
- ખ્યાતિ કાંડ: ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ; મુખ્ય આરોપીઓમાંથી છે એક
અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ ટીમે મોડી રાતે અમદાવાદ એરપોર્ટ પરથી ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલને ઝડપી પાડ્યા હતા. તે છેલ્લા ઘણાં મહિનાઓથી ફરાર હતા. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ અનેક લોકોની ધરપકડ કરી ચૂકી છે. જોકે મુખ્ય આરોપી ગણાતા ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર જ ઘણાં સમયથી ફરાર ચાલી રહ્યા હતા. તે વિદેશ નાસી ગયાની માહિતી હતી. જોકે આખરે અમદાવાદ પોલીસને તેને ઝડપી પાડવામાં સફળતા મળી.
મહત્ત્વનું એ છે કે ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ નાગરિકોના ટપોટપ મોત બાદ ખ્યાતિ ગ્રૂપના ડિરેક્ટર અને ચેરમેન સામે તપાસ હાથ ધરી હતી. જેના બાદથી કાર્તિક પટેલ વિદેશ રફુચક્કર થઈ ગયો હતો. તેણે આગોતરા જામીન માટે અરજી પણ કરી હોતી જોકે તે ફગાવી દેવાતા આખરે આત્મસમર્પણ કરવા સિવાય તેની સામે કોઈ વિકલ્પ રહ્યો નહોતો તેવું લાગી રહ્યું છે.
થોડા દિવસો પહેલા ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટો ખુલાસો કર્યો હતો. જેમાં ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યાની માહિતી અપાઈ હતી અને તેમાં 112 દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત નિપજ્યાનો દાવો કરાયો હતો.
આરોપીઓ દ્વારા દર્દીઓની સારવાર દરમિયાન યોગ્ય તકેદારી ન રાખવામાં આવતી હોવાનું તપાસમા સામે આવ્યું હતું. જેથી 112 દર્દીઓના શંકાસ્પદ મરણ માટે હોસ્પિટલની બેદરકારી જવાબદાર હોવાની શક્યતાને પગલે ક્રાઈમ બ્રાન્ચ અને મેડિકલ એક્સપર્ટ કમિટી દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવશે.
ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બોરીસણા બે દર્દીઓના એન્જિયોપ્લાસ્ટીની સર્જરી દરમિયાન મોત થયા હતા. ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલના તબીબો, સીઇઓ અને ડિરેક્ટરો વિરૂદ્ધ દાખલ થયેલા ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઇ હતી. ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાંથી મળી આવેલા પીએમજેએવાય હેઠળ થયેલા ઓપરેશનના દસ્તાવેજો, આરોગ્ય વિભાગ પાસેથી મળેલા વિગતોની તપાસ કરતા અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે.
આ પણ વાંચો- ઉત્તર ભારત હાડ થિજવતી ઠંડીમાં ઠૂંઠવાયું; આબુમાં પારો પહોંચ્યો 0.8 ડિગ્રી