
તમિલ ફિલ્મ ‘પાલાયથમ્મન’માં એક મહિલા અજાણતામાં તેના બાળકને મંદિરની દાન પેટીમાં મૂકી દે છે અને બાળક ‘ટેમ્પલ પ્રોપર્ટી’ બની જાય છે. તેવી જ એક ઘટના તમિલનાડુના ચેન્નાઈ નજીક તિરુપુરમાં અરુલમિગુ કંડાસ્વામી મંદિરમાં સામે આવી છે.
તમિલનાડુના વિનયગાપુરમનો રહેવાસી દિનેશ નવેમ્બરમાં પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા આવ્યો હતો. આ દરમિયાન ખિસ્સામાંથી પ્રસાદ કાઢતી વખતે તેનો આઇફોન દાનપેટીમાં પડી ગયો હતો. આ પછી તેણે મંદિર પ્રશાસનનો સંપર્ક કર્યો અને મોબાઈલ પરત આપવાનું કહ્યું હતુ.
જોકે, મંદિર પ્રશાસને કહ્યું કે દાનપેટી બે મહિનામાં એકવાર ખોલવામાં આવે છે. આ પછી દિનેશ મંદિરમાંથી ખાલી હાથે પાછો ફર્યો હતો. મંદિરની દાનપેટી 20 ડિસેમ્બરે ખોલવામાં આવી હતી. તેમાંથી એક મોબાઈલ મળી આવ્યો હતો. મંદિર પ્રશાસને આ અંગે દિનેશને જાણ કરી હતી.
પ્રશાસને તેમને કહ્યું કે મોબાઈલ પરત નહીં કરવામાં આવે કારણ કે પરંપરા અનુસાર દાનપેટીમાં જે કંઈ આવે છે તે મંદિરના દેવતાના ખાતામાં જાય છે. તમે તમારું સિમ કાર્ડ અને ફોન ડેટા લઈ શકો છો. જોકે, દિનેશની માગણી છે કે મોબાઈલ પરત કરવામાં આવવો જોઈએ.
તમિલનાડુના મંત્રી પીકે શેખર બાબુએ કહ્યું- નિયમો અનુસાર દાનપેટીમાં પ્રસાદ મંદિરના દેવતાના ખાતામાં જાય છે. નિયમો અનુસાર, મંદિર પ્રશાસન ભક્તને તેમનો પ્રસાદ પરત કરવાની મંજૂરી આપતું નથી.
એક અધિકારીના જણાવ્યા અનુસાર દાનપેટીમાં કોઈ કિંમતી વસ્તુ પડવાનો આ પહેલો મામલો નથી. મે 2023માં કેરળના અલપ્પુઝાની રહેવાસી એસ. સંગીતાએ શ્રી ધનાદયુથપાની સ્વામી મંદિરની મુલાકાત લીધી. સંગીતા તેના ગળામાંથી તુલસીની માળા કાઢી રહી હતી ત્યારે તેની 14 ગ્રામની સોનાની ચેઈન દાનપેટીમાં ગઈ હતી.
સંગીતાએ આ અંગે મંદિર પ્રશાસનને જાણ કરી હતી. સંગીતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિરના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. આ પછી મંદિર પ્રશાસને તેમને સમાન વજનની નવી ચેન ખરીદી આપી. જૂની પરત આપી નહતી.