
- રાજકોટના માલિયાસણ નજીક ગમખ્વાર અકસ્માત; ઘટના સ્થળે જ પાંચ લોકોના મોત
રાજકોટના માલિયાસણ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. ઘટનાની જાણ થતાં જ પાંચ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ત્યાં દોડી આવ્યો છે. અકસ્માત એટલો ગંભીર છે કે, ટ્રકની અડફેટે ચડતા રિક્ષાના ફૂરચે-ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માત થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા છે.
અકસ્માત અંગે મળતી વિગતો મુજબ, ઘટનામાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે બે લોકો રિક્ષાની અંદર ફસાઈ ગયા છે. હાલ બંને લોકોને બચાવવા માટે બચાવની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત માલીયાસણ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો અકસ્માતમાં ભોગ બનેલાઓની મદદે આવ્યા છે.
આ પહેલા મોડી રાત્રે દ્વારકા-પોરબંદર રોડ પર અકસ્માત થયો હતો. કર્ણાટકથી શ્રદ્ધાળુઓ ભરીને ઉપડેલી બસ સોમવારે મોડી રાત્રે પોરબંદર-દ્વારકા હાઇવે પર કુછડી ગામ નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. આ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે 7 જેટલા લોકોને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
આ પહેલા દાદરા નગર હવેલીમાં એસ.ટી. બસે સર્જેલા અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. સેલવાસથી વાપી તરફ જઈ રહેલી આ બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ રોંગ સાઇડમાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન સામેથી મોપેડ પર આવતાં બે લોકોને બસે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ ગોજારા અકસ્માતમાં લવાસાના બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતાં.
આ પણ વાંચો- આઉટસોર્સિંગ-કોન્ટ્રાક્ટ પ્રથાને નામે રાજ્યના યુવાનોનું શોષણ: અમિત ચાવડા