
કુંભ સ્નાન મામલે રાહુલ ગાંધીને ઘેરવા ગયેલી ભાજપ જ ફસાઈ ગઈ
પ્રયાગરાજ ખાતેનો કુંભ મેળો હવે સમાપ્ત થઈ ચૂક્યો છે પરંતુ આ બાબતે રાજકીય વાગ્યુદ્ધ ચાલુ છે. ભાજપે રાહુલ, પ્રિયંકા કે સોનિયા ગાંધી પણ કુંભ મેળામાં સ્નાન માટે ગયાં નથી અને આ રીતે તેમનો હિંદુ ચહેરો સામે આવ્યો છે તેવી સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી હતી.
હવે વિપક્ષો એવો સવાલ કરી રહ્યા છે કે એમ તો આરએસએસના વડા મોહન ભાગવત પણ કુંભ સ્નાન માટે ક્યાં ગયા છે ? ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ પહેલાંના વર્ષોમાં કુંભ સ્નાન માટે પહોંચ્યા હોય તેવી તસવીરો કેમ નથી.
ભાજપ દ્વારા પાછલા કેટલાક દિવસોમાં કોંગ્રેસને હિંદુ વિરોધી દર્શાવવા માટે કુંભ મેળા તથા રામ મંદિર સહિતના મુદ્દે સોશિયલ મીડિયા પોસ્ટ થઈ રહી છે. ભાજપના નેતાઓ પણ જાહેરમાં આ વિશે ઉચ્ચારણો કરી રહ્યા છે.
જોકે, કોંગ્રેસને ઘેરવા જવાના પોતાના નિવેદનો પોતાના ઉપર જ ભારે પડી રહ્યા છે. વિપક્ષી નેતાઓ ઉપરાંત સોશિયલ મીડિયા પર અન્ય લોકો પણ ભાજપના કયા કયા નેતાઓ કુંભ સ્નાન માટે પહોંચ્યા નથી તેની યાદી ફેરવી રહ્યા છે.