
- યુપીમાં દિહુલી હત્યાકાંડ: 24 દલિતોની હત્યાના કેસમાં 44 વર્ષ પછી ત્રણ આરોપીઓ દોષિત
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના દિહુલી ગામમાં 1981માં 24 દલિતોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હવે, આ ઘટનાના 44 વર્ષ પછી મૈનપુરીની એક કોર્ટે આ કેસમાં ત્રણ લોકોને દોષિત ઠેરવ્યા છે, જેમને 18 માર્ચે સજા સંભળાવવામાં આવશે.
દિહુલી ફિરોઝાબાદ જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટર દૂર છે. પહેલા તે મૈનપુરી જિલ્લાનો એક ભાગ હતું.
દિહુલી ગામના પીડિત સંજય ચૌધરીએ બીબીસી હિન્દીને જણાવ્યું હતુ કે “ન્યાય થયો પરંતુ પણ ખૂબ જ વિલંબ થયો, આરોપીઓએ પોતાનું જીવન જીવી લીધું છે. આ નિર્ણય વહેલો આવ્યો હોત તો સારું થાત.
સંજય ચૌધરીના પિતરાઈ ભાઈની પણ હત્યા કરવામાં આવી હતી.
આ ઘટનામાં કુલ 17 આરોપીઓ હતા, જેમાંથી 13ના મોત થયા છે. 11 માર્ચે નિર્ણય આવે તે પહેલાં જામીન પર મુક્ત થયેલા આરોપી કેપ્ટન સિંહ એડીજે (સ્પેશિયલ રોબરી સેલ) ઇન્દ્ર સિંહની કોર્ટમાં હાજર થયા.
કોર્ટે કેપ્ટન સિંહ રામસેવક અને રામપાલ નામના ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને હવે તેમને 18 માર્ચે સજા સંભળાવવામાં આવશે. અન્ય એક આરોપી જ્ઞાનચંદ્રને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.
મૈનપુરી જેલમાં બંધ રામસેવકને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે ત્રીજા આરોપી રામપાલે હાજર ન રહેવા બદલ માફી માંગી હતી પરંતુ તેની અપીલ ફગાવી દેવામાં આવી હતી અને તેની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે.
ફરિયાદ પક્ષના વકીલ રોહિત શુક્લાએ જણાવ્યું હતું કે, “કોર્ટે આરોપીઓને કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ), 216 (આરોપીને આશ્રય આપવો), 120 B (ગુનાહિત કાવતરું), 449-450 (ઘરમાં પ્રવેશ અને ગુનો કરવો) હેઠળ દોષિત ઠેરવ્યા છે.”
કોર્ટના ચુકાદા પછી પીડિત પરિવારના એક સભ્ય નિર્મલા દેવીએ જણાવ્યું હતું કે, “ગામમાં હજુ પણ ગભરાટ છે.” આ હત્યાકાંડમાં નિર્મલા દેવીના બે પિતરાઈ ભાઈઓ માર્યા ગયા હતા.
18 નવેમ્બર 1981ના રોજ ફિરોઝાબાદથી લગભગ 30 કિમી દૂર જસરાણા શહેરના દિહુલી ગામમાં 24 દલિતોની હત્યા કરવામાં આવી હતી. આ માટે ડાકુ સંતોષ, રાધે અને તેમની ગેંગ પર દોષારોપણ કરવામાં આવ્યું હતું.
પોલીસ ચાર્જશીટ મુજબ, સામૂહિક હત્યાકાંડને અંજામ આપનારા મોટાભાગના આરોપીઓ ઉચ્ચ જાતિના હતા. પોલીસના જણાવ્યા અનુસાર, અગાઉ કુંવરપાલ પણ સંતોષ અને રાધે સાથે આ જ ગેંગમાં હતો.
કુંવરપાલ દલિત સમુદાયનો હતો અને તેની મિત્રતા ઉચ્ચ જાતિની એક મહિલા સાથે હતી, જે સંતોષ અને રાધેને પસંદ ન હતું, જેઓ પોતે પણ ઉચ્ચ જાતિના હતા. અહીંથી જ દુશ્મનાવટ શરૂ થઈ હતી.
આ પછી કુંવરપાલની શંકાસ્પદ સંજોગોમાં હત્યા કરવામાં આવી હતી.
જે બાદ પોલીસે કાર્યવાહી કરી અને સંતોષ-રાધે ગેંગના બે સભ્યોની ધરપકડ કરી અને તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા.
સંતોષ, રાધે અને અન્ય આરોપીઓને શંકા હતી કે તેમની ગેંગના આ બે સભ્યોની ધરપકડ પાછળ વિસ્તારના જાટવ જાતિના લોકોનો હાથ હતો, કારણ કે પોલીસે આ ઘટનામાં જાટવ જાતિના ત્રણ લોકોને સાક્ષી તરીકે રજૂ કર્યા હતા. પોલીસ ચાર્જશીટ મુજબ, આ દુશ્મનાવટ દિહુલી હત્યાકાંડ તરફ દોરી ગઈ હતી.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, સંતોષ-રાધે ગેંગના 14 સભ્યો પોલીસ વર્ધીમાં દલિત બહુમતી ધરાવતા દિહુલી ગામમાં પહોંચ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ગોળીબાર સાંજે સાડા ચાર વાગ્યે શરૂ થયો અને ચાર કલાક સુધી ચાલુ રહ્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયો હતો.
તે સમયે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વિશ્વનાથ પ્રતાપ સિંહ હતા. આ ઘટના પછી તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ દિહુલી ગામની મુલાકાત લીધી હતી. આ ઘટના બાદ વિપક્ષે સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. તે સમયે વિપક્ષી નેતા બાબુ જગજીવન રામે પણ આ ગામની મુલાકાત લીધી હતી.
ભૂપ સિંહ આ ઘટનાના સાક્ષી હતા અને તે સમયે તેમની ઉંમર 25 વર્ષ હતી.
ભૂપસિંહ જે હવે 70 વર્ષના છે, કહે છે કે આ ઘટના પછી દલિત સમુદાયના લોકો દિહુલી ગામમાંથી સ્થળાંતર કરવા લાગ્યા હતા, પરંતુ સરકારના આદેશથી વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓએ ગામમાં પડાવ નાખવાનું શરૂ કર્યું. ઘટના પછી પોલીસ અને પીએસી ઘણા મહિનાઓ સુધી ગામમાં તૈનાત રહ્યા અને લોકોને ગામમાં રહેવાની અપીલ કરી હતી. આ કેસ 1984માં હાઈકોર્ટના આદેશ પર અલ્હાબાદની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી 1984 થી ઓક્ટોબર 2024 સુધી ચાલી હતી.
આ પછી કેસ ફરીથી મૈનપુરી લૂંટ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.