
અમરેલી લેટરકાંડ મામલે ઘમાસાણ મચ્યું છે. પાયલ ગોટીનું ખોટી રીતે સરઘસ કાઢવા મુદ્દે એલસીબી શાખાના 3 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે. ત્યારે હવે લેટરકાંડની તમામ તપાસ SMCને સોંપાઈ છે.
આજે પરેશ ધાનાણી, પ્રભાત દુધાત સહિતના કાર્યકરો સુરતના માનગઢ ચોકમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજે તે પહેલાં અટકાયત કરી લેવામાં આવી છે. ત્યારે હવે લેટરકાંડ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ને સોંપવામાં આવી છે. આ સમગ્ર કેસની તપાસ નિર્લિપ્ત રાયની દેખરેખ હેઠળ થશે.
અમરેલીના લેટરકાંડ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાયલે કહ્યું હતું કે, તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને SITની રચના કરવામાં આવી હતી. જેમાં Dysp એ.જી.ગોહિલ, મહિલા P.I. આઇ.જે. ગીડા, મહિલા PSI એચ.જે.બરવાડીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે પાયલ ગોટીએ SITની ટીમ પર પણ ભરોસો રહ્યો ન હતો.
શું હતી સમગ્ર ઘટના?
થોડા દિવસ પહેલાં અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી CR પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. જો કે, ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા હતા અને જેલ મુક્ત થઈ હતી. આ કેસમાં પાયલ ગોટીનું ખોટી રીતે સરઘસ કાઢવા મુદ્દે ભારે બબાલ થઈ ગઈ છે. જેથી હાલ સમગ્ર ગુજરાતમાં પોલીસતંત્ર વિરુધ્ધ રોષ ફાટી નીકળ્યો છે.
આ પણ વાંચોઃ RAJKOT: ગોંડલ જામકંડોરણા રોડ ઉપર મરચા ભરેલા ટ્રકમાં ભભૂકી આગ