
Dahod News: દાહોદના સંજેલી તાલુકામાં ઢાલસીમળ ગામે તાજેતરમાં એક 35 વર્ષિય મહિલા સાથે ક્રૂર અત્યાચાર ગુજારાયો હતો. મહિલાના પોતાના ઘરના જ પરિવારના સભ્યોએ અર્ધનગ્ન કરી સમગ્ર ગામમાં ફેરવી હતી. આ ઘટના અંગે ખુદ હાઈકોર્ટે પણ સુઓમોટો લીધી છે. ત્યારે મહિલા સન્માનભેર જીવી શકે તે માટે પોલીસે મદદ કરી છે. પોલીસે મહિલાને શાકભાજી અને ફળની દુકાન શરૂ કરી આપી છે.
‘આત્મ ગૌરવ’ નામની દુકાન શરૂ કરાવી
પીડિત મહિલાને ફતેપુરા બસ સ્ટેન્ડ નજીક ‘આત્મ ગૌરવ’ નામની શાકભાજી અને ફળની દુકાન શરૂ કરાવી છે. દુકાન માટે 11 માસનો કરાર કરવામાં આવ્યો છે. દુકાનનું ભાડું દાહોદ પોલીસે પોતાના સ્વભંડોળમાંથી 11 માસ માટે એડવાન્સમાં ચૂકવી દીધું છે. મહિલાને એક મહિના માટે પૂરતું શાકભાજીનું માલસામાન પણ પૂરો પાડવામાં આવ્યો છે. દાહોદના જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલા અને ડીવાયએસપી ડી.આર.પટેલે આ દુકાનનું ઉદ્યાટન કર્યું હતું. પોલીસની આ કામગીરીની ચર્ચા થઈ રહી છે.
પોલીસ ટીમ મહિલાને મળતી રહેશે
મહિલાની સુરક્ષા માટે શાકભાજીની દુકાનમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાની ફતેપુરા પોલીસ સ્ટેશનની SHE ટીમ દુકાનની મુલાકાત લેતી રહેશે. દર અઠવાડિયે મુલાકાત લઈને મહિલાની પુછપરછ કરશે. કોઈ સતામણી ન થાય એ માટે CCTV કેમેરા પણ નાખી આપવામાં આવ્યા છે.
હાઈકોર્ટમાં થશે સુનાવણી
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની બેન્ચ દ્વારા આ અરજી રિફર કરાઈ છે. 12 ફેબ્રુઆરીએ આ વિશે વધુ સુનાવણી હાથ ધરાશે. જેમાં એક્શન ટેકન રિપોર્ટમાં રાજ્ય સરકાર જવાબ આપશે. આ સમગ્ર ઘટના અંગે કોઈ નેતા બોલ્યા નથી. સાથે જ સરકાર પર સવલો ઉભા થયા છે. સરકારને હાઈકોર્ટમાં જવાબો આપવા પડી શકે છે.
આ પણ વાંચોઃ નાણામંત્રીને પ્રશ્ન; અમેરિકા ટેરિફ લગાવશે તો શું કરશો? જાણો શું જવાબ મળ્યો
શું હતી ઘટના?
મહિલાને ગામના જ ગોવિંદ લાલસિંગભાઇ રાઠોડ સાથે પ્રેમસબંધ હતો. જેથી 28 જાન્યુઆરીના રોજ પરિણીતાના સાસરિયાઓએ ગોવિંદના ઘરમાંથી મહિલાને કાઢી માનવતાને પણ લજવે તે રીતે માર માર્યો હતો. સાસરી પક્ષના જ 15 જેટલાં લોકોએ ઘરમાંથી ખેંચીને બહાર કાઢી હતી. મહિલાને માર મરાયો હતો. ત્યારબાદ તેને નિર્વસ્ત્ર કરી સાંકળથી બાઈક સાથે બાંધવામાં આવી હતી. અને પછી એ જ અવસ્થામાં ગામમાં ફેરવવામાં આવી હતી. મહિલા આજીજી કરતી રહી પણ કોઈએ છોડી ન હતી.
આ પણ વાંચોઃ Delhi Elections: રાહુલ ગાંધીએ મતદાન કર્યું, મનીષ સિસોદિયાએ કાલકાજી મંદિરમાં પૂજા કરી