
Ahmedabad News: આજ રોજ સમી સાંજે અમદાવાદના વાસણા વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં એક સ્કોર્પિયો કાર ખાબકી હોવાની વિગતો સામે આવી રહી છે. ઘટનામાં કારમાં સવાર 3થી 4 લોકો તણાયા હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવતા જમાલપુર, પ્રહલાદનગર અને અસલાલી ફાયર સ્ટેશનની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિકો દ્વારા દોરડાની મદદથી ગાડીમાં રહેલા લોકોને શોધવાની કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ કેનાલમાં પાણીનું વહેણ વધારે હોવાના કારણે કેનાલમાંથી પાણીનો પ્રવાહ પણ બંધ કરવાની ફરજ પડી હતી.
ધ ગુજરાત રિપોર્ટના નિયમિત વાચકે જણાવેલી માહિતી અનુસાર, અમદાવાદના વાસણા વિસ્તારમાં એક કેનાલ પસાર થાય છે. જેના પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. આ કેનાલમાં તા. 5 માર્ચના રોજ સમી સાંજના સમયે એક સ્કોર્પિયો કાર ખાબકી હતી.
કાર કેનાલમાં ખાબકતાં આસપાસના લોકોમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે કારમાં સવાર 3થી 4 જેટલાં લોકો કારનો દરવાજો ખોલી બહાર આવી શક્યા હતાં. પરંતુ, કેનાલમાં પાણીના પ્રવાહનો વેગ તેજ હોવાને કારણે તેઓ તણાઈને આગળ નિકળી ગયાં હતાં.
બનાવ અંગે કોઈ સ્થાનિકે જાણ કરતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. આ ઉપરાંત, પોલીસ કર્મીઓ પણ આવી પહોંચ્યા હતાં. તેઓએ કારને કેનાલમાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. તેમજ તણાયેલા લોકોની જાણકારી પ્રાપ્ત કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
હાલના તબક્કે એ માહિતી પ્રાપ્ત થતી નથી કે કાર અકસ્માતે કેનાલમાં ખાબકી? કે પછી કારચાલક નશામાં હોવાને કારણે અકસ્માત સર્જાયો? જે પણ વિગતો છે એ પોલીસની તપાસમાં સામે આવશે. હાલ તો, કારમાંથી બહાર નિકળ્યા બાદ તણાયેલાં લોકો હેમખેમ છે કે કેમ? તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Kheda Crime: નડિયાદમાં ત્રણનો જીવ લેનાર શિક્ષકનું રિકન્સ્ટ્રક્શન, સોડામાં ઝેર નાખી પાડોશી પર અખતરો કર્યો