
- સુરત નજીક અકસ્માતની બે વિભિન્ન ઘટનાઓમાં પાંચ આશાસ્પદ યુવકોના મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં પ્રતિદિવસ વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે સુરત નજીક બે અલગ-અલગ ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતમાં પાંચ આશાસ્પદ યુવકોના મોત થયા હોવાના ચોંકાવનારા અને દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે.
એક અકસ્માતમાં વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ યુવાનોના મોત નીપજ્યા હતા. તે ઉપરાંત અન્ય એક અકસ્માતમાં ઉમરાથી અઠવાગેટ જતી વખતે પારલે પોઇન્ટ બ્રીજ પર બે યુવકો બાઇક લઇને ડિવાઇડર સાથે અથડાઇ જતાં બેના મોત નીપજ્યા છે.
આમ સુરતની આસપાસ બનેલી અકસ્માતની બે ઘટનાઓમાં પાંચ યુવાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતના સમાચાર પગલે સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ ગઇ છે.
આ પણ વાંચો-મહાકુંભમાં બે વિવિધ અકસ્માતમાં 14 લોકોના મોત; 4 ગુજરાતી
ઇકો અને બાઇક વચ્ચેના અકસ્માતમાં 3 યુવકોએ ગુમાવ્યો જીવ
સુરતના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો અને બાઇક વચ્ચે થયેલા ગમખ્વાર અક્સ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણ યુવકોના મોત નીપજ્યા છે. આ ત્રણેય યુવક સાગબારા તાલુકાના ધવલીવેર ગામના વતની હોવાનું સામે આવી રહ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઇ ગયો છે.
અકસ્માત સર્જાતા આસપાસમાંથી સ્થાનિક રહીશો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી અને અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડિવાઈડર બન્યું જીવલેણ
સુરત નજીક પારલે પોઇન્ટ બ્રિજ પર બાઇક લઇને જઇ રહેલા યુવકોની બાઇક ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ બંને યુવકોના મોત નીપજ્યા હતા.
મળી રહેલી માહિતી અનુસાર ત્રણ મિત્રો ઉમરાથી અઠવાગેટ જઇ રહ્યા હતા તે દરમિયાન પારલે પોઇન્ટ બ્રિજ પર તેમની બાઇક ડિવાઇડર સાથે ટકરાઇ હતી. બાઇક પર સવાર ત્રણેય યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બે યુવકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો- ટેરર લિંકના કારણે જમ્મુ-કાશ્મીરના ત્રણ સરકારી કર્મચારી સસ્પેન્ડ