
- ઓડિશામાં માત્ર 4 મહિનામાં 36000થી વધુ મહિલા અને 8400 બાળકો ગુમ
ઓડિશામાં 36,000થી વધુ મહિલાઓ અને 8,400 બાળકો ગૂમ થવા બાબતે વિધાનસભામાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. આ અંગે પ્રશ્ન પૂછતાં જ બીજેપી સરકારના ધારાસભ્યો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. તે ઉપરાંત બીજેપી ધારાસભ્યોએ ધક્કામુક્કી અને ઝપાઝપી કરી હતી.
જણાવી દઈએ કે, ઓડિશામાં મહિલાઓ અને બાળકોની તસ્કરી કરવામાં આવી રહી છે. આ તસ્કરીને રોકવામાં બીજેપીની સરકાર બધી જ રીતે નિષ્ફળ ગઈ છે. સરકાર પોતાના બચાવમાં બાળકો અને મહિલાઓની તસ્કરીમાં રોકવામાં સફળતા મળી રહી હોવાની વાત કરી રહી છે. પરંતુ આંકડાઓ દર્શાવે છે કે, ઓડિશામાં બાળકો અને મહિલાઓ સુરક્ષિત નથી. ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ઓડિશાની સ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ છે.
જણાવી દઈએ કે, ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ પોતે જ સોમવારે વિધાનસભામાં ચોંકાવનારી માહિતી જાહેર કરી હતી. સીએમ માઝીએ કહ્યું છે કે છેલ્લા 4 વર્ષમાં ઓડિશામાં 36,000થી વધુ મહિલાઓ અને 8,400 બાળકો ગુમ થયા છે. ઓડિશામાં બનેલી આ ચિંતાજનક ઘટના અંગે મુખ્યમંત્રી મોહન માઝીએ વિધાનસભામાં ચોંકાવનારા તથ્યો રજૂ કર્યા હતા.
કુલ કેટલી સ્ત્રીઓ અને બાળકો ગુમ છે?
સોમવારે ઓડિશા વિધાનસભામાં ધારાસભ્ય ચક્રમણિ કન્હરના પ્રશ્નના જવાબમાં સીએમ મોહન માઝીએ ગુમ થયેલી મહિલાઓ અને બાળકોની ચોંકાવનારી સંખ્યા જાહેર કરી હતી. મુખ્યમંત્રી મોહન માઝીએ જણાવ્યું હતું કે 2020 થી 2024 દરમિયાન રાજ્યમાં 8,403 બાળકો સહિત કુલ 36,420 મહિલાઓ ગુમ થઈ છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે આ સંકટનો સામનો કરવાના પ્રયાસોમાં ઘણી સફળતાઓ પ્રાપ્ત થઈ છે.
મુખ્યમંત્રીએ જ સ્વીકાર્યું કે તેમના રાજ્યમાં થઈ રહી છે મહિલા-બાળકોની તસ્કરી
મુખ્યમંત્રી મોહન માઝીએ પોતાના નિવેદનમાં બાળકોની તસ્કરી કરવામાં આવતી હોવાની વાત પણ સ્વીકારી હતી. તેમણે વિધાનસભામાં જણાવ્યું હતું કે વચેટિયાઓની મદદથી રાજ્યની સરહદો પાર 421 મહિલાઓ અને છોકરીઓની તસ્કરી કરવામાં આવી હતી. કાયદા અમલીકરણ એજન્સીઓએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ 453 વચેટિયાઓની ધરપકડ કરી છે. મુખ્યમંત્રીના પ્રતિભાવ મુજબ આ સંકટનો સામનો કરવાના પ્રયાસોના ભાગ રૂપે 1,417 મહિલાઓ અને 1,857 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે.
તસ્કરી થઈ રહી છે તે સ્વીકાર્યા પછી કહ્યું કે – અમે પગલા લઈ રહ્યાં છીએ
સીએમ માઝીએ ગૃહમાં તેમના રાજ્યમાં બાળકો અને મહિલાઓની તસ્કરીની વાતને સ્વીકાર્યા પછી જણાવ્યું હતું કે પોલીસ ફરિયાદોના આધારે કેસ નોંધીને તસ્કરી કરાયેલી મહિલાઓને શોધી કાઢવા માટે કાર્યવાહી કરી રહી છે. મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે મહિલાઓ અને બાળકોની તસ્કરી અટકાવવા માટે 36 સંકલિત માનવ તસ્કરી વિરોધી એકમોની રચના કરવામાં આવી છે.
તેમને આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, બોલાંગીર, નુઆપાડા, બારગઢ, કાલાહાંડી, સંબલપુર અને ઝારસુગુડામાં આવા કેસોનો સામનો કરવા માટે IAHTU ને સંપર્ક બિંદુ બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ માહિતી આપી કે 2024 દરમિયાન ઓડિશામાં મહિલાઓના અપહરણના 6,437 કેસ નોંધાયા હતા અને આ કેસોના સંદર્ભમાં 413 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો- પાકિસ્તાનમાં કંઈપણ થઈ શકે! લિબરેશન આર્મીએ કરી ટ્રેન હાઇજેક