
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરાયો છે. જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. આ જાહેરાત બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને દિયોદર, કાંકરેજ અને ધાનેરામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. કાંકરેજ અને ધાનેરા તાલુકાના આગેવાનો અને લોકોની માંગ છે કે, તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે.
ત્યારે આજે 4 જાન્યુઆરીની સવારથી બનસકાંઠાના ધાનેરા બંધ છે. બજારોની તમામ દુકાનો બંધ રાખવામાં આવી છે. વેપારીઓએ વ્યાપાર ધંધા બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. આજે રેલી યોજી ધાનેરા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવનાર છે. લોકોએ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે.
ગઈકાલે કરાઈ હતી કલેક્ટર કચેરીએ રજૂઆત
ગઈકાલે ધાનારેના યુવાનો પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. વાનો અને આગેવાનોએ કલેકટર કચેરી ખાતે સૂત્રોચાર કર્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપી અને ધાનેરાને બનાસકાંઠામાં સમાવવાની માંગ કરી હતી. વાવ થરાદ સાથે કોઈપણ પ્રકારનો ધાનેરાને નાતો નથી, જેને કારણે ધાનેરાના જે લોકો છે તે બનાસકાંઠામાં સમાવેશ થાય તેવું ઇચ્છી રહ્યા છે.