
ગુજરાતમાં આડેધડ થતાં બોરવેલ પર કોઈ નિયંત્રણ રહ્યું નથી પરિણામે બેફામ રીતે ભૂગર્ભજળ ઉલેચાઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે તેમ છતાંય કોઈ જોનાર નથી.
ભૂગર્ભજળ પાછળ સરકાર કરોડોનું આંધણ કરી રહી છે, છતાંય પાણીના તળ ઉંચા આવી શક્યા નથી. બીજી તરફ તળીયા ઊંડે જઈ રહ્યાં છે જેથી ભૂગર્ભજળ હવે પીવાલાયક પણ રહ્યું નથી.
ખુદ કેન્દ્રીય જળશક્તિ વિભાગે એ વાતનો ખુલાસો કર્યો છે કે, ગુજરાતમાં 25 જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઇડની માત્રા વધી છે, જે માનવ સ્થાસ્થય માટે જોખમી છે.
રાજ્યસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં મિનિસ્ટ્રી ઓફ જળશક્તિએ રિપોર્ટ રજૂ કર્યો કે, ગુજરાતમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે ભૂગર્ભજળની ચકાસણી કરવા માટે જુદા જુદા વિસ્તારોમાં કુલ મળીને 632 પાણીના સેમ્પલ લીધાં હતા. જે પૈકી 88 સેમ્પલમાં ફ્લોરાઈડની માત્રા હોવાનુ માલુમ પડ્યું હતું.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પોરબંદર, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરાના વિસ્તારમાં ફલોરાઈડની માત્રા વધુ પ્રમાણમાં જોવા મળી છે.
ફ્લોરાઈડ યુક્ત ભૂગર્ભજળનો વપરાશ કરવાથી ગ્રામ્ય વિસ્તારોમાં સાંધાનો દુ:ખાવો, હાડકાં નબળા પડી જવા, દાંત સડી જવા, ચામડી, પેટના રોગ થવા, પાચનશક્તિ નબળી પડવી, વાળ ખરવા જેવા રોગ વધ્યાં છે. આ ઉપરાંત સગર્ભા મહિલા માટે તો આ પ્રદુષિત ભૂગર્ભજળ નુકશાનકારક સાબિત થઈ શકે છે.