
Ahmdedabad Plane Crash: ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકઓફની થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ, જેમાં 242 મુસાફરો સવાર હતા. આ ગોઝારી દુર્ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે, ખાસ કરીને ચરોતર પ્રદેશના આણંદ અને ખેડા જિલ્લાઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ દુર્ઘટનામાં આણંદના 33 અને ખેડાના અંદાજે 17 લોકોના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે.
ચરોતરમાં શોકની લાગણી
આણંદ જિલ્લા પ્રશાસન અને ભાજપે 33 મુસાફરોની યાદી જાહેર કરી છે, જેમાં બોરસદ, ફાંગણી, ચિખોદરા, કરમસદ, સોજીત્રા, રામનગર, ખંભોળજ, ઉમરેઠ, કસુંબાડ, ગાના, તારાપુર અને આણંદ શહેરના લોકો સામેલ હતા. આમાં એક ડૉક્ટર અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે. ખેડા જિલ્લામાં નડિયાદ, ઠાસરા, મહેમદાવાદ અને કઠલાલના લોકો પણ આ દુર્ઘટનાનો ભોગ બન્યા, જોકે ખેડા પ્રશાસન મોડી સાંજ સુધી ચોક્કસ આંકડા આપી શક્યું નથી. કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા પ્રશાંત પટેલ પણ આ વિમાનમાં હતા.
સ્ટુડન્ટ વિઝા પર પ્રથમ વખત યુકે જતા યુવાનનું મોત
આ દુર્ઘટનાએ અનેક પરિવારોના સપનાં ચૂરેચૂર કરી દીધાં. આણંદના પેટલાદ તાલુકાના ફાંગણી ગામનો યુવાન નિખિલ પટેલ સ્ટુડન્ટ વિઝા પર પ્રથમ વખત યુકે ભણવા જઈ રહ્યો હતો, પરંતુ આ દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું. આણંદના હાલાણી પરિવારના ત્રણ સભ્યો, જેઓ વિઝિટર વિઝા પર યુકેના સગાંને મળવા જઈ રહ્યા હતા, તેમનું પણ અવસાન થયું. તારાપુરનો 22 વર્ષીય પાર્થ શર્મા, જે સ્ટુડન્ટ વિઝા પર લંડન જઈ રહ્યો હતો, તેના પરિવારે તેને એરપોર્ટે મૂક્યો અને ઘરે પરત ફરતી વખતે આ દુખદ સમાચાર મળ્યા.
બોરસદના મંજુલાબેનનાનું મોત
બોરસદના મંજુલાબેન , જેઓ 10 વર્ષ , થી, 20થી વધુ વખત વિઝા રિજેક્ટ થયા બાદ દીકરાને મળવા યુકે જઈ રહ્યા હતા, તેમનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.
કપડવંજ તાલુકાના વડાલી ગામના દીર્ઘ પટેલનું નિધન
આ દુર્ઘટનામાં કપડવંજ તાલુકાના વડાલી ગામના દીર્ઘ પટેલ, જે લંડનમાં રહેતા હતા, તેમનું હૃદયદ્રાવક મૃત્યુ થયું. દીર્ઘના પિતા પ્રફુલભાઈ પટેલ કપડવંજ આઈટીઆઈમાં ફરજ બજાવે છે. તેમના બે દીકરા લંડનમાં રહે છે, જેમાંથી નાનો દીકરો દીર્ઘ માત્ર 25 દિવસ પહેલાં ઘરે આવ્યો હતો. લંડન પરત ફરતી વખતે આ ભયાનક વિમાન દુર્ઘટનામાં તેનું અવસાન થયું. આ ઘટનાએ પરિવાર અને સમગ્ર ગુજરાતને ઊંડા આઘાતમાં ડુબાડી દીધું છે.
આ પણ વાંચો:
Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 297 પર પહોંચ્યો, જાણો અત્યાર સુધીની અપડેટ