
જ્યારે ભૂવનેશ્વર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને કરવામાં આવી હાઇજેક; જાણો શું થયું હતું
પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેકની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. પાકિસ્તાન પોતાની ટ્રેન અને તેમાં રહેલા બંધકોને છોડાવવા માટે પાછલા 24 કલાકથી મહેનત કરી રહ્યું છે. પાકિસ્તાની મીડિયામાં ટ્રેન હાઇજેકના અનેક વિવિધ સમાચારો વાંચવા મળી રહ્યા છે. પડોશી દેશમાં માહોલ ખુબ જ ગરમીભર્યું બની ગયું છે. પાકિસ્તાનની જનતાનો ગુસ્સો વધી રહ્યો છે. આ વચ્ચે સરકારે ટ્રેન હાઇજેક પાછળ ભારતનો હાથ હોવાનો ગપગોળો પોતાના નાગરિકોનો ગુસ્સો ડાઈવર્ડ કરવા માટે ફેંકી દીધો છે.
જોકે, આ વચ્ચે તમને જણાવી દઈએ કે, એક વખત ભારતમાં પણ ટ્રેન હાઇજેક કરવામાં આવી ચૂકી છે. ભારતમાં 2009માં એટલે કે 16 વર્ષ પહેલા ત્યારે હાહાકાર મચી ગયો, જ્યારે અચાનક સમાચાર આવ્યા કે રાજધાની એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી લેવામાં આવી છે. તે સમયે દેશમાં નક્સલીઓનો આતંક ચરમસીમાએ હતો. નક્સલવાદીઓએ ટ્રેનનું અપહરણ કરીને તને ચારેબાજુથી ઘેરી લીધી હતી.
ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ
આ ઘટના ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં 22 ઓક્ટોબર 2009ના રોજ ઘટી હતી. માઓવાદી નક્સલીઓએ ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને હાઇજેક કરી લીધી હતી. આ ટ્રેનમાં લગભગ 1000 મુસાફરો સવાર હતા. ટ્રેન ભુવનેશ્વરથી ઉપડેલી ટ્રેન રાત્રે ઝારખંડ અને બિહારની સફર કરવાની હતી. આ ટ્રેને રાત્રે ઝારખંડમાં એન્ટ્રી કરી લીધી હતી. રાતના 12 વાગ્યા સુધી તો બધુ બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં પ્રવેશ કરતાં જ લગભગ બે કિલોમીટર પહેલેથી જ કેટલાક લોકોએ પાટાની આસપાસ ફટાકડા ફોડવાનું અને લાલ ઝંડા દેખાડવાનું શરૂ કરી દીધુ હતું. રાજધાની એક્સપ્રેસની ઝડપ આમ પણ વધારે હોય છે અને એમા પણ રાતે તો વધુ હોય.
રાત્રે અઢી વાગ્યાની આસપાસ લોકોના ટોળેટાળા લાલટેન અને લાલઝંડા લઈને પાટાની બંને બાજુ ઊભા રહી ગયા હતા. પાટાની બંને બાજુ ઊભેલા લોકો ટ્રેનને ઊભી રાખવાનો ઈશારો કરતા હતા. તેથી ડ્રાઈવરે મામલો સમજવા માટે થોડી સ્પીડ ઓછી કરી લીધી હતી. પાયલોટના મનમાં પણ અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યા હતા. આ વચ્ચે પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના બાનો અને રાયકેરા સ્ટેશનો વચ્ચે જંગલમાં તેણે જોયું કે પાટા પર આગળ લાકડીના મોટા મોટા ટુકડા પડ્યા હતા. તેથી અંતે ડ્રાઈવરે ટ્રેન રોકવા મજબૂર બનવું પડ્યું હતું. અંતે બિયાબા જંગલમાં ટ્રેનના ટાયર થંભી ગયા હતા.
ટ્રેન રોકાતા જ નક્સલીઓએ કરી લીધો કબ્જો
ટ્રેનમાં લગભગ 200થી 250 હથિયારબંધ નક્સલીઓએ ટ્રેનને ઘેરી લીધી અને પોતાના કબજામાં લઈ લીધી હતી. આ વિસ્તાર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંથી એક હતો. જ્યાં માઓવાદી સંગઠન પોતાની હાજરી અને પ્રભાવને જાળવી રાખવા માટે સતત હિંસક ગતિવિધિઓને અંજામ આપતા હતા. નક્સલીઓએ સૌથી પહેલા ત ટ્રેક પર લાકડીના ટુકડા અને પથ્થર મૂકી દીધા જેને કારણે ડ્રાઈવરે મજબૂર થઈને ટ્રેન રોકવી પડી હતી. ત્યારબાદ હથિયારોથી લેસ નક્સલીઓની એક મોટી ટુકડી જંગલમાંથી આવી અને ચારેબાજુ ફેલાઈ ગઈ. બંદૂકની અણીએ ટ્રેનને કબજામાં લઈ લીધી.
મુસાફરોને નુક્સાન નહીં પહોંચાડીએ
નક્સલીઓએ મુસાફરોને ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. ટ્રેનના ડબ્બામાં તેઓ ઘૂસવા લાગ્યા. ટ્રેનના એન્જિન અને કેટલાક ડબ્બા પર કાબૂ કરી લીધો. આ દરમિયાન મુસાફરોને કહ્યું કે તેઓ તેમને નુકસાન પહોંચાડશે નહીં. પરંતુ આ કાર્યવાહી સરકાર વિરુદ્ધ તેમના વિરોધને પ્રદર્શિત કરવા માટે છે. નક્સલીઓએ ટ્રેનનો વીજળી પૂરવઠો પણ ખોરવી નાખ્યો હતો જેથી કરીને સંચાર અને સુરક્ષા વ્યવસ્થા નબળી થઈ શકે.
આ ટ્રેન અપહરણ કાંડ લગભગ ચાર કલાક સુધી ચાલ્યો હતો. સવારે 2.30 વાગે શરૂ થયો અને આ ઘટના 6.30 વાગ્યા સુધી ચાલુ હતી. જ્યારે નક્સલીઓ અચાનક જ જંગલમાં પાછા ફરી ગયા. આ દરમિયાન નક્સલીઓએ ટ્રેનને પોતાના કાબૂમાં રાખી અને મુસાફરોને બહાર જતા રોક્યા હતા. તેમનો હેતુ હિંસા ફેલાવવાનો કે મુસાફરોને નુકસાન પહોંચાડવાનો નહતો પરંતુ સરકાર અને સુરક્ષા દળો પર દબાણ નાખવાનો હતો. આ ઘટના એવા સમયે ઘટી હતી જ્યારે ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ ચાલતી હતી. નક્સલીઓએ હાઈજેક કરીને પોતાની શક્તિનો પરચો દેખાડ્યો હતો. તે ઉપરાંત ચૂંટણી પ્રક્રિયા અને તૈયારીઓમાં વિક્ષેપ ઉભો કરવાની કોશિશ કરવામાં આવી હતી.
કેમ હાઈજેક કરવામાં આવી હતી ટ્રેન?
નક્સલીઓએ આ ઘટનાને પ્રચાર તરીકે ઉપયોગમાં લીધી હતી. તેમણે દાવો કર્યો કે આ કાર્યવાહી સરકારની નીતિઓ વિરુદ્ધ એક વિરોધ પ્રદર્શન હતી. ખાસ કરીને એ નીતિઓ વિરુદ્ધ જે આદિવાસી સમુદાયોના હિતોને નજરઅંદાજ કરતી હતી. હાઈજેક દ્વારા તેમણે મીડિયા અને જનતાનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું. ઘટનાની સૂચના મળતા જ સ્થાનિક પોલીસ અને રેલવે સુરક્ષા બળ (આરપીએફ) એક્શનમાં આવી ગયા હતા.
જો કે ગાઢ જંગલો અને નક્સલીઓ વધુ હોવાથી તાબડતોબ કાર્યવાહીમાં વિલંબ થયો હતો. સવારે 4 વાગ્યાની અસપાસ કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ (સીઆરપીએફ) અને ઝારખંડની પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. નક્સલીઓએ પહેલેથી જ પોતાની રણનીતિ બનાવી લીધી હતી. તેઓ સુરક્ષાદળોના પહોંચતા પહેલા જ જંગલમાં ગાયબ થઈ ગયા હતા. સુરક્ષાદળોએ ટ્રેનને તપાસી અને પછી મુસાફરોને સુરક્ષિત કાઢ્યા બાદ ટ્રેનને રવાના કરી હતી.
2009માં નક્સલી આંદોલન ભારતના અનેક રાજ્યોમાં ફેલાયેલું હતું, જેમાં ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો સામેલ હતા. જો કે નક્સલી સમસ્યા હજુ પણ આજે સંપૂર્ણ રીતે ખતમ થઈ નથી.
ભારતમાં બે બીજી ટ્રેનો પણ થઈ ચૂકી છે હાઇજેક
આ ઘટના ઉપરાંત 13 માર્ચ 2006ના રોજ પણ ઝારખંડના લાતેહાર જિલ્લામાં એક ટ્રેન હાઈજેકની ઘટના ઘટી હતી. 13 માર્ચના રોજ નક્સલીઓએ બરવાડી-મુગલસરાય પેસેન્જર ટ્રેનને હાઈજેક કરી હતી.
1994માં બોમ્બે-મડગાંવ એક્સપ્રેસ ટ્રેનનું પણ કેટલાક હથિયારબંધ લોકોના એક સમૂહે અપહરણ કર્યુ હતું. એવું કહેવાય છે કે જેલમાં બંધ એક રાજનેતાના છૂટકારા માટે આ ટ્રેનનું અપહરણ કરાયું હતું.