
ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડતાં ગઈ રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન અવસાન થયુ હતુ. તેમના અવસાનથી સમગ્ર દેશમાં શોક છે. અવસાન બાદ આજે રાષ્ટ્રપતિ ભવનમાં અડધી કાંઠીએ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે. પૂર્વ વડાપ્રધાનનું 92 વર્ષની વયે અવસાન થયું છે. ભારત સરકારે આજે તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલના તમામ કાર્યક્રમો બંધ
અમદાવાદના કાંકરિયા કાર્નિવલના 27 ડિસેમ્બર સુધીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાનના નિધનને લઈ રાષ્ટ્રીય શોકને કારણે AMC તરફથી આ સત્તાવાર જાહેરાત કરાઈ છે. 1 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પણ તમામ સરકારી કાર્યક્રમો રદ કરાયા છે.
2004માં દેશના 14મા PM બન્યા હતા
મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા. તેમણે મે 2014 સુધી આ પદ પર બે કાર્યકાળ પૂર્ણ કર્યા હતા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા.