
Gujarat ST Bus Negligence: દિવાળીના તહેવારની રોણક વચ્ચે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ (એસટી)એ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને એક નવો વિવાદ સર્જ્યો છે. પોરબંદરથી વેરાવળ જતી નિયમિત લોકલ બસ (સાંજે 5:30 વાગ્યે)ને અચાનક જ એક્સપ્રેસમાં ફેરવી દેવામાં આવી હોવાનો એક મુસાફરે આરોપ લગાવ્યો છે.
આરપો છે કે આ ફેરફારની કોઈપણ જાતની અગાઉથી જાણકારી કે બોર્ડ લગાવવામાં આવ્યું નહોતું. બસના ચોકઠા પર માત્ર “પોરબંદર-વેરાવળ” લખેલું હતું, જેના કારણે લોકલ ભાડામાં મુસાફરી કરવા બેઠેલા યાત્રીઓને ડબલ ભાડું ચૂકવવું પડ્યું. આ ઘટનાએ એસટી વિભાગની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે.
અજીત ઓડાદરાનો અનુભવ: ડબલ ભાડાનો આઘાત
‘ધ ગુજરાત રિપોર્ટ’ના વાચક અને સ્થાનિક રહેવાસી અજીતભાઈ ઓડાદરા આ જ બસમાં વેરાવળ તરફ જઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું, “હું રોજની જેમ લોકલ ભાડું ચૂકવીને બેઠો હતો. કંડક્ટરે ટિકિટ આપતાં ડબલ ભાડું માંગ્યું. પૂછતાં ખબર પડી કે આ લોકલ બસને એક્સપ્રેસમાં ફેરવી દીધી છે. કોઈ બોર્ડ નહીં, કોઈ જાહેરાત નહીં – આ તો સીધી લૂંટ છે.” અજીતભાઈએ તુરંત વેરાવળ ડેપો મેનેજરનો સંપર્ક કર્યો, જ્યાં તેમને લેખિત અરજી કરવા જણાવવામાં આવ્યું. “આવી ઘટનાઓ એસટીની પોલ ખોલી રહી છે,” તેમણે ઉમેર્યું.
તહેવારમાં મજબૂરીનો લાભ, ખિસ્સા પર તરાપ
દિવાળીના તહેવાર દરમિયાન ઘરે પરત ફરતા મુસાફરોની સંખ્યા વધુ હોય છે. આવા સમયે લોકલ બસો પર આધાર રાખનારા મધ્યમ વર્ગના યાત્રીઓને આ અચાનક ફેરફારે મોટો આર્થિક ઝટકો આપ્યો છે.
ભાડા નીતિમાં પણ વારંવાર ફેરફાર
આ ઘટના માત્ર એક દિવસની નથી. એસટી વિભાગે તાજેતરમાં પાસ સિસ્ટમમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ 15 દિવસના ભાડામાં ૩૦ દિવસની મુસાફરીની સુવિધા મળતી હતી, જે હવે 18 દિવસમાં ઘટાડી દેવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં ભાડામાં સતત વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે મુસાફરોમાં રોષ વધી રહ્યો છે.
મુસાફરોની માંગ
આ ઘટના બાદ મુસાફરોમાં આક્રોશ ફેલાયો છે. તેઓ માંગ કરી રહ્યા છે કે ગુજરાત સરકાર એસટી વિભાગની આવી લાલચુ વલણ સામે તાત્કાલિક કાર્યવાહી કરે. “જો બસ એક્સપ્રેસ બનાવવાની હોય તો અગાઉથી જાહેરાત કરો, બોર્ડ લગાવો અને મુસાફરોને જાણ કરો. આ રીતે અચાનક ભાડું વસૂલવું એ ગુનો છે,”
આ ઘટના ગુજરાતના સાર્વજનિક પરિવહન વ્યવસ્થાના વિશ્વાસ પર પ્રશ્ન ઉભા કરે છે. શું સરકાર આવી ઘટનાઓ સામે કડક પગલાં લેશે? કે પછી મુસાફરોની મજબૂરીનો લાભ લેવાનું આ ચક્ર ચાલુ રહેશે?
આ પણ વાંચો:
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!









