
- નકલી ડોક્ટર ભાજપ સાથે સારા સંબંધ ધરાવતો હોવાનું સામે આવ્યું
- નકલી ડૉક્ટરે લાંબા સમય સુધી જાહેર ભંડોળનું નુકસાન કર્યું અને હોસ્પિટલ વહીવટીતંત્રને તેની જાણ પણ નહોતી
MP fake doctor: મધ્યપ્રદેશના દમોહથી ઝડપાયેલા નકલી ડોક્ટરે 7 લોકોનો જીવ લીધા બાદ દેશમાં હડકંપ છે. ઝડપાયેલો નકલી ડોક્ટર ભાજપ સાથે સારા સંબંધ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. બ્રિટનના એક પ્રખ્યાત ડોક્ટરની ડિગ્રી ચોરી 7 દર્દીઓને હૃદયરોગની સારવાર કરી નાખી હતી. જો કે બાદમાં 7 દર્દીઓના મોત થઈ ગયા હતા. ત્યારબાદ નકલી ડોક્ટરનું સમગ્ર કારસ્તાન બહાર આવ્યું છે.
આ નકલી ડોક્ટરની ઓળખ નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ તરીકે જાહેર થઈ છે, જેણે જોન કેમના અસલી ડિગ્રીની ચોરી કરી હતી અને પોતાને લંડનમાં તાલીમ પામેલા ડોક્ટરની ઓળખ બતાવી હોસ્પિટલમાં નિમણૂક મેળવી હતી. આ સમયગાળા દરમિયાન હોસ્પિટલે તેની યોગ્ય તપાસ કર્યા વિના દર મહિને 8 લાખ રૂપિયા પગાર ચૂકવવાનો કરાર પણ કર્યો હતો. આ પછી હોસ્પિટલમાં દર્દીઓના સ્વાસ્થ્ય ખીલવાડ કરવાનું શરુ કરી દીધુ હતુ.
ભાજપ પ્રિય નકલી ડોક્ટરે સરકારને ચૂનો લગાવ્યો
ખામીઓ હોવા છતાં એક પ્લેસમેન્ટ એજન્સીએ હોસ્પિટલ માટે ‘નકલી ડોક્ટર જોન કેમ’ ની ભરતી કરી હતી. આ ડોક્ટરે ડિસેમ્બર 2024 થી ફેબ્રુઆરી 2025 સુધી હોસ્પિટલમાં કામ કર્યું હતું અને દર્દીઓની એન્જીયોગ્રાફીથી લઈને એન્જીયોપ્લાસ્ટી સુધી બધું જ કર્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે આ હોસ્પિટલ સરકારની આયુષ્માન ભારત યોજના હેઠળ ગરીબોની સારવાર પણ કરતી હતી. આવી સ્થિતિમાં નકલી ડૉક્ટરે લાંબા સમય સુધી જાહેર ભંડોળનું નુકસાન કર્યું અને હોસ્પિટલ વહીવટીતંત્રને તેની જાણ પણ નહોતી.
નકલી ડૉક્ટર દર્દીઓના જીવ કેવી રીતે લઈ રહ્યો હતો?
મૃતકના પરિવારના સભ્યોએ નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કર્યો છે. દામોહના પુરાણા બજાર-2 ની રહેવાસી રહીસા બેગમ( ઉ.વ. 63) ના પુત્ર નબી કુરેશીએ જણાવ્યું કે 9 જાન્યુઆરીએ તેમની માતાને છાતીમાં દુખાવો થયો હતો. તેઓ તેને 10 જાન્યુઆરીએ જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મિશન હોસ્પિટલ રેફર કર્યા. તેણે કહ્યું કે તેને આયુષ્માન હેઠળ સારવાર કરાવવાની હતી, પરંતુ મિશન હોસ્પિટલે 50,000 રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે હોસ્પિટલે કોઈ પણ તપાસ કર્યા વિના પૈસા માંગ્યા, ત્યારે નબી તેની માતાને ડૉ. ડીએમ સંગતાનીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યારબાદ તેમણે તેને મિશન હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. આવી સ્થિતિમાં, નબીએ 5 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા.
રહીસાની તપાસ નકલી કાર્ડિયોલોજિસ્ટ ડૉ. એન જોન કેમ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટમાં એક નસ 92 ટકા બ્લોક અને બીજી 85 ટકા બ્લોક જોવા મળી. ડૉ. કેમ કહ્યું- સર્જરી થશે. રહીસાને 14 જાન્યુઆરીએ દાખલ કરવામાં આવી હતી. 15 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યે સર્જરી થઈ અને રહીસાનું 12:30 વાગ્યે અવસાન થયું. નકલી ડોક્ટરે કહ્યું કે સર્જરી દરમિયાન બીજો હાર્ટ એટેક આવ્યો હતો. 15 દિવસ પછી તપાસ રિપોર્ટ આપવામાં આવ્યો. શરૂઆતમાં બધાએ તેને સામાન્ય મૃત્યુ માન્યું. જોકે, હવે ગેરરીતિના આરોપો લાગી રહ્યા છે.
બીજી તરફ દામોહના ભરતલા ગામના રહેવાસી મંગલ સિંહનું મૃત્યુ થયું છે. તેમના પુત્ર જિતેન્દ્રએ જણાવ્યું કે તેઓ 4 ફેબ્રુઆરીએ તેમના પિતાને મિશન હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે હૃદયનું ઓપરેશન કરવું પડશે. પરંતુ ઓપરેશનના થોડા કલાકોમાં જ તેમનું મૃત્યુ થયું. જીતેન્દ્રએ કહ્યું કે ઓપરેશન પહેલા અને પછી ડૉક્ટર ઉપલબ્ધ નહોતા. તે એક નકલી કાર્ડિયોલોજિસ્ટ હતો જેણે તેના પિતાનું ઓપરેશન કર્યું હતું.
છેતરપિંડી કેવી રીતે બહાર આવી?
ફેબ્રુઆરીમાં દામોહના બારી ગામના કૃષ્ણા પટેલ તેમના દાદાને સારવાર માટે મિશન હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. અહીં તેમને દાખલ કરવામાં આવ્યા અને એન્જીયોગ્રાફી માટે 50 હજાર રૂપિયા માંગવામાં આવ્યા. એન્જીયોગ્રાફી રિપોર્ટના આધારે, ઓપન હાર્ટ સર્જરી સૂચવવામાં આવી હતી. કૃષ્ણાએ હોસ્પિટલ તંત્રને કહ્યું કે એન્જીયોગ્રાફી 10 હજાર રુપિયામાં થઈ શકે છે. જો કે કૃષ્ણાની આ વાત સાંભળતાં જ ડો. કેમ જોને અભદ્ર વર્તન કર્યું હતુ અને બીજી હોસ્પિટલમાં દાખલ કરવા ચોખ્ખુ કહી દીધુ હતુ. આ પછી, કૃષ્ણા તેના દાદાને જબલપુર લઈ ગયા અને ત્યાં તેમની સારવાર કરાવી.
કૃષ્ણાના મતે, આ આખી ઘટના પછી તેને મિશન હોસ્પિટલના ડોક્ટર કેમ પર શંકા ગઈ હતી. તેમણે જણાવ્યું કે તેમણે જબલપુર અને નરસિંહપુરથી નકલી ડોક્ટર વિરુદ્ધ દસ્તાવેજો એકત્રિત કર્યા અને ત્યારબાદ તેમણે બાળ આયોગના અધ્યક્ષ દીપક તિવારીને આ બાબતની ફરિયાદ કરી. જ્યારે દીપક તિવારીએ આ બાબતની જાણ કલેક્ટરને કરી, ત્યારે તપાસ શરૂ કરવામાં આવી. જોકે, નકલી ડોક્ટરને આ વાતની ખબર પડી ગઈ હતી. આવી સ્થિતિમાં, તેમણે ફેબ્રુઆરીમાં જ રાજીનામું આપી દીધું અને દામોહથી ફરાર થઈ ગયો હતો.
નકલી ડોક્ટર દોઢ મહિના સુધી કેવી રીતે ફરાર રહ્યો?
જ્યારે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી, ત્યારે નકલી ડોક્ટર પાસેથી તેના કામ વિશે માહિતી માંગવામાં આવી. જોકે 12 ફેબ્રુઆરીના રોજ જ દમોહ સ્થિત તેની હોટલમાંથી ભાગી ગયો હતો. આ પછી જ્યારે પોલીસે તપાસ તેજ કરી, ત્યારે નકલી ડૉક્ટરની ઓળખ સંબંધિત ઘણા ખુલાસા થયા. તેમની ઓળખ નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવ તરીકે થઈ હતી. એટલું જ નહીં એ પણ બહાર આવ્યું કે ફરાર થતા પહેલા તેણે એક પોર્ટેબલ ઇકો મશીન ચોરી લીધું હતું, જેની કિંમત લગભગ 5-7 લાખ રૂપિયા હતી. તેની સામે ચોરીનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
ત્રણ રાજ્યોમાં નકલી ડોક્ટર બની સારવાર કરી
તપાસમાં એ પણ જાણવા મળ્યું કે નરેન્દ્ર વિક્રમાદિત્ય યાદવે લગભગ 20 વર્ષ પહેલા છત્તીસગઢના બિલાસપુરમાં પણ કામ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે 2006 માં આ નરેન્દ્રએ પોતાની નકલી ઓળખ ડૉ. એન. જોન શરૂ કરી હતી. જોન કેમના નામનો ઉપયોગ કરીને છત્તીસગઢ વિધાનસભાના તત્કાલીન સ્પીકર રાજેન્દ્ર પ્રસાદ શુક્લાની બિલાસપુરની એપોલો હોસ્પિટલમાં સારવાર કરતો હતો. આ પછી તેમણે હૈદરાબાદમાં ડોક્ટર તરીકે કામ કર્યું. તેમણે મધ્યપ્રદેશના નરસિંહપુરમાં લાંબા સમય સુધી ડોક્ટર તરીકેનો ડોળ કર્યો અને ત્યાં દર્દીઓની સારવાર કરી.

નકલી ડોક્ટર કેવી રીતે પકડાયો?
દમોહના સીએમએચઓ મુકેશ જૈનના રિપોર્ટ પર, કોતવાલી પોલીસે 6 એપ્રિલે કેસ નોંધ્યો હતો. આરોપી ડોક્ટર વિરુદ્ધ બીએનએસની કલમ 318(4), 338, 336(3), 340(2), 3(5) અને મધ્યપ્રદેશ મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1987 ની કલમ 24 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.
એફઆઈઆર નોંધાયા પછી દામોહની સાયબર ટીમ સતત આરોપી ડોક્ટરનું લોકેશન ટ્રેસ કરી રહી હતી. લોકેશન ટ્રસિંગમાં જાણવા મળ્યું હતુ કે આરોપી પ્રયાગરાજમાં હોવાની માહિતી મળી હતી. જ્યારે પોલીસ ટીમ પ્રયાગરાજ પહોંચી ત્યારે આરોપીનો મોબાઈલ બંધ હતો. ટીમે દામોહ સાયબર સેલનો સંપર્ક કર્યો, જ્યાં સાયબર ટીમે પ્રયાગરાજમાં હાજર પોલીસ ટીમને જાણ કરી કે આરોપી ડોક્ટરે તાજેતરમાં પ્રયાગરાજમાં ડોક્ટરના સંપર્ક સૂચિમાં એક વ્યક્તિ સાથે વાત કરી હતી.
સાયબર સેલ દ્વારા મોકલવામાં આવેલી માહિતીના આધારે, પોલીસ તે સ્થળે પહોંચી જ્યાં નકલી ડોક્ટરે ફોન કર્યો હતો. અહીં એક વ્યક્તિ ચિકન વેચતો જોવા મળ્યો હતો. પૂછપરછ કરવામાં આવી ત્યારે દુકાનદારે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો, પરંતુ જ્યારે પોલીસે કડકાઈ દાખવી અને તેનો મોબાઈલ ચેક કર્યો તો તેમાં આરોપી ડોક્ટર સાથેની તેની વોટ્સએપ ચેટ મળી આવી હતી. આ પછી પોલીસે ડોક્ટરનું ચોક્કસ સ્થાન શોધી કાઢ્યું હતુ.
જ્યારે પોલીસ ટીમ પ્રયાગરાજના ઔદ્યોગિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓમેક્સ અદનાની બિલ્ડીંગ 5/11 ટાવર A પર પહોંચી, ત્યારે આરોપી ડોક્ટરની કાર ત્યાં પાર્ક કરેલી મળી આવી હતી, જેનાથી પુષ્ટિ થઈ કે આરોપી ડોક્ટર નજીકમાં ક્યાંક હતો. બહુમાળી ઇમારતમાં એકલા રહેતા ડોક્ટરનું સ્થાન શોધી કાઢ્યા પછી, દમોહ પોલીસે પ્રયાગરાજ પોલીસને જાણ કરી અને ઘેરાબંધી કર્યા પછી, આરોપીને તેના ઘરેથી ધરપકડ કરી લીધી હતી.
સોમવારે રાત્રે પ્રયાગરાજથી ધરપકડ કરાયેલા આરોપી ડોક્ટરને પોલીસ રાત્રે લગભગ 11:30 વાગ્યે દમોહ લાવી હતી. આરોપીને પહેલા ગ્રામ્ય પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો. ત્યારબાદ, બપોરે લગભગ 1:00 વાગ્યે, આરોપી ડોક્ટરને પૂછપરછ માટે પોલીસ કંટ્રોલ રૂમમાં લઈ જવામાં આવ્યો, જ્યાં દામોહના એસપી શ્રુત કીર્તિ સોમવંશીએ પોતે આરોપીની મોડી રાત સુધી પૂછપરછ કરી હતી જોકે, હજુ સુધી પોલીસે આરોપી દ્વારા આપવામાં આવેલી માહિતી સંબંધિત કંઈપણ જાહેર કર્યું નથી.
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે તપાસ શરૂ કરી
બીજી તરફ, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની ટીમ સોમવારે જ દમોહ પહોંચી ગઈ હતી. દમોહના કલેક્ટર સુધીર કોચરે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની ત્રણ સભ્યોની ટીમે વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. આ ઉપરાંત, ટીમ પીડિત પરિવારના લોકોને પણ મળી રહી છે. આ ઉપરાંત, ઓપરેશન સંબંધિત દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ સમગ્ર દેશમાં કોંગ્રેસને ભાજપથી ચઢિયાતી બનાવવા અમદાવાદમાં CWCની બેઠક, સત્તા પક્ષ પર ચાબખાં
આ પણ વાંચોઃ આખરે આરોગ્યકર્મીઓએ કેમ હડતાળ સમેટી?, આરોગ્યકર્મીઓ પાછી પાની કરી | Health workers
આ પણ વાંચોઃ Jaipur Hit And Run: કારે રસ્તામાં જે કોઈ આવ્યા તેને કચડી નાખ્યા, બાઈકચાલકને દૂર સુધી ઢસડ્યો, 3ના મોત