
- પત્ની સાથે બળજબરીપૂર્વક અકુદરતી સેક્સનો કેસ; છત્તીસગઢ હાઈકોર્ટે પતિને નિર્દોષ જાહેર કરતા ઉભી થઈ નવી ચર્ચા
છત્તીસગઢ હાઈકોર્ટે 10 ફેબ્રુઆરીના રોજ એક વૈવાહિક બળાત્કારના કેસ પર પોતાનો ચુકાદો આપતા કહ્યું કે પતિ દ્વારા તેની પત્ની સાથે અકુદરતી જાતીય સંભોગને બળજબરીથી કરવો તે સજાપાત્ર નથી.
હાઈકોર્ટના આ નિર્ણયથી ફરી એકવાર વૈવાહિક બળાત્કાર અને સંમતિ વિના અકુદરતી જાતીય સંબંધો અંગે ભારતીય કાયદામાં રહેલી છટકબારીઓ પર ચર્ચા વધુ તીવ્ર બની છે.
છત્તીસગઢ હાઈકોર્ટના ન્યાયાધીશ નરેન્દ્ર કુમાર વ્યાસની સિંગલ બેન્ચે પોતાના ચુકાદામાં પીડિતાના પતિને ભારતીય દંડ સંહિતાની કલમ 376 (બળાત્કાર), 377 (અકુદરતી જાતીય સંભોગ) અને 304 (હત્યા ન ગણાતા ગુનાહિત હત્યા) હેઠળ નિર્દોષ જાહેર કર્યો અને આરોપીને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
ન્યાયાધીશ વ્યાસે કહ્યું, “જો પત્નીની ઉંમર 15 વર્ષ કે તેથી વધુ હોય તો પતિ દ્વારા તેની પત્ની સાથે જાતીય સંભોગ કરવો બળાત્કાર ગણાશે નહીં. આવી સ્થિતિમાં અકુદરતી કૃત્ય માટે પત્નીની સંમતિનો અભાવ પણ બિનમહત્વપૂર્ણ બની જાય છે.”
ન્યાયાધીશ વ્યાસે જણાવ્યું હતું કે IPCની કલમ 375 હેઠળ અપવાદ-2 ની જોગવાઈ મુજબ પતિ દ્વારા તેની પત્ની સાથે જાતીય સંભોગ બળાત્કાર નથી, તેથી જો પતિએ કલમ 377 હેઠળ વ્યાખ્યાયિત કોઈપણ અકુદરતી કૃત્ય કર્યું હોય તો પણ તેને ગુનો ગણી શકાય નહીં.
પીડિતાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાથી આ કેસ સરકાર દ્વારા લડવામાં આવી રહ્યો હતો.
સરકારી વકીલ પ્રમોદ શ્રીવાસ્તવે આ નિર્ણય પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટમાં કેસની અપીલ અંગે છત્તીસગઢ સરકારનો કાયદા વિભાગ નિર્ણય લેશે.”
આ દરમિયાન કોર્ટના નિર્ણય પછી છત્તીસગઢ હાઈકોર્ટના વકીલ જયદીપ યાદવે બીબીસીને જણાવ્યું, “ખરેખર, આ નિર્ણયો કોઈક રીતે પતિઓના બળજબરીથી જાતીય સંબંધો બાંધવાના પ્રયાસોને પ્રોત્સાહન આપે છે, કારણ કે બદલામાં તેમને કોઈ સજા કે દંડ મળશે નહીં. પતિ હોવાના નામે સ્ત્રી સાથે પ્રાણી જેવો વ્યવહાર કરવો સ્વીકાર્ય ન હોઈ શકે.”
છત્તીસગઢ હાઈકોર્ટના આ નિર્ણયથી વૈવાહિક સંબંધો સંબંધિત કેસોમાં કાનૂની છટકબારીઓ અંગે ચિંતા ફરી એકવાર ઉજાગર થઈ છે, જ્યાં પત્નીની સંમતિને બિનમહત્વપૂર્ણ માનવામાં આવે છે.
શું છે આખો મામલો?
છત્તીસગઢના બસ્તર જિલ્લાના એક 40 વર્ષીય પુરુષ પર તેની પત્ની સાથે અકુદરતી સેક્સ માણવાનો અને તેણીના મૃત્યુનું કારણ બનવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
પતિ પર તેની પત્ની સાથે બળજબરી અને અકુદરતી સેક્સ કરવાનો આરોપ હતો.
આ કેસમાં પીડિતાના પતિ વિરુદ્ધ IPCની કલમ 376, 377 અને 304 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
પીડિતાએ મૃત્યુ પહેલા આ મામલે નિવેદન આપ્યું હતું. આ નિવેદન એક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા નોંધવામાં આવ્યું હતું.
પોતાના નિવેદનમાં પીડિતાએ કહ્યું હતું કે તેના પતિ દ્વારા બળજબરીથી જાતીય સંભોગ કરાવવાને કારણે તે બીમાર થઈ ગઈ હતી.
મે 2019 માં જિલ્લા કોર્ટે પીડિતાના પતિને બળાત્કાર, અકુદરતી કૃત્ય અને ઈરાદાપૂર્વક હત્યા ન ગણાતા ગુન્હા માટે દોષિત ઠેરવ્યો અને તેને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
જોકે, પીડિતાના પતિએ જિલ્લા કોર્ટના આ નિર્ણય સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. જે બાદ હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને ફગાવી દીધો છે અને પીડિતાના પતિને નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપ્યો છે.
આ બાબતે વકીલો અને મહિલા કાર્યકરો શું કહી રહ્યા છે?
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ કરુણા નંદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
તેમણે લખ્યું, “ન્યાયાધીશો કાયદાથી બંધાયેલા હતા. નવા ભારતીય ન્યાયિક સંહિતામાં વૈવાહિક બળાત્કારના અપવાદ હેઠળ રાખવામાં આવ્યો છે. જો કોઈ પતિ તેની પત્નીના શરીરના કોઈપણ ભાગમાં તેની સંમતિ વિના કોઈ વસ્તુ અથવા અંગ દાખલ કરે છે, તો તેને બળાત્કાર ગણવામાં આવશે નહીં. નવા ભારતીય ન્યાયિક સંહિતામાં આમાં ફેરફાર કરી શકાયો હોત, પરંતુ તેને જેમ છે તેમ છોડી દેવામાં આવ્યું હતું. અમે આ વૈવાહિક બળાત્કારના અપવાદને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.”
મધ્યપ્રદેશ સ્થિત વકીલ રાજેશ ચંદ કહે છે કે કલમ 375 માં કરવામાં આવેલા ફેરફારો અકુદરતી જાતીય સંબંધો પર સ્પષ્ટતા માંગે છે.
તેમણે કહ્યું, “વર્તમાન પરિસ્થિતિમાં અકુદરતી જાતીય સંબંધો પર સ્પષ્ટતાની જરૂર છે કારણ કે પરંપરાગત સંબંધો અને જાતીય સંબંધોની પ્રણાલીઓ સમલૈંગિક લગ્નોમાં લાગુ પડતી નથી. તે ઉપરાંત, વૈવાહિક બળાત્કાર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી જ આવા કેસોમાં યોગ્ય દિશામાં નિર્ણય લઈ શકાય છે.”
મહિલાઓ અને બાળકો સંબંધિત બાબતો પર કાનૂની લડાઈ લડતી વકીલ રાધિકા થાપર કહે છે કે આવા નિર્ણયો મહિલાઓને પિતૃસત્તાક સમાજમાંથી મુક્ત નહીં કરે અને આ નિર્ણયને જોતાં સ્પષ્ટ થાય છે કે મહિલાઓને માત્ર વસ્તુ બનીને રહી ગઈ છે.
રાધિકા કહે છે, “આવા નિર્ણયો વૈવાહિક બળાત્કારને પતિ-પત્ની વચ્ચેના સંબંધ સુધી મર્યાદિત રાખે છે અને આ નિર્ણયો વૈવાહિક બળાત્કાર વિશે જાગૃતિ ફેલાવવાની વિરુદ્ધ કરે છે.”
તેઓ કહે છે, “આ કેસમાં બધા પુરાવા હોવા છતાં આવો નિર્ણય લેવામાં આવ્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ કોઈક રીતે વૈવાહિક બળાત્કારને સામાન્ય કૃત્યના સ્તરે લાવે છે. આ કિસ્સામાં પીડિતાના પતિને કાયદાના દાયરામાં આ કૃત્ય માટે સજા થઈ શકી હોત.”
મહિલા સશક્તિકરણ માટે કામ કરતી બિન-સરકારી સંસ્થા, RIT ફાઉન્ડેશનના સ્થાપક ડૉ. ચિત્રા અવસ્થી કહે છે, “લગ્નમાં જાતીય સતામણીના કેસોમાં મહિલાઓએ ઘણી વખત પોતાનો અવાજ ઉઠાવ્યો છે, હવે બળાત્કાર સંબંધિત કાયદાઓમાં ફરીથી વિચાર કરવાની જરૂર છે.”
“આવા નિર્ણયો કોર્ટમાં નોંધાયેલા વૈવાહિક બળાત્કારના કેસોને પણ અસર કરે છે. સ્ત્રી કોઈની મિલકત અને રમકડું નથી જેની સાથે કંઈપણ કરી શકાય.”
નવા કાયદામાં પણ કોઈ રાહત આપવામાં આવી નથી
1 જૂલાઈથી 2024થી લાગું થયેલી ભારતીય ન્યાય સંહિતા (BNS), જેને આઈપીએસની જગ્યા લીધી છે, તેમાં પણ વૈવાહિક બળાત્કરને અપરાધ માન્યું નથી.
બીએનએસમાં કલમ 377 જેવી કોઈ જોગવાઈ નથી જે સંમતિ વિનાના અકુદરતી જાતીય સંબંધને ગુનાહિત બનાવે છે.
કેન્દ્ર સરકારનો એવો પણ તર્ક છે કે વૈવાહિક બળાત્કાર જેવી કડક શિક્ષાત્મક જોગવાઈઓ લાદવી અન્યાયી હશે અને તેના વ્યાપક સામાજિક-કાનૂની પરિણામો આવી શકે છે.
છત્તીસગઢ હાઈકોર્ટનો આ નિર્ણય વૈવાહિક સંબંધોમાં પત્નીની સંમતિને તુચ્છ બનાવે છે, જોકે સુપ્રીમ કોર્ટના તાજેતરના ઘણા નિર્ણયોમાં મહિલાઓની જાતીય સ્વાયત્તતા અને અધિકારો પર ભાર મૂકવામાં આવ્યો છે.
વૈવાહિક બળાત્કાર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવે ત્યાં સુધી પ્રશ્ન એ રહે છે કે શું પતિને તેની પત્ની સાથે બળજબરીથી સેક્સ કરવા બદલ સજા નહીં મળે?
આ પણ વાંચો- રાજ્યના ગૃહ વિભાગે ACBના ડિરેક્ટર તરીકે IPS પિયુષ પટેલની કરી નિમણૂક








