
Gujarat News: પાટીદાર અનામત આંદોલન મામલામાં રાજદ્રોહના કેસ પરત ખેંચી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા,અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ સામે નોંધાયેલ રાજદ્રોહ સહિતના કેસો સરકારે પરત ખેંચ્યા છે.
અંતે સરકારે હાર્દિકને આપેલું વચન પાળ્યું છે. હાર્દિક પટેલ સહિત અનેક લોકો સામે થયેલા કેસ પાછા ખેંચ્યા છે. હાર્દિક પટેલ હાલ ભાજપ પાર્ટીમાંથી ધારાસભ્ય છે.
દિનેશ બાંભણીયાએ ટ્વીટ પર આ માહિતી આપી છે. તેમણે મુખ્યમંત્રીને આભાર વ્યક્ત કરી પોસ્ટ શેર કરી છે. 14 જેટલા કેસ પરત ખેંચાઈ તેવી શક્યાતો છે. જો કે હજુ સુધી સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત થઈ નથી.
હાર્દિક પટેલે શું કહ્યું?
હાર્દિક પટેલે X પર લખ્યું આજે, ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના ઘણા યુવાનો સામે દાખલ કરાયેલા ગંભીર રાજદ્રોહના કેસ સહિતના કેસો પાછા ખેંચી લીધા છે. સમાજ વતી, હું ગુજરાતની ભાજપ સરકારનો ખાસ આભાર માનું છું.
પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં બિન-અનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના થઈ, 1000 કરોડ રૂપિયાની યુવા સ્વાવલંબન યોજના લાગુ કરવામાં આવી અને દેશમાં ઉચ્ચ જાતિઓને આર્થિક ધોરણે 10% અનામતનો લાભ મળ્યો. હું ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું.
શું હતી ઘટના?
વર્ષ 2015માં GMDC ગ્રાઉન્ડમાં હાર્દિક પટેલે મોટી રેલીનું આયોજન કર્યું હતું. જેમાં લાખોની સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. ધરણા યોજવાની જાહેરાત થતા જ પોલીસે ટોળાને વિખેરવા લાઠીચાર્જ કર્યો હતો અને હાર્દિક પટેલની અટકાયત થતા રાજ્યભરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ આંદોલન હિંસક બન્યું હતું. જેમાં કેટલીક સરકારી મિલકતોને નુકસાન થયું હતુ. ત્યારબાદ રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલનના કેટલાક આંદોલનકારીઓ પર કેસો કર્યા હતા. જેમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા,અલ્પેશ કથીરિયા, ચિરાગ પટેલ સામે રાજદ્રોહ સહિતના કેસો થયા હતા.