
Interspecies telepathy communication: એક પાળેલો કૂતરો હતો. એ એના માલિક સાથે એક ચોક્કસ ઘરમાં જતાં બહુ ડરતો. પેલા માલિકને ત્યાં અવારનવાર જવાનું થતું પણ કૂતરો સાથે હોય ત્યારે મુશ્કેલી પડતી. એમને થોડી તકલીફ પણ પડતી અને ચિંતા પણ થતી. કૂતરો એ ઘરમાં જતાં કેમ ડરે છે? એ જાણવું હતું એટલે એ ‘ઇન્ટર સ્પીસીસ કોમ્યુનિકેટર’ને મળ્યા. કોમ્યુનિકેટરે એ કૂતરા સાથે વાત કરી અને જે જવાબ મળ્યો એ સાંભળીને સૌ ચકિત થઈ ગયા. એ ઘરમાં એક વ્યક્તિએ આત્મહત્યા કરી હતી અને કૂતરાને એ વ્યક્તિ ત્યાં દેખાતી હતી. એટલે તેને એ ઘરમાં જતાં ડર લાગતો હતો.
પશુ-પક્ષી, જીવજંતુ, વૃક્ષો સાથે વાત કરવાની અનોખી કળા
વાંચીને કે સાંભળીને ગપગોળા લાગતી આ વાત શક્ય છે. જે રીતે બે મનુષ્ય એકબીજા સાથે વાત કરી શકે છે એ જ રીતે માણસ પશુ-પક્ષીઓ, વૃક્ષો, ફૂલો સાથે પણ વાત કરી શકે છે. આ પદ્ધતિને ‘ઇન્ટર સ્પીસીસ ટૅલિપથી કોમ્યુનિકેશન’ કહે છે. આ કોમ્યુનિકેશન સિસ્ટમથી પ્રકૃતિની સર્વ પ્રકારની રચનાઓ એટલે કે પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો, જીવજંતુઓ, જમીન સાથે પણ સંપર્ક કરી શકાય છે. ધ્યાન, યોગ, સુદર્શન ક્રિયા, રેઈકીને સમકક્ષ ગણાતી આ કોમ્યુનિકેશન સિસ્ટમ પ્રત્યે મોટા ભાગના લોકો અજાણ છે અને આવા કોમ્યુનિકેટર પણ આંગળીના વેઢે ગણાય એટલા છે. અમદાવાદમાં માત્ર એક ઇન્ટર સ્પીસીસ કોમ્યુનિકેટર છે અને આખા ગુજરાતમાં 10 જેટલા છે. અત્યારે પેટ્સ, પાલતુ પ્રાણીઓ સાથે વાત કરવામાં આ કોમ્યુનિકેશનનો ઉપયોગ થઈ રહ્યો છે. અમદાવાદના ઇન્ટર સ્પીસીસ કોમ્યુનિકેટર આદિત્ય રાવલ 6 વર્ષથી આ પ્રૅક્ટિસ કરે છે. તેમણે અત્યાર સુધીમાં 150થી 200 જેટલા પ્રયોગ કર્યા છે.

ઇન્ટર સ્પીસીસ કોમ્યુનિકેટર આદિત્ય રાવલ શું કહે છે?
તેમનું કહેવું છે કે પુરાતન કાળમાં ઋષિ-મુનિઓ સ્વપ્નમાં આવીને ઉપદેશ આપતા, આકાશવાણી થતી, એવું આપણે સાંભળ્યું છે. આને જ ટૅલિપથી કોમ્યુનિકેશન કહેવાય છે. કોઈ સ્વજનની યાદ આવી હોય અને થોડા જ કલાકો કે દિવસોમાં એ સ્વજનનો ફોન આવે કે એના વિશેની કોઈ વાત મળે, આપણને ઘણી વાર આવી અનુભૂતિ થતી હોય છે. આ ટૅલિપથી છે. દરેક માણસમાં આ શક્તિ રહેલી હોય છે પરંતુ તેની મોટા ભાગના લોકોને ખબર નથી હોતી એટલે જ્યારે પણ એવી કોઈ અજુગતી ઘટના બને ત્યારે આપણે તેને જોગાનુજોગ ગણાવતા હોઈએ છીએ. તેમના કહેવા પ્રમાણે જીવનમાં કોઈ અડચણ કે સમસ્યા હોય તો એનો ઉકેલ પણ આ કોમ્યુનિકેશનથી લાવી શકાય છે.
ઇન્ટર સ્પીસીસ ટૅલિપથી કોમ્યુનિકેશન એટલે શું?
વર્ષ 2020માં કોરોનાને કારણે લૉકડાઉન હતું ત્યારે ડૉગ ટ્રેનર આદિત્ય રાવલ આ કોમ્યુનિકેશન શીખ્યા હતા. તેનો ઓનલાઇન કોર્સ કરીને સર્ટિફિકેટ મેળવ્યું હતું. ગાય, કૂતરાં, બિલાડી, કાચબા, ઘુવડ, વૃક્ષો અને જમીન સાથે પણ વાત કરી ચૂકેલા રાવલના કહેવા પ્રમાણે ઇન્ટર સ્પીસીસ ટૅલિપથી કોમ્યુનિકેશનથી પ્રકૃતિ સાથે જોડાયેલાં દરેક તત્ત્વ સાથે સંપર્ક સાધી શકાય છે. એટલે સુધી કે જીવનમાં કોઈ અડચણ આવતી હોય તો તેનો ઉકેલ પણ મેળવી શકાય છે. પશુ-પક્ષીઓ, જીવજંતુઓને પડતી તકલીફ આ કોમ્યુનિકેશનથી જાણી શકાય છે.
કોમ્યુનિકેશન કેવી રીતે થાય છે?
કોઈ પણ સ્પીસીસ સાથે કોમ્યુનિકેશન કરવા માટેની કેટલીક પ્રક્રિયા છે. આ માટે કોમ્યુનિકેટરે સૌપ્રથમ મનને શાંત કરી, પાંચેય ઇન્દ્રિયને નિયંત્રિત કરવાની હોય છે, જેને ગ્રાઉન્ડિંગ ટૅક્્નિક કહે છે. તે પછી જે-તે સ્પીસીસ સાથે સંપર્ક સાધી, વાત કરવાની હોય છે. કોમ્યુનિકેટર સવાલ પૂછે તેનો જવાબ ચિત્ર સ્વરૂપે, ધ્વનિ સ્વરૂપે, ગંધ સ્વરૂપે મળતો હોય છે.









