
ઇઝરાયલી મંત્રીમંડળે ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોને મુક્ત કરવા માટે હમાસ સાથેના કરારને મંજૂરી આપી. આ કરાર રવિવારથી અમલમાં આવશે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલય અને હમાસે થોડા કલાકો પહેલા જ કહ્યું હતું કે કરારનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે.
આ કરારની જાહેરાત સૌપ્રથમ બુધવારે અમેરિકા અને કતાર દ્વારા કરવામાં આવી હતી. આ પછી કરારને ગુરુવારે ઇઝરાયલી કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવનાર હતી, પરંતુ બેન્જામિન નેતન્યાહૂએ કેબિનેટ મતદાન મુલતવી રાખ્યું અને હમાસ પર કરાર બદલવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.
શુક્રવારે, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે જાહેરાત કરી હતી કે દોહામાં ઇઝરાયલી વાટાઘાટ ટીમે કરારને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. હમાસે પણ એક નિવેદન જારી કરીને કહ્યું કે કરારની શરતો અંગે ઉદ્ભવતા “અવરોધો” સવારે ઉકેલાઈ ગયા છે.
ત્રણ તબક્કામાં કરાર
કરાર વિશે માહિતી આપતી વખતે યુએસ રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું હતું કે પ્રથમ તબક્કો છ અઠવાડિયા સુધી ચાલશે અને તેમાં ‘સંપૂર્ણ યુદ્ધવિરામ’ રહેશે. જો બિડેનના મતે બીજા તબક્કાનો ઉદ્દેશ્ય ‘યુદ્ધનો કાયમી અંત’ હશે. ત્રીજા અને અંતિમ તબક્કામાં ગાઝાના પુનર્નિર્માણ વિશે વાત કરવામાં આવી છે.
ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે તેઓની કેબિનેટને જણાવ્યું હતું કે, ગાઝા પટ્ટીમાં બંદીવાન રખાયેલા અપહ્યતોની મુકિત માટે (હમાસ) સાથે સમજૂતી સધાઈ ગઈ છે. આ પૂર્વે વડાપ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાને રજૂ કરેલી યુદ્ધ વિરામ દરખાસ્ત અંગે છેલ્લી મિનિટે ઉપસ્થિત થયેલા અવરોધો દૂર કરવામાં આવ્યા છે.
દરમિયાન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેઓ તેમની સિક્યોરિટી કાઉન્સિલની આજે (શુક્રવારે) સાંજે બેઠક બોલાવવાના છે. નેતન્યાહૂએ વધુમાં જણાવ્યું હતું કે, ઈઝરાયલ યુદ્ધનાં તમામ ધ્યેયો સિદ્ધ કરવા પ્રતિબદ્ધ છે. તેમાં બંદીવાન રખાયેલા તમામ બંધકો જીવંત કે મૃતને પરત મેળવવામાં આવશે.
7 ઓકટો. 2023ના દિને ગાઝામાંથી આવેલા આતંકીઓએ 1200 જેટલા ઈઝરાયલી નાગરિકોની હત્યા કરી હતી અને 250 જેટલા નાગરિકોને બંદીવાન બનાવ્યા હતા. ત્યારથી ઈઝરાયલ હમાસ વચ્ચે ખૂનખાર યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં 46000 થી વધુ પેલેસ્ટાઈનીઓએ જાન ગુમાવ્યા છે. આ યુદ્ધ અંગે ઘણા ઘણા રાઈટસ ગ્રુપે ઈઝરાયલ ઉપર વોર ક્રાઇમ્સના આક્ષેપો કર્યા છે. જેનો ઈઝરાયલે સતત ઇનકાર કરે રાખ્યો છે.
આ સમજૂતી શુક્રવારે (યુદ્ધ વિરામ સમજૂતી) સધાઈ તે પૂર્વે થોડો અવરોધ ઊભો થયો હતો. હમાસે કેટલાક કારણો (બહાના) પણ તે અંગે દર્શાવ્યા હતા. પરંતુ હવે તે દૂર કરાયા છે. તે માટે બાયડેન અને ટ્રમ્પે કતારમાં યુદ્ધ વિરામ મંત્રણા માટે મોકલેલી ટુકડીઓએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.
આ પૂર્વે હમાસે આક્ષેપો કર્યા હતા તે સામે ઈઝરાયલે પણ આક્ષેપો કર્યા હતા. પરંતુ હવે સામ સામી આક્ષેપબાજી બંધ થઈ હોય તેવું લાગે છે. અને તત્કાળ પુરતો તો આ યુદ્ધ વિરામ અમલી બની શકશે અને અપહ્યતો મુક્ત થઈ શકશે. તેવું આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. જો કે આ પૂર્વે ઈજીપ્તની સરહદે આવેલો ગાઝા પટ્ટીનો ફીલાડેલ્ફીયા કોરિડોર પણ ઈઝરાયલે હાથમાં લઈ લીધો છે.
કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પ 20મી જાન્યુઆરી પૂર્વે સત્તા સંભાળે તેપહેલા યુદ્ધ વિરામ કરી બંધકોને સોંપી દેવાનું હમાસે વિચાર્યું હશે. કારણ કે તેને ભીતિ હશે કે ટ્રમ્પ સત્તાધીશ બન્યા પછી તો તેઓ (જો બંધકોને નહીં છોડાય તો) તૂટી પડવા શપથબદ્ધ હતા. તેથી હમાસને નમતું જોખ્યા સિવાય બીજો ઉપાય જ ન હતો.
આ પણ વાંચો- ખ્યાતિ કાંડ: ખ્યાતિ હોસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલની ધરપકડ; મુખ્ય આરોપીઓમાંથી છે એક