
chhotaudepur: છોટાઉદેપુરના ક્વાંટમાં રસ્તાના અભારે અનેક વાર દર્દીને ઝોળીમાં લઈ જવાનો વારો આવે છે અનેક વાર આવા દ્રશ્યો સામે આવવા છતા સ્થિતિ બદલાતી નથી. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ભુંડમારિયા ગામમાં વધુ એકવાર રસ્તાના અભાવે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. અંતરિયાળ વિસ્તારો અને પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે એક ગર્ભવતી મહિલાને જીવના જોખમે ઝોળીમાં ઉંચકીને હોસ્પિટલ લઈ જવાના દ્રશ્ય સામે આવ્યા છે.
મહિલાને ઝોળીમાં હોસ્પિટલ લઈ જતા સમયે જ બાળકનો જન્મ
મળતી માહિતી મુજબ કવાંટના ભુંડમારિયા ગામના આમદા ફળિયાની ગર્ભવતી મહિલાને સવારે સાત વાગ્યે પ્રસૂતિનો દુખાવો ઊપડ્યો હતો. ગામમાં કાચા રસ્તા અને વાહન જઈ શકે તેવી પર્યાપ્ત વ્યવસ્થા ન હોવાથી પરિવારે મહિલાને ઝોળી બનાવીને ઉંચકીને રસ્તા સુધી લઈ જવાનો નિર્ણય લીધો હતો. દુર્ભાગ્ય એ હતું કે, રસ્તા સુધી પહોંચતા પહેલાં જ મહિલાને રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી.
મહિલાને અડધો કિલોમીટર દૂર 108 સુધી સ્ટ્રેચર પર ઉંચકી લઈ જવાઈ
આ પછી તાત્કાલિક નસવાડીના સરિયાપાણી સુધી 108 એમ્બ્યુલન્સ મંગાવાઈ હતી. અને ગ્રામજનોના સહકારથી મહિલાને અડધો કિલોમીટર દૂર 108 સુધી સ્ટ્રેચર પર ઉંચકી લઈ જવાઈ અને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સારા સમાચાર એ છે કે માતા અને નવજાત બંને સંપૂર્ણ સ્વસ્થ છે.
બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તંત્ર ક્યારે જાગૃત થશે ?
મહત્વનું છે કે, આવા દૃશ્ય છોટાઉદેપુરના આદિવાસી અને દુર્ગમ વિસ્તારોમાંથી વારંવાર સામે આવે છે. અને સ્થાનિકો ની અનેક રજૂઆતો પછી પણ અહીંનાં રસ્તા અને આરોગ્ય સેવાઓમાં કોઈ પ્રગતિ દેખાતી નથી. હવે પ્રશ્ન એ છે કે આખરે આ વિસ્તારોમાં બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તંત્ર ક્યારે જાગૃત થશે.
નર્મદાના ઝરવાણી ગામના લોકો રસ્તાના અભાવે જીવના જોખમે જીવી રહ્યા છે
નર્મદા જિલ્લામાં પણ ગત રાત્રીના એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતા રસ્તા ન હોવાને કારણે ગામલોકોએ તેને ઝોળીમાં નાખીને ખાડી પાર કરી. ખાડીમાં ધસમસતું પાણી હોવા છતાં જીવના જોખમે 108 એમ્બ્યુલન્સ સુધી મહિલાને પહોંચાડવામાં આવી. 108 દ્વારા ગરૂડેશ્વર હોસ્પિટલ લઈ જવાના માર્ગમાં જ મહિલાની ડિલિવરી થઈ ગઈ હતી. સદનસીબે માતા અને નવો જન્મેલ બાળક બંને સહીસલામત છે.
યોજના મંજૂર પણ થયું પણ કામ થતુ નથી
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષો જૂની આ સમસ્યાથી ગ્રામજનો ત્રાસી ગયા છે. બાળકોને સ્કૂલ મોકલાવા હોય કે બીમાર વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડવા, લોકોનો જીવ હથેળી પર રાખવો પડે છે. નર્મદા જિલ્લામાં હજુ પણ વિકાસના સ્વપ્નો અધૂરા છે. આઝાદી પછીના આટલા વર્ષો બાદ પણ નર્મદા જિલ્લાના ઝરવાણી ગામના લીંબાડા ફળિયામાં લોકો રસ્તાના અભાવે જીવના જોખમે દૈનિક જીવન જીવી રહ્યાં છે.
ચોમાસામાં ખાડીમાં પાણી ભરાઈ જતાં લીંબાડા ફળિયાનો મુખ્ય ગામ ઝરવાણી સાથે સંપર્ક તૂટી જાય છે. આવનારા દિવસોમાં અનેક મહિલાઓને પ્રસૂતિની શક્યતા હોવાથી ગ્રામજનો વધુ ભયમાં છે. ગ્રામપંચાયત અને સરપંચ દ્વારા રસ્તા અને પુલ માટે રજુઆતો કરવામાં આવી છે અને કામ મંજૂર પણ થયું છે, પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે હજુ સુધી કામ શરૂ થયું નથી. સ્થાનિક નેતાઓ અને પ્રશાસને જો તાત્કાલિક પગલાં લે તો ગ્રામજનોનું મુશ્કેલ જીવન સરળ બની શકે છે.
ગુજરાતમાં બાળકોના મૃત્યુના આંકડા
નોંધનીય છે કે, ગુજરાતમાં 1 વર્ષમાં 12 લાખ બાળકોનો જન્મ થાય છે અને 5 લાખ લોકોના મોત થાય છે જેમાં અમદાવાદમાંથી 1 વર્ષમાં 66 લોકો મરે છે અને 1 લાખ 25 હજાર બાળકોનો જન્મ થાય છે. જ્યારે 1 વર્ષમાં ગ્રામ્ય વિસ્તારમાં 3 લાખ 70 હજાર જન્મ થાય છે, 1 લાખ 60 હજાર પુરૂષ બાળક અને 1 લાખ 50 હજાર સ્ત્રી બાળકો છે તેમજ શહેરોમાં 8 લાખ 20 હજાર જન્મ જેમાં 4 લાખ 36 હજાર પુરૂષ બાળક, 3 લાખ 90 હજાર બાળકીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:
Jagannath RathYatra: પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન 625 ભક્તોની તબિયત લથડી, જાણો શું છે કારણ?
Ahmedabad Plane Crash: ગુજરાત પોલીસે પ્લેનનો વીડિયો ઉતારનાર માસૂમ આર્યનને મનથી તોડી નાખ્યો?
MGNREGA Scam: કોંગ્રેસ નેતા હીરા જોટવા બાદ પૂત્રની ધરપકડ, શું હવે અમિત ચાવડા કંઈ બોલશે?
Pakistan માં મોટો આત્મઘાતી હુમલો, 13 સૈનિકોના મોત, 10 ઘાયલ