ અર્જુનના જ્યુબિલી હિલ્સના ઘરમાં તોડફોડ કરી હતી. જેમાં કરનારા 6 આરોપીઓને જામીન મળી ગયા છે. આજે સવારે તેને હૈદરાબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આરોપીના વકીલે દલીલ કરી હતી કે આરોપીઓ અભિનેતાના ઘરે શાંતિપૂર્ણ વિરોધ કરવા ગયા હતા પરંતુ ત્યાં હાજર પોલીસકર્મીઓએ તેમના પર હુમલો કર્યો હતો. આ પછી આરોપીએ જે કંઈ કર્યું તે સ્વબચાવમાં માટે કર્યું. વકીલની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે તમામ 6 આરોપીઓને જામીન આપ્યા હતા.