
પંજાબમાં ખેડૂતોએ આપેલા બંધના એલાનના લીધે 221 ટ્રેનો રદ કરવામાં આવી અથવા ડાઇવર્ટ કરવામાં આવી છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાની આગેવાની હેઠળ આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ બંધ સોમવારે સવારે સાતથી સાંજે ચાર વાગ્યા સુધી હતો. આ દરમિયાન મેડિકલ કેર સહિતની આવશ્યક સેવાઓ જારી રહી હતી.
જુદા-જુદા પાક પર એમએસપીમાં ગેરંટીના કાયદા સહિતની 13 માંગોને લઈને ખેડૂત આંદોલનના સમર્થનમાં સોમવારે પંજાબ બંધ રહ્યુ હતું. પંજાબમાં 200 રસ્તાઓ જામ હતા. જલંધર-દિલ્હી નેશનલ હાઇવે પર ખેડૂતો બેઠેલા હતા. મોહાલી એરપોર્ટનો રસ્તો બ્લોક કરી દેવાયો હતો. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેપંજાબના મોહાલી જિલ્લામાં લગભગ 600 પોલીસ કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા હતા. પોલીસની સ્થિતિ પર ચાંપતી નજર છે.
આ બંધનું એસજીપીસી સહિત ઘણા ધાર્મિક સંગઠનોએ સમર્થન કર્યુ છે. એક ખેડૂત નેતાએ જણાવ્યું હતું કે બંધ દરમિયાન ઇમરજન્સી સર્વિસિસ જારી રહી હતી અને લગ્ન માટે જતી કોઈપણ જાનને રોકવામાં આવી ન હતી. પંજાબમાં શિયાળાના લીધે સ્કૂલોમાં આમ પણ રજાઓ છે. પંજાબ યુનિવર્સિટીએ બંધના પગલે પરીક્ષાઓને સોમવારના બદલે મંગળવાર કરાવવાનો નિર્ણય લીધો છે.
આ હડતાળના લીધે રેલ્વેની 15 ટ્રેનમાં વિલંબ થયો હતો. ફિરોઝપુરની ડીઆરએમ ઓફિસના અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્ટેશનો પર હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ સતત સક્રિય રાખવામાં આવી હતી. ખેડૂત નેતા જગજિતસિંહ ડલ્લેવાલનું 34 દિવસથી અનશન જારી છે. ખનૌરીમાં ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે તે પોતાનો વિરોધ જારી રાખવા માટે ગાંધીવાદી માર્ગે આંદોલન કરી રહ્યા છે. આ નેતાઓને હટાવવા માટે બળપ્રયોગ કરવાનો છે કે નહીં તે સરકારે નક્કી કરવાનું છે.