
જયેશ રાદડીયા(Jayesh Radadiya)ના ટપોરી ગેંગ ટોળકી અંગેના નિવેદનને લઈને જયંતિ સરધારા(Jayanti Sardhara)ની પ્રતિક્રિયા સામે આવી છે. રાદડીયાનું સમર્થન કરતાં જયંતિ સરધારાએ કહ્યું જયેશભાઈની સાથે સમાજ છે. પણ બધા જાણે છે આ કોણ છે!, સામાજિક સંસ્થાના આગેવાન બનીને બેઠેલા છે, આખી દુનિયા જાણી ગઈ છે, આજ ટોળકી સક્રિય છે પણ જયેશભાઈ રાદડીયા સમાજના પ્રતિષ્ઠિત અને સ્થાપિત આગેવાન છે. વધુમાં કહ્યું સારું કામ કરવું નથી અને સમાજની આગેવાની લેવી છે. દેખાડવાના અને ચાવવાના અલગ છે આવા લોકોને હવે સમાજ ઓળખી ગયો છે. આ લોકો ખુલ્લા પડ્યા છે.
અલ્પેશ કથીરિયા પણ રાદડીયાના સમર્થનમાં
અલ્પેશ કથીરિયાએ જયેશ રાદડીયાના નિવેદનને સમર્થન આપ્યું છે. નોંધનીય છે કે, જયેશ રાદડીયાએ વિરોધીઓને ચેતવણી આપી હતી. આ નિવેદનને સમર્થન આપતા અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, ‘કોઈની તાકાત નથી કે જયેશભાઈને હેરાન કરી શકે. તેમના સમર્થકો જ આવા લોકોને પાઠ ભણાવવા કાફી’. અલ્પેશ કથીરિયાએ વધુમાં કહ્યું કે, કંઈ પણ હશે તો અમે જયેશભાઈની સાથે છીએ. જયેશભાઈ તેમના પિતાજીના વારસાને આગળ વધારી રહ્યા છે. તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ સમાજને ઘણું આપ્યું છે, વિઠ્ઠલભાઈએ જે ટપોરીઓ હતા, તેમની શાન ઠેકાણે લાવી.’
રાદડીયાએ શું કહ્યું હતુ?
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે ભાજપના યુવા નેતા જયેશ રાદડિયા દ્વારા તેમના સ્વર્ગસ્થ પિતા વિઠ્ઠલ રાદડિયાની પૃણ્ય સ્મૃતિમાં ‘પ્રેમનું પાનેતર’ નામે 511 દીકરીઓનો ભવ્ય સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વર્તમાન કૃષિ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જયેશ રાદડિયાએ સમુહલગ્નોત્સવના દાતાઓ તેમજ 11 હજારથી વધુ સ્વયંસેવકોનો આભાર માનીને પોતાના વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા.
જયેશ રાદડિયાએ જણાવ્યું કે, હું એક રાજકીય માણસ છું, સમય આવ્યે હું રાજનીતિ પણ કરું છું. આજે જેવો આ સમુહલગ્નોત્સવ સમાપ્ત થશે, ત્યારે કાલે સવારથી જ જયેશ રાદડિયાનું રાજકારણ ચાલુ થઈ જશે. આજે આ સમુહલગ્નોત્સવનું કામ મારું સમાજ માટે છે. વિઠ્ઠલભાઈ રાદડિયાના વારસદાર તરીકે મેં સમાજની જવાબદારી નીભાવી છે.
જો કે સમાજની બે ટકા ટપોરી ગેંગ જ્યાં સારું થતું હોય, ત્યાં હવનમાં હાડકા નાંખવાનું કામ કરી રહી છે. ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર સમાજનું સારું કામ હોય, તો આ ટપોરી ગેંગ ખરાબ કોમેન્ટ કરીને લેઉવા સમાજને કેદ કરવાનું કામ કરી રહી છે. આ ટપોરી ટોળકી સમાજના નામે સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો સમાજનું સારું કામ કરતા હોય, તેમને બદનામ કરવાના પ્રયત્નો કરે છે.
જયેશ રાદડિયા અને રાદડિયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટો કરવામાં આવે છે. આપણા જ સમાજના લોકો જેઓ રાજનીતિમાં નથી, પરંતુ એક યા બીજા પ્રકારે સમાજની અંદર રાજનીતિ કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આવા લોકોને સમાજે જવાબ આપવો પડે. જયેશ રાદડિયાને લેઉવા પટેલ સમાજનો નેતા નથી થવું. હું મારા સમાજનું કામ કરી રહ્યો છું. મારે કોઈના સર્ટીફિકેટની જરૂર નથી.
વધુમાં જયેશ રાદડિયાએ જણાવ્યું કે, વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે મને જે જવાબદારી સોંપી છે, તે હું નિભાવું છે. જેના કારણે કદાચ આવી ટોળકી મારી સામે પડશે, તો પણ હું સમાજની કામગીરીમાં પીછેહઠ નહીં કરું. જયેશ રાદડિયા સારું કામ કરે, આટલા ભવ્ય સમુહલગ્નનું આયોજન કરે અને જંગી જનમેદની એકઠી થાય, તો કેટલાયના પેટમાં તેલ રેડાય છે. જે લોકો રાજનીતિમાં નથી તેઓ જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો તેના ચોકઠા ગોઠવી રહ્યા છે. આવા લોકોને ઓળખવાની જવાબદારી આપણા સમાજની છે. આવા લોકોને મારો ખુલ્લો પડકાર છે કે, રાજનીતિના મેદાનમાં આવી જાવ.
આ પણ વાંચોઃ આસારામએ શરતી જામીનનો કર્યો ભંગઃ સારવાર માટે આપ્યા જામીન અને કર્યો સત્સંગ!