
Dwarka: દ્વારકામાં શિવરાત્રીને એક જ દિવસ આડો છે. ત્યારે અહીં આવેલા એક પૌરાણિક મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ચોરાઈ ગયું છે. જેથી ભક્તોમાં રોષ જોવા મળ્યો છે. દ્વારકામાં હર્ષદ દરિયાકિનારે આવેલ ભીડભંજન મહાદેવમાંથી શિવલિંગ ચોરાયું છે. શિવલિંગ ગાયબ થવાની ઘટના સામે આવ્યા બાદ તંત્ર એલર્ટ થતાં તાત્કાલિક પોલીસ જવાનો ભીડભંજન મંદિર પર પહોંચી તપાસ હાથ ધરી છે.
સ્થાનિક લોકો માટે ભીડ ભંજન મહાદેવ “છોટા સોમનાથ ” જેવું જ છે. શ્રાવણ માસમાં મંદિર પર મહાદેવના ભક્તોના ભારે ધસારો રહે છે. ખાસ કરીને સવાર, બપોર અને સાંજની આરતી તેમજ ભસ્મ આરતીનો લહાવો લેવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટે છે. ત્યારે આવું હિન કૃત્ય આચરનાર અજાણ્યા શખ્સો વિરુધ્ધ શિવભક્તોમાં રોષ ભભૂક્યો છે.
આવતીકાલે શિવરાત્રી
ઉલ્લેખનીય છે કે આવતીકાલે 26 ફેબ્રુઆરીના રોજ શિવરાત્રીનો તહેવાર છે. મહા મહિનામાં આવતી શિવરાત્રીનું હિંદુ પરંપરામાં વિશેષ માહાત્મ્ય છે. આ દિવસે મહાદેવ ભક્તો શિવમંદિરમાં વહેલી સવારથી પૂજા અર્ચના કરવા આવે છે. જો કે હવે શિંવલિંગ ચોરતાં ભક્તોને પૂજા અને દર્શન કરવામાં મુશ્કેલી પડશે. હાલ પોલીસે શિવલિંગને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધર્યા છે.
દોઢ વર્ષ પૂર્વે અહીં કરાયા હતા દબાણો દૂર
ઉલ્લેખનીય છે કે, દોઢ વર્ષ પહેલાં આ વિસ્તારમાં દરિયા કિનારે આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે આ એક મંદિર દરિયા કિનારે રહી ગયું હતું. આ મંદિર ઘણું જૂનું અને પૌરાણિક છે, અને સ્થાનિકોમાં તેની ખૂબ જ શ્રદ્ધા છે.
આ પણ વાંચોઃ Kheda: નડિયાદમાં સિટી બસ સેવા 63 દિવસમાં જ બંધ: પૂરા 3 મહિના પણ ન ચાલી, પાર્સિંગનું બહાનું કાઢ્યું
આ પણ વાંચોઃ શું સરકારે SC, ST, OBC અને લઘુમતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે?