
નવી દિલ્હી: કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આવાસ અને શહેરી બાબતોની સંસદીય કાયમ સમિતિને સોંપેલી માહિતીમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (પીએમએવાય) હેઠળ અત્યાર સુધી બધી જ કિફાયતી આવાસોમાંથી આશરે અડધા ખાલી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સમિતિએ મંગળવારે (10 ડિસેમ્બર) સંસદમાં રજૂ પીએમએવાય પર પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે આ મિશન 2015માં શરૂ કરવામાં આવ્યો હતો અને તેને 2022માં પૂર્ણ થવું હતું, પરંતુ તેને 31 ડિસેમ્બર 2024 સુધીઆગળ વધારી દેવામાં આવ્યો છે, જેથી 122.69 લાખ મંજૂર ઘરોને પૂર્ણ કરી શકાય.
માલુમ છે કે આ યોજનાના ચાર કાર્યક્ષેત્રો છે- લાભાર્થીના નેતૃત્વ હેઠળ બાંધકામ, ઇન-સાઇટુ ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ, ભાગીદારીમાં કિફાયતી આવાસ અને એક ક્રેડિટ-લિંક્ડ સબ્સિડી યોજના, જેના અંતર્ગત અત્યાર સુધી 88.32 લાખ ઘરો પૂર્ણ થઇ ચૂક્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભાગીદારીમાં સસ્તા આવાસ હેઠળ, જ્યાં ખાનગી બિલ્ડરોને તેમની પ્રોજેક્ટોમાં આર્થિક રીતે નબળા વર્ગો (ઈડબ્લ્યુએસ) માટે આવાસ બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, 15.65 લાખ મંજૂર ઘરોમાંથી 9.01 લાખ ઘરો પૂરાં થઈ ચૂક્યા છે. તેમાંથી આશરે 54 ટકા (4.89 લાખ) ઘરો લોકોને આપવામાં આવ્યા છે અને 46 ટકા (4.12 લાખ) ખાલી છે.
તે જ રીતે રિપોર્ટમાં જાણવા મળે છે કે ઇન-સીટૂ ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ વર્ટિકલ હેઠળ, જ્યાં વસાહત ધરાવનારા લોકોના પુનર્વસન માટે ઝૂંપડપટ્ટીઓ પર અથવા તેની નજીક આવાસ બનાવવામાં આવે છે, 1.84 લાખ મંજૂર યુનિટમાંથી 67,806 પુરી થઈ ચૂકી છે અને તેમાંથી 70 ટકા (47,510) ખાલી છે.
ખાલી ઘરોના કારણ વિશે પૂછવામાં આવતા મંત્રાલયે લેખિત જવાબમાં જણાવ્યું કે ભાગીદારીમાં સસ્તા આવાસ (એએચપી) અને ઇન-સીટૂ ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ (આઈએસએસઆર) હેઠળ કુલ 9.69 લાખ પૂરાં થયેલા ઘરોમાંથી, આશરે 5.1 લાખ ઘરો લોકોને મળી ગયા છે. બાકીના ઘરો સોપી દેવાની પ્રક્રિયામાં છે.
ઘર ખાલી કેમ પડ્યા છે? આ વિશે રાજ્યોએ જે કારણો આપ્યા છે, તેમાં અધૂરું બૂનિયાદી માળખું, મકાનોની ફાળવણી ન થવી, અને જેમને ફાળવવામાં આવ્યા છે તેમની અનિચ્છા વગેરે સામેલ છે.
મંત્રાલયે કહ્યું છે કે યોજનાના માર્ગદર્શિકાઓ અનુસાર, સંબંધિત રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ સરકારને તેમના સંસાધનોમાંથી આ ઘરો માટે જરૂરી બૂનિયાદી માળખું પ્રદાન કરવું આવશ્યક છે. ટ્રંક ઇન્ફ્રાસ્ટ્રકચર એક ઘરને વસવાટ માટે યોગ્ય બનાવવા માટે જરૂરી વસ્તુઓનું સમૂહ છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર અનુસાર, કેન્દ્રએ આઇએસએસઆર વર્ટિકલ હેઠળ સહાય તરીકે 1 લાખ રૂપિયા, એએચપી માટે 1.5 લાખ રૂપિયાનો પોતાનો નિશ્ચિત હિસ્સો પ્રદાન કર્યો છે. પણ આ ઘરોમાં બૂનિયાદી સવલતોની કમી છે.
રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે, ‘સંબંધિત રાજ્ય સરકારો અત્યાર સુધી પ્રાથમિક જરૂરિયાતો આપી શકી નથી, જેના પરિણામે મકાનો ખાલી થઈ ગયા છે.’
મંત્રાલયે સમિતિને જણાવ્યું છે કે તે આ સુનિશ્ચિત કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત રીતે સંપર્ક કરી રહ્યો છે કે એએચપી અને આઈએસએસઆર પ્રોજેક્ટોના રહેવાસીઓને બૂનિયાદી માળખું પ્રદાન કરવામાં આવી શકે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે, ‘રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે તેઓ એએચપી/આઈએસએસઆર પ્રોજેક્ટોમાં બૂનિયાદી માળખાકીય સુવિધાઓને અથવા તો તેમના સ્રોતો દ્વારા અથવા અન્ય કેન્દ્રીય/રાજ્ય યોજનાઓ સાથે મળીને પૂર્ણ કરે, જેથી તેમને પાત્ર લાભાર્થીઓને સમયસર વિતરણ/ફાળવણી કરી શકાય.’
જોકે તેલગુ દેશમ પાર્ટીના સાંસદ મગુંટા શ્રીનિવાસુલુ રેડ્ડી દ્વારા અધ્યક્ષતા ધરાવતી સમિતિએ મંત્રાલય પર આ સુનિશ્ચિત કરવા માટે દબાણ કર્યું છે કે રહેવાસીઓ માટે બૂનિયાદી માળખું તૈયાર કરવામાં આવે.
સમિતિ મુજબ, ‘પીએમએવાય-શહેરી માર્ગદર્શિકાઓ મુજબ, ટ્રંક બૂનિયાદી માળખું સંબંધિત રાજ્ય/કન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તેમના પોતાના સ્રોતોથી પ્રદાન કરવામાં આવવું જોઈએ, સમિતિએ મત આપ્યો છે કે કોઈપણ કારણસર પૂર્ણ મકાનોનું ખાલી રહેવું મિશનના ઉદ્દેશને નિષ્ફળ બનાવી દેશે.’
સમિતિનું માનવું છે કે આવાસ પ્રોજેક્ટોની પ્રગતિની નજીકથી દેખરેખ કરવી, બાંધકામ અને ફાળવણી પ્રક્રિયાઓમાં અવરોધોને દૂર કરવું અને કેન્દ્ર અને રાજ્ય પ્રાધિકરણો વચ્ચે અસરકારક સમન્વય સુનિશ્ચિત કરવું મંત્રાલયની જવાબદારી છે. તેથી, સમિતિ ઇચ્છે છે કે મંત્રાલય મુદ્દાઓના ઉકેલ માટે સંબંધિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સમન્વય કરે જેથી ઇચ્છિત લાભાર્થીઓ ટૂંકામાં ટૂંકા સમયમાં ઘરો પર કબજો મેળવી શકે.
મંત્રાલયે સમિતિને કહ્યું છે કે તેણે પીએમએવાય-શહેરીના નવ વર્ષોમાંથી શીખ લેતા આ વર્ષના સપ્ટેમ્બરમાં પીએમએવાય-શહેરી 2.0 લોન્ચ કર્યું છે. આ યોજનાના અંતર્ગત પાંચ વર્ષમાં 1 કરોડ વધારાના શહેરી ઘરો બનાવવાનો હેતુ છે.