
તાજેતરમાં ભરુચા જીલ્લાના ઝઘડિયામાં 10 વર્ષિય બાળકી પર ક્રૂરતા પૂર્વક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતુ. બાળકીને ગંભીર ઈજા થતાં વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીની બેવાર સર્જરી કરવી પડી હતી. હાલ બાળકીની સ્થિતિ નાજૂક છે. ત્યારે આ મુદ્દે હવે ગુજરાતમાં ભારે વિરોધ થયો છે.
ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પીડિત બાળકી અને તેના પરિવારની મુલાકાત લીધી હતી તથા દરેક પ્રકારની મદદ કરવાની બાહેંધરી આપી હતી. આ દરમિયાન આમ આદમી પાર્ટીના વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા, વડોદરા લોકસભા પ્રમુખ વિરેન રામી સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
‘બડાઈ મારવાના બદલે ગૃહમંત્રી રાજીનામું આપે’
ધારાસભ્યએ જણાવ્યું કે, ‘આ ઘટનામાં સંડોવાયેલા નરાધમો સામે સરકારે શું કાર્યવાહી કરી તેનો સરકાર જવાબ આપે, ગૃહમંત્રી હર્ષ સંઘવી બડાઈ મારવાના બદલે રાજીનામું આપે.
‘રાક્ષસી કૃત્ય કરનારને ફાંસીના માચડે ચઢાવો’
ચૈતર વસાવાએ કહ્યું આજે દીકરીઓ સલામત નથી, આરોપીઓ હિંમત કરે છે એટલે તાત્કાલિક ધોરણે ઝડપી અને કડકમાં કડક કાર્યવાહી થાય અને દાખલા બેસાડવામાં આવે અને આવા રાક્ષસી કૃત્ય કરનારને ફાંસી સુધી લટકાવવામાં આવે એવી અમે માગ કરીએ છીએ.
સ્થાનિક તંત્ર પર કર્યા સવાલ
ચૈતર વસાવાએ વધુમાં કહ્યું હતુ કે ગુજરાત સરકારને જ્યારે બીજા રાજ્યમાં કોઈ ઘટના ઘટે છે ત્યારે દેખાવો કરે છે અને લાંબા લાંબા ટ્વીટ કરે છે. સાથે અને કેન્ડલ માર્ચ પણ કરે છે પરંતુ ગુજરાત રાજ્યમાં જ ઝઘડિયામાં એક શ્રમજીવી પરિવારની દીકરી સાથે દર્દનાક ઘટના ઘટી ગઈ તે સમયે શા માટે કોઈ ભાજપના સ્થાનિક નેતાઓ કંઈ બોલતા નથી? શા માટે સરકાર આ મુદ્દા પર મૌન પાડીને બેઠી છે? મહિલા સુરક્ષાની અને બેટી બચાવોની મોટી મોટી વાતો થાય છે અને બીજી બાજુ ગુજરાતમાં એક વર્ષમાં 648 દીકરીઓ સાથે બળાત્કારની ગંભીર ઘટનાઓ ઘટી છે તે ખૂબ જ દુઃખની બાબત છે.