
આજે શુક્રવારે સવારે જયપુરમાં અજમેર હાઈવે પર દિલ્હી પબ્લિક સ્કૂલની નજીક કેમિકલ ભરેલા ટેન્કરમાં ભારે વિસ્ફોટ થયો હતો. જેમાં 5 લોકો જીવતા ભૂંજાયા, અને 30 લોકો દાઝી ગયા છે. એક ગેસ ટેન્કરમાં અચાનક આગ લાગી જતાં ભયંકર વિસ્ફોટ થયો હતો.
40થી વધુ વાહનો ભયંકર રીતે બળ્યા

40થી વધુ વાહનોમાં આગ લાગી હતી. અનેક વાહનો એવા હતા જેમાંથી લોકોને બહાર નીકળી શક્યા ન હતા. ટેન્કરની પાછળ દોડતી સ્લીપર બસ અને હાઇવેની બાજુમાં આવેલી પાઇપની ફેક્ટરી પણ બળી ગઈ હતી. વિસ્ફોટ અને આગના કારણે હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.
ફાયર બ્રિગેડના 22 વાહનો ઘટના સ્થળે
આ ઘટનાની જાણકારી મળતાં જ લગભગ 22 જેટલાં ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. દુર્ઘટના સ્થળે કેમિકલ ફેલાઈ જવાને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઈજાગ્રસ્તોની પૂરતી તકેદારી રાખી સારવાર કરવા CMનો આદેશ
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ એક્સ પર ટ્વીટ કરી પોસ્ટમાં લખ્યું કે , ‘જયપુર-અજમેર નેશનલ હાઈવે પર ગેસ ટેન્કરમાં આગ લાગવાની ઘટનામાં નાગરિકોના મૃત્યુના દુઃખદ સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ હું એસએમએસ હોસ્પિટલમાં ગયો હતો અને ડોક્ટરોને તાત્કાલિક જરૂરી સુવિધાઓ પૂરી પાડવા અને ઈજાગ્રસ્તોની યોગ્ય કાળજી લેવાનો નિર્દેશ આપ્યો હતો.