
ખ્યાતિકાંડ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક અન્ય ચોંકાવનાર ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટી રીતે 100 PM-JAY કાર્ડ બનાવ્યાની તપાસ દરમિયાન રાજ્યવ્યાપી આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ સાામે આવ્યું છે. જે લોકો પાત્રતા ધરાવતા ના હોય તેમને પણ આ યોજનાના કાર્ડ બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.
ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ બનાવવાના કૌભાંડમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 લોકની ધરપકડ કરી લીધી છે. આ દરમિયાન ચોંકાવનારો ખુલાસો તે થયો છે કે, આ ટોળકી દ્વારા અત્યાર સુધીમાં 3000થી પણ વધારે ખોટી રીતે આયુષ્યમાન કાર્ડ બનાવી આપ્યા છે. એટલે કે આ કૌભાંડથી 150 કરોડ રૂપિયાનો સીધો જ ફટકો, સરકારની તિજોરમાં પડેલા ભારતીય લોકોના ટેક્સના પૈસા બારોબાર ખંખેરી લેવાનો કારસા અંગે ક્રાઈમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે.
ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ સામાન્ય બાબત બની ગઈ છે. મોંઘવારી-બેરોજગારીના કારણે સામાન્ય લોક પણ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મસમોટા કૌભાંડ આચરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. લોકોના જીવ સાથે ચેડા કરવા જેવી ભયંકર કામ કરતી ખ્યાતિકાંડ પછી રાજ્યવ્યાપી અને મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં સરકારની તિજોરીના એટલે કે સામાન્ય લોકોના ટેક્સના કરોડો રૂપિયા બારોબાર ખેંખેરી લેવાનું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે.
મળી રહેલી માહિતી અનુસાર, આ રાજ્યવ્યાપી કૌભાંડ ચલાવનારી ટોળકીએ અત્યાર સુધીમાં ત્રણ હજારથી વધુ લોકોને PM-JAY કાર્ડ બનાવી આપ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા 6 લોકોની ટોળકી અમદાવાદ, ભાવનગર અને સુરતના હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, PM-JAY કાર્ડ બનાવવા માટેના કેટલાક નિયમો તેમજ ધારાધોરણ સરકાર દ્રારા નક્કી કરવામાં આવ્યા છે પરંતુ કેટલાક લોકો પોતાની આવક છુપાવીને PM-JAY કાર્ડ કાઢાવી લેતા હોય છે. આ કૌભાડમાં કેટલાક સરકારી બાબુઓની પણ સંડોવણી સામે આવે તેવી શક્યતાઓ રહેલી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યુ અનુસાર, PM-JAYના માપદંડોને નેવે મૂકીને પાત્રતા વગરના લોકોની પાસે કોઈ જ દસ્તાવેજ ન હોય તેમના પાસેથી પૈસાની અવેજમાં કાર્ડ કાઢી આપવામાં આવતા હતા. આ 6 આરોપીઓમાં કેટલાક એજન્ટ પણ છે.
ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આયુષ્યમાન કાર્ડ અંગેનું કૌભાંડ ચાલતું હોવાની આશંકા વ્યક્ત કરી છે. ક્રાઇમ બ્રાંચ આમાં સંડોવાયેલા 6 લોકોની પૂછપરછ કરી રહી છે. આ યોજના હેઠળના અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે તેમના સુધી પણ તપાસનો રેલો આવી શકે છે. કેમ કે ક્રાઇમ બ્રાન્ચ અનુસાર, મોટા અધિકારીઓની સંડોવણી વગર કાર્ડ બનાવી શકવું શક્ય નથી. આ ઝડપાયેલા છ લોકો ગુજરાતની સાથે અન્ય રાજ્યમાં પણ PMJAY યોજનાના કાર્ડ બનાવી આપતા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખ્યાતિ હોસ્પિટલે 100 PM-JAY કાર્ડ કેવી રીતે બનાવ્યા?
આ ગેંગ દ્રારા ત્રણ હજાર કાર્ડ બનાવાયા છે જ્યારે ખ્યાતિ હોસ્પિટલ 100 જેટલા PM-JAY કાર્ડ કેવી રીતે બનાવ્યા છે? તે પ્રશ્નનો જવાબ શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે. આ કાંડમાં સંડોવાયેલો અન્ય લોકોને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. આમ ક્રાઇમ બ્રાંચે સરકારને ચુનો લગાવવાનું સૌથી મોટુ કૌભાડ ઝડપી પાડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.