
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ દરમિયાન ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી લઈને તમામ રીતનું વાતાવરણ પુરૂં પાડવાની વાત કરવામાં આવે છે. પરંતુ આ બધુ ત્યારે એળે જાય છે, જ્યારે સરકાર ગુજરાતી યુવકોને નોકરી આપવામાં નિષ્ફળ જાય છે. યુવકોને રોજગાર જ ન મળતો હોય તો વાઇબ્રન્ટ જેવા કાર્યક્રમના નામે તાયફા કરીને કરોડો રૂપિયાનો ધુમાડો કરવાનો કોઈ અર્થ જ નથી. વાત જાણે એમ છે કે, ગુજરાત લઘુ ઉદ્યોગો થકી ગુજરાતી યુવકોને રોજગારી આપવામાં પછાત રાજ્યોથી પણ પાછળ રહી ગયું છે.
શહેરો ઉપર ભારણ ન વધે અને ગામડાના યુવકો શહેર તરફ પ્રયાણ ન કરે તે માટે નાના-લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે પ્રાઇમ મિનિસ્ટર એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામનો આરંભ કર્યો છે. જેમાં લઘુ ઉદ્યોગ થકી યુવકોને રોજગારી આપવાનો મુખ્ય હેતુ છે. જોકે, આ હેતુ પરિપૂર્ણ થયું નથી. તો બીજી તરફ લઘુ ઉદ્યોગો પણ ગુજરાતમાં યોગ્ય રીતે શ્વાસ લઈ શકી રહ્યા નથી. તેથી રોજગારીનું સર્જન પણ થઈ શકી રહ્યું નથી.
રોજગાર મેળવવા માટે ગામડાઓ થઈ રહ્યા છે ખાલી
બેરોજગારો માટે ઉપયોગી એવી પ્રાઈમ મિનિસ્ટર એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામમાં પણ ગુજરાત પાછળ રહ્યું છે. જ્યારે જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યોએ સારૂ પ્રદર્શન કરી બેરોજગારોને રોજગારી આપી છે.
રાજ્યસભામાં પૂછાયેલાં એક સવાલના જવાબમાં મીનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈસીઝે એવો ખુલાસો કર્યો છે કે, પ્રાઈમ મિનિસ્ટર એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ હેઠળ વર્ષ 2023-24માં 24 હજાર અને વર્ષ 24-25માં 8688 લોકોને રોજગારી આપવામાં આવી છે. બે વર્ષમાં કુલ મળીને 32,688 લોકોએ રોજગારી મેળવી હતી.
આ આંકડો પાછલા 28 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકાર માટે શરમજનક છે. કેમ કે સરકાર દર વર્ષે રોજગારી આપવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરી રહી હોવાનું કહી રહી છે. જોકે, તે છતાં પણ સરકાર રાજ્યના યુવકોને રોજગારી આપી શકી રહી નથી.
લઘુ ઉદ્યોગો થકી રોજગાર આપવામાં બિહાર-યુપી ગુજરાત કરતાં આગળ
બીજી તરફ જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, બિહાર કર્ણાટકમાં વધુ લોકોને રોજગારી મળી છે. એવી ચર્ચા છે કે, રાજ્ય-કેન્દ્ર સરકારના પ્રોત્સાહન પછી પણ લઘુ ઉદ્યોગોનું ગુજરાતમાં ડગુમગુ રહ્યુ છે. અનેક સમસ્યાઓ સામે નાના ઉધોગો ઝઝૂમી રહ્યાં છે. આ કારણોસર સરકારની અનેકવિધ યોજનાઓ હોવા છતાં બેરોજગારો માટે લાભદાયી સાબિત થતી નથી. જો કે, સરકારનો દાવો છે કે, છેલ્લાં ચારેક વર્ષમાં ગુજરાતમાં લઘુ ઉદ્યોગોના માધ્યમથી 38.44 લાખ લોકોએ રોજગારી મેળવી છે.
છેલ્લાં ચારેક વર્ષમાં ગુજરાતમાં 4049 નાના-મધ્યમ ઉદ્યોગોનું થયું બાળમરણ
ગુજરાતમાં અનેકવિધ સમસ્યાઓને કારણે નાના-મધ્યમ ઉદ્યોગોને ધમધમતાં રાખવા મુશ્કેલ બન્યાં છે. આ વખતે તો વાઈબ્રન્ટ ગુજરાતની થીમ એવી રહી છે કે, જિલ્લાઓમાં જીઆઇડીસી શરૂ કરીને નાના ઉદ્યોગોને ધમધમતાં રાખવામાં આવશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના યુવાઓને રોજગાર મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. છતાંય લઘુ ઉદ્યોગો બંધ થઈ જઈ રહ્યા છે. આમ ગુજરાત સરકાર એવું વાતાવરણ ઉભું કરવામા સદ્દતર નિષ્ફળ જઈ રહી છે, કે જ્યાં લઘુ ઉદ્યોગો સફળતાપૂર્વક ઉભા થઈ શકે અને તેના થકી ગ્રામીણ વિસ્તારમાં મોટા પ્રમાણમાં યુવકોને રોજગારી આપવામાં આવી શકે.
લોકસભામાં જ કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો કે, ગુજરાતમાં વર્ષ 2021-22માં 491, વર્ષ 2022-23માં 1074, વર્ષ 23-24માં 2307 અને વર્ષ 2024-25માં 1076 એમ કુલ મળીને 4049 લઘુ ઉદ્યોગોનું કામકાજ બંધ પડ્યું હતું.
