
આજે 25 ડિસેમ્બરે સમગ્ર વિશ્વ સહિત ભારતમાં નાતાલ પર્વની ઉજવણી થઈ રહી છે. ખ્રિસ્તી ધર્મના લોકોમાં ભારે ઉત્સાહ છવાયો છે. ત્યારે ચાલો જાણીએ ખ્રસ્તી સમુદાયમાં 25 ડિસેમ્બરે જ કેમ ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે.
એક મહિના પહેલા કરાઈ છે ઉજવણીનું શરુઆત
ક્રિસમસ દર વર્ષે 25 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. તે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓનો એક મુખ્ય તહેવાર છે, જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેની તૈયારી એક મહિના અગાઉથી શરૂ થઈ જાય છે. તેઓ ઘરો અને ચર્ચોને લાઇટ અને ક્રિસમસ ટ્રી અને ઘંટ વડે સજાવવાનું શરૂ કરે છે. આ દિવસે લોકો ઘરે મીઠાઈઓ બનાવે છે અને તેમના સંબંધીઓ, પડોશીઓ અને મિત્રોને ખવડાવી ક્રિસમસની શુભેચ્છા પાઠવે છે.
ખ્રિસ્તી ધર્મના લોકો 25મી ડિસેમ્બરે ઈશુ ખ્રિસ્તના જન્મ દિવસ તરીકે ઉજવે છે. ઇસુ ખ્રિસ્તનો જન્મ બેથલેહેમમાં જોસેફ અને મેરીને થયો હતો. એવી પ્રચલિત માન્યતા છે કે મેરીએ ભગવાન ઇસુને તબેલામાં જન્મ આપ્યો હતો. ખરેખર, જ્યારે મેરી ગર્ભવતી હતી ત્યારે તેને બેથલહેમ જવાનું હતું. આ સમય દરમિયાન રસ્તામાં, તેઓએ રોકાવાનું નક્કી કર્યું પરંતુ રહેવા માટે કોઈ યોગ્ય સ્થાન ન મળ્યું, પછી તેઓએ એક તબેલો જોયો અને મેરીએ ત્યાં જ રહેવાનું નક્કી કર્યું અને બીજા દિવસે ઈસુ ખ્રિસ્તને જન્મ આપ્યો.
ઈશુની કોઈ ચોક્કસ જન્મ તારીખનો ઉલ્લેખ નથી?
આ ઘટના ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કે, ખ્રિસ્તી ધર્મના પવિત્ર પુસ્તક બાઈબલમાં ભગવાન ઈશુની કોઈ ચોક્કસ જન્મ તારીખનો ઉલ્લેખ નથી. આવી સ્થિતિમાં વિવિધ ખ્રિસ્તી સમુદાયોએ શરૂઆતમાં 6 જાન્યુઆરી અને 25 માર્ચ જેવી અલગ-અલગ તારીખે નાતાલની ઉજવણી કરી હતી.
સમ્રાટ કોન્સ્ટેન્ટાઈનના શાસન દરમિયાન, રોમમાં ચર્ચે 25 ડિસેમ્બરને સત્તાવાર રીતે એડી 336માં નાતાલની તારીખ તરીકે અપનાવી હતી. ત્યારથી, 25 ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં ક્રિસમસ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવાનું શરૂ થયું.
આ દિવસે ક્રિસમસ ટ્રીને રોશની અને ઘંટ વડે શણગારવાની પરંપરા છે. તેમજ નાતાલના દિવસે લોકો એકબીજાને ભેટ પણ આપે છે. આ દિવસે લોકો ચર્ચમાં જાય છે અને ગીતો ગાય છે. નાતાલની રાત અને દિવસે ચર્ચમાં વિશેષ પ્રાર્થના અને સેવાઓ થાય છે. આ સમયે ભગવાન ઇસુની પૂજા અને આભાર માનવામાં આવે છે.
નાતાલનો તહેવાર માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ નહીં, પણ એક સાંસ્કૃતિક અને સામાજિક તહેવાર પણ છે. તે પ્રેમ, દયા અને સારા કાર્યોનો સંદેશ આપે છે. આ તહેવાર એકતા અને ભાઈચારાનું પ્રતિક પણ છે. તે માત્ર ખ્રિસ્તી ધર્મમાં જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકો દ્વારા પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.