
Bangladesh Violence: બાંગ્લાદેશમાં તા.૧૮ ડિસેમ્બરના રોજ રાજકીય નેતા ઉસ્માન હાદીની હત્યાને લઈને હિંસા ફાટી નીકળી હતી, ત્યારે એક હિન્દૂ યુવકને ઇસ્લામનું અપમાન કરવાના આરોપ બદલ મુસ્લિમોના ટોળાએ હત્યા કરી તેના મૃતદેહને ઝાડ પર લટકાવીને સળગાવી દેતા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે હવે,આ ઘટનામાં સત્ય બહાર આવ્યું છે જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
બાંગ્લાદેશના મૈમનસિંહ જિલ્લાના ભાલુકા ઉપ-જિલ્લામાં એક ટોળા દ્વારા દીપુ ચંદ્ર દાસ નામના હિન્દૂ યુવકને મોહંમદ પયગંબરનું અપમાન કરવાનો આરોપ લગાવી ઢોર માર મારીને હત્યા કરી તેના મૃતદેહને ઝાડ સાથે બાંધીને સળગાવી દેવામાં આવ્યો હતો
યુવક વારંવાર પોતે નિર્દોષ હોવાનું રટણ કરતો રહ્યો પણ ટોળાને તેની જરા પણ દયા ન આવી અને તેની બેરહેમી પૂર્વક હત્યા કરી નાખી.
આ ભયાનક ઘટનાની વિશ્વભરમાં નોંધ લેવાઈ હતી જોકે,હવે આ કેસની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે.
શરૂઆતમાં, તેને પયગંબર મુહમ્મદ વિરુદ્ધ નિંદા કરવાનો આરોપ લગાવાયો હતો પરંતુ પોલીસ અને રેપિડ એક્શન બટાલિયન (RAB) દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ આરોપને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા મળ્યા ન હતા જેથી હત્યાનો ભોગ બનનાર હિન્દૂ યુવકે પયગંબર મુહમ્મદ વિરુદ્ધ કોઈ ટિપ્પણી નહિ કરી હોવાનું સામે આવ્યું છે.
તપાસ અધિકારીઓ કહે છે કે હત્યાનો વાસ્તવિક હેતુ ફેક્ટરીમાં તેની સાથે કામ કરતા કર્મચારીઓ સાથે કામનો વિવાદ હતો, જેમાં ઉત્પાદન લક્ષ્યો, ઓવરટાઇમ અને યુવકે તાજેતરમાં આપેલી પ્રમોશન પરીક્ષાને લઈ હિન્દૂ યુવક સામે અંગત અદાવત અને ઈર્ષા હોવાનું કારણ સામે આવ્યુ છે.
ઢાકા ટ્રિબ્યુન અનુસાર, 27 વર્ષીય દિપુચંદ્ર દાસ પાયોનિયર નિટવેર (BD) લિમિટેડ, એક કપડાની ફેક્ટરીમાં ફ્લોર મેનેજર હતા. તેમણે તાજેતરમાં સુપરવાઇઝર પદ માટે પ્રમોશન પરીક્ષા આપી હતી.ફેક્ટરીના સિનિયર મેનેજર સાકિબ મહમૂદે જણાવ્યું હતું કે સાંજે 5 વાગ્યાની આસપાસ, કેટલાક કામદારોએ ફેક્ટરીની અંદર વિરોધ શરૂ કર્યો હતો,જેમાં દીપુ પર ધાર્મિક લાગણીઓ દુભાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
દીપુના ભાઈ, અપુ ચંદ્ર દાસે જણાવ્યું હતું કે દીપુનો કામ કરવાની પરિસ્થિતિઓ, લક્ષ્યો અને કામદારોના લાભો અંગે ઘણા સહકાર્યકરો સાથે સતત વિવાદ ચાલી રહ્યો હતો જે તા.18 ડિસેમ્બર, 2025ના રોજ, વિવાદ વધ્યો હતો અને ફેક્ટરીના ફ્લોર ઇન્ચાર્જે દીપુને રાજીનામું આપવાની ફરજ પાડી હતી.ત્યારબાદ તેને ફેક્ટરીમાંથી બહાર કાઢીને ટોળાને સોંપી દેવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું કે તેણે ધાર્મિક લાગણીઓ દુભાવવાનું કામ કર્યું છે જેથી ટોળાએ તેને પકડી માર મારવાનું ચાલુ કર્યું હતું.
અપુને દીપુના મિત્ર હિમેલનો ફોન આવ્યો, જેમાં તેને જાણ કરવામાં આવી કે દીપુને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યો છે, પરંતુ થોડા સમય પછી, તેને ખબર પડી કે તેનું મૃત્યુ થઈ ગયું છે. જ્યારે અપુ ઘટનાસ્થળે પહોંચ્યો, ત્યારે તેણે મૃતદેહ સળગેલો જોયો.
પોલીસના જણાવ્યા અનુસાર, દીપુને ફેક્ટરીથી લગભગ એક કિલોમીટર દૂર હાઇવે પર માર મારવામાં આવ્યો હતો તેના મૃત્યુ પછી, તેના શરીરને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યું હતું, તેના પર કેરોસીન છાંટીને આગ લગાવી દેવામાં આવી હતી.આ ઘટનાના ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં ભીડ દીપુને માર મારતી અને તેના શરીરને સળગાવતી જોવા મળી હતી.
■ઢાકા ટ્રિબ્યુન અને ડેઇલી સ્ટારએ શું કહ્યું?જાણો
●મૈમનસિંઘના અધિક પોલીસ અધિક્ષક અબ્દુલ્લા અલ મામુને કહ્યું, ધાર્મિક નિંદાના આરોપો ફક્ત બોલચાલના છે,અમને હજુ સુધી તેમાં કોઈ સત્ય મળ્યું નથી.
●ભાલુકા મોડેલ પોલીસ સ્ટેશનના અધિકારી મોહમ્મદ જાહિદુલ ઇસ્લામે કહ્યું કે ધાર્મિક અપમાનના કોઈ પુરાવા મળ્યા નથી હવેની તપાસ ફેક્ટરીમાં આંતરિક વિવાદો પર કેન્દ્રિત છે.
●આરએબી કંપની કમાન્ડર મોહમ્મદ શમસુઝમાને કહ્યું, “ઘટનાસ્થળે કોઈએ દીપુને ધર્મ વિરુદ્ધ કંઈ કહેતા સાંભળ્યા નથી. ફેસબુક કે ઓનલાઈન કોઈ પોસ્ટ મળી નથી.
ઘટના સાંજે 4 વાગ્યે શરૂ થઈ જ્યારે ફ્લોર ઇન્ચાર્જે દીપુને રાજીનામું આપવા દબાણ કર્યું અને તેને ગુસ્સે ભરાયેલા ટોળાને સોંપી દીધો.
●સ્થાનિક વોર્ડ સભ્ય તોફઝેલ હુસૈને કહ્યું, “આ ધાર્મિક લાગણી દુભાવવાથી નહીં, પણ એક પૂર્વ આયોજિત કૃત્ય હોય તેવું લાગે છે કેમકે દીપુને ફેક્ટરીમાંથી કાઢી મૂકવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
■આ કેસમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઢાકા ટ્રિબ્યુન અનુસાર, ધરપકડ કરાયેલા લોકોમાં ફેક્ટરી ફ્લોર મેનેજર આલમગીર હુસૈન, ક્વોલિટી ઇન્ચાર્જ મિરાજ હુસૈન અકોન અને કામદારો આશિકુર રહેમાન, કય્યુમ, લિમોન સરકાર, તારિક હુસૈન, મૈનિક મિયા, ઇર્શાદ અલી, નિઝામુદ્દીન, અજમલ હસન સગીર, શાહિદ મિયા અને નઝમુલનો સમાવેશ થાય છે. તપાસ ચાલુ છે અને વધુ લોકોની ધરપકડ થઈ શકે છે.
■ભારતે એક હિન્દૂ યુવકની આ ભયાનક હત્યા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “અમે બાંગ્લાદેશની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.અમે લઘુમતીઓ પરના હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી છે અને ગુનેગારોને સજા મળે તેવી માંગ કરી છે.”
બાંગ્લાદેશની વચગાળાની સરકારે પણ આ હત્યાની કડક નિંદા કરી હતી. સરકારે કહ્યું હતું કે, “નવા બાંગ્લાદેશમાં આવી હિંસા માટે કોઈ સ્થાન નથી. ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.” તપાસ પૂર્ણ થયા પછી તેઓએ દોષિતોને સજા આપવાનું વચન આપ્યું છે.
જોકે,બાંગ્લાદેશમાં હિન્દૂ યુવકની મુસ્લિમોના ટોળાઓ દ્વારા થયેલી ઘાતકી હત્યાના વાયરલ વિડીયો દુનિયાભરમાં ફેલાઈ જતા કટ્ટરવાદી માનસનો વરવો ચહેરો ખુલ્લો પડી ગયો છે.
https://x.com/ChandanSharmaG/status/2003016633577844936?s=20
આ પણ વાંચો:
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?








