
મહાનગર પાલિકાના ટેક્નિકલ સુપરવાઇઝર નિમણૂકમાં ગેરરીતિ થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. રિઝલ્ટના માર્ક્સમાં ચેડા કરી ત્રણ લોકોની ખોટી ભરતી કરી દેવાના કેસમાં એક નવું અપડેટ સામે આવ્યો છે. આ કેસમાં એએમસી પોતે ફરિયાદી બની શકે છે. તો આજે પોલીસને સાથે રાખીને જરૂરી દસ્તાવેજો ચકાસીને હાર્ડ ડિસ્ક કબજે કરી છે.
AMC દ્વારા રિઝલ્ટના માર્ક્સમાં ચેડા કરનાર સિનિયર ક્લાર્ક પુલકિત સથવારાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને ત્રણ લોકોની ખોટી ભરતીના પગલે તેઓની નિમણૂક રદ કરી દેવામાં આવી છે. આ કેસમાં AMC જ ફરિયાદી બનીને પુલકિત સથવારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.
સહાયક ટેકનીકલ સુપરવાઇઝરની ભરતીની પરીક્ષા આપનાર એક ઉમેદવારે જ આ ભરતીમાં કૌભાંડ અંગેનો મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જાણકારી આપી હતી. પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ઉમેદવાર ગેરલાયક હોવા છતાં પણ તેને ફાઇનલ મેરીટ લીસ્ટમાં સ્થાન મેળવીને ખોટી રીતે નિમણૂક મેળવી છે.
આ પત્ર મળ્યા પછી ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવામાં આવેલી હતી. જેની OMR આન્સરશીટને તાત્કાલિક ધોરણે તપાસવાની શરૂઆત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, આ ભરતીમાં 5955 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.
આ પણ વાંચો-9 મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે જિલ્લા કલેકટરને કાર્યભાર સોંપાયો
સેન્ટ્રલ ઓફિસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, જે ફાઇનલ મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું તે ફાઇનલ મેરીટ લીસ્ટમાં એક વ્યક્તિના ફાઇનલ મેરીટ લીસ્ટમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળ્યો હતો. જેથી કોઈ વ્યક્તિએ આ સમગ્ર ફાઇનલ મેરીટ લીસ્ટમાં માર્કસમાં ચેડા કર્યા હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું.
એક ઉમેદવારમાં જો આવી ગેરરીતિ કરવામાં આવી હોય તો અન્યમાં પણ કરવામાં આવી હોઈ શકે, જેથી તમામ 595ના ફાઇનલ માર્કને આન્સરશીટ અને ફાઇનલ મેરીટ લીસ્ટ માર્ક સાથે સરખાવવામાં આવ્યાં હતા. જેમાં અરજી ક્રમાક નં. 569, નામ: તમન્નાકુમારી દિનેશભાઈ પટેલ, અરજી ક્રમાક નં. 3206, નામ: મોનલ હીરેન લિંબાચીયા તથા અરજી ક્રમાક નં.11824, નામ: જય અશોકભાઈ પટેલ નામના ઉમેદવારોના માર્ક્સ વધુ જણાયા હતા.
જેમાં તમન્નાકુમારી પટેલના 77 માર્ક્સ, મોનલ લિંબાચીયાના 85 માર્કસ અને જય પટેલના 85.25 માર્ક હોવાનું સામે આવ્યું હતું. જો કે, ગુજરાત યુનિવર્સિટી પાસેથી જે આન્સર સીટ મંગાવી હતી, તેમાં તમન્નાકુમારી પટેલના 18.50 તથા મોનલ લિંબાચીયાના 18.25 તથા જય પટેલના 19.25 માર્કસ હોવાનુ સામે આવ્યું હતું.
આ પણ વાંચો-નીતિશ કુમાર-તેજસ્વી યાદવ વચ્ચે રાજભવનમાં ભેટ; બિહારના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ