
ડાકોર : ગુજરાતમાં શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે. તે માટે સરકારી શાળાઓ અને સરકારી કોલેજોને તાળા વાગી રહ્યા છે તો ખાનગી શાળાઓ બિલાડીની ટોપની જેમ મોટા પ્રમાણમાં ફૂડી નિકળી છે. તો બીજી તરફ સરકારી શાળાઓને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ સરકાર આના કરતી જોવા મળી રહી છે.
આવો જ એક કિસ્સો ખેડા જિલ્લામાંથી સામે આવી રહ્યો છે. આ શાળામાં 95 જેટલા વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસીને શિક્ષણ લેવાની ફરજ પડી છે. વર્તમાન સમયમાં હાડ થિજવતી ઠંડીની શરૂઆત થઈ છે. આ વચ્ચે નાના ભૂલકાઓને બહાર ખુલ્લામાં બેસીને ભણવું પડી રહ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
ખેડા જિલ્લામાં આવેલા ઠાસરા તાલુકાના દીપકપુરા ગામે પ્રાથમિક શાળામાં 95 જેટલા વિદ્યાર્થીઓને સુસવાટા મારતા પવન અને કડકડતી ઠંડી વચ્ચે શાળાના કમ્પાઉન્ડમાં ખૂલ્લામાં બેસાડી અભ્યાસ કરાવતા વાલીઓએ નારાજગી વ્યક્ત કરી છે. જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટરે ડિસેમ્બર-2023માં દીપકપુરા શાળાના આચાર્યને પરિપત્ર કરી, સલામત સ્થળે બેસાડી અભ્યાસ કરાવવા વ્યવસ્થા કરવી તેવી સુચના આપી હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
જોકે, શાળાના આચાર્યએ પરિપત્ર પર ધ્યાન ન આપી વિદ્યાર્થીઓને જર્જરિત ઓરડામાં બેસાડયા હતા. પરિણામે ગત માર્ચ મહિનામાં જર્જરિત ઓરડાની છતનો પોપડો પડતા બે વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. જેથી આચાર્યની બદલી કરાઈ હતી. જોકે, આચાર્યએ રાજકીય દાવપેચનો પ્રયોગ કરીને પરત દીપકપુરામાં આવવાનો હુકમ કરાવ્યો હતો. તેવામાં શનિવારે ફરી આચાર્યએ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડીનેટરના પરિપત્રનું ઉલ્લંઘન કરી, ભર શિયાળે વિદ્યાર્થીઓને અન્ય કોઈ વ્યવસ્થા ન કરી ઠંડીમાં અભ્યાસ કરવા બેસાડતા વાલીઓમાં નારાજગી વ્યાપી હતી.
આ શાળાના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઇ રહ્યો હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. ગુજરાત સરકાર પણ શાળાના ઓરડાઓ બનાવવાને લઈને પણ કોઈ પગલા ભરી રહી નથી તો પ્રોજેક્ટ કોર્ડીનેટર દ્વારા અન્ય જગ્યાએ શાળા ખસેડવાનું પત્ર હોવા છતાં કેમ અન્ય જગ્યાએ શાળા ખસેડવામાં આવી રહી નથી? તે એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ ધ ગુજરાત રિપોર્ટ પર આગામી સમયમાં રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાત સરકારની નિષ્ફળતાના કારણે જ અત્યારે ખેડાના ઠાસરાના નાનકડા ગામ એવા દીપકપુરાના વિદ્યાર્થીઓ બહાર ખુલ્લામાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. હાલમાં ગુજરાતમાં ઠંડી પડી રહી છે, તો આગળ ગરમી આવશે. તેવી જ રીતે ચોમાસામાં તો વિદ્યાર્થીઓને ભણવાનુંં જ બંધ કરી દેવું પડશે તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. આ તમામ બાબતોનું એક જ નિષ્કર્ષ સામે આવે છે કે, સરકાર વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને ગંભીર જ નથી. તેથી જ સરકારી બાબુઓની મનમાનીના કારણે બહાર બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે.