
અમરેલીમાં થયેલા લેટરકાંડમાં તપાસ તેજ કરાઈ છે. હાલ તમામ તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોપાઈ છે. ત્યારે આજે નિર્લિપ્ત રાય અમરેલી પહોંચ્યા હતા. અમરેલી સર્કિટ હાઉસ ખાતે પીડિતા પાયલ ગોટી સાથે પૂછપરછ કરવામાં આવી હતી અને તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. સતત 4 કલાક પાયલ ગોટીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
આ મુદ્દે તાજેતરમાં જ પાયલ ગોટીરીતે સરઘસ કાઢવા મુદ્દે લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતે હેડ કોન્સ્ટેબલ કિશન આંસોદરીયા, પોલીસ કોન્સ્ટેબલ વરજાંગભાઈ મૂળયાસીયા અને પોલીસ કોન્સ્ટેબલ હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા હતા.
શું હતી સમગ્ર ઘટના?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી પાયલ ગોટી સહિત 4ની ધરપકડ કરી હતી. ત્યારથી આ મામલો ઉગ્ર બન્યો છે.