
- ઉત્તરાખંડનાં ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યું: 57 મજુરો દટાયા; જમ્મુ-કાશ્મીરમાં માતા-પુત્રનું મોત
ઉત્તરાખંડના ચમોલીમાં હિમપ્રપાતના સમાચાર છે. અહેવાલો અનુસાર, શુક્રવારે બપોરે ચમોલીમાં હિમપ્રપાત થયો હતો. આમાં, ચમોલી-બદ્રીનાથ હાઇવેના નિર્માણ કાર્યમાં રોકાયેલા 57 મજૂરો દટાયા હતા.
આ ઘટના ચમોલીના માના ગામમાં બની હતી, જ્યાં હાઇવેનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન બપોરે અહીં ગ્લેશિયર તૂટી પડ્યું હતુ. તે સમયે રસ્તા પર કામ કરતાં મજૂરો બરફ નીચે દટાઈ ગયા હતા. 10 લોકોને બરફ નીચેથી કાઢી લેવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરની અન્ય એક ઘટનામાં માતા-પુત્રનું મોત
જમ્મુ અને કાશ્મીરમાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. શુક્રવારે વહેલી સવારે ઉધમપુર જિલ્લાના માઉંગરી નજીક એક ટેકરી પરથી હિમવર્ષાના કારણે પથ્થર પડતાં માતા અને પુત્રનું મોત થયું હતું. કઠુઆ જિલ્લાના રાજબાગ વિસ્તારમાં ઉઝ નદીમાંથી 11 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને નિક્કી તાવી વિસ્તારમાંથી 1 વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો-સેન્સેક્સમાં 1200 તો નિફ્ટીમાં 400 પોઈન્ટનો કડાકો; રોકાણકારોને 7.5 લાખ કરોડ રૂપિયાનું નુકશાન
હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ જેવા પર્યટન સ્થળો સહિત ખીણના ઊંચા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થઈ હતી. ખરાબ હવામાનને કારણે ટ્રેનો અને ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ છે. ઉત્તરાખંડના ગંગોત્રીમાં 4 ફૂટ સુધી બરફવર્ષા થઈ છે.
હિમાચલ પ્રદેશમાં છેલ્લા 3 દિવસથી હિમવર્ષા અને વરસાદ પડી રહ્યો છે. લાહૌલ સ્પીતિ, ચંબાના પાંગી-ભરમૌર અને કિન્નૌર જિલ્લામાં હિમવર્ષા બાદ રસ્તાઓ બંધ થઈ ગયા છે. 28 ફેબ્રુઆરીના રોજ તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. કુલ્લુના અખાડા બજારમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. પૂરને કારણે ઘણા વાહનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
આ પણ વાંચો-60,000 કરોડ રૂપિયાની કરવેરાની વસૂલાત વર્ષોથી બાકી!