
- અમદાવાદમાં યુગલે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત
રાજ્યમાં આપઘાતના કેસોમાં ખુબ જ વધારો થયો છે. વિદ્યાર્થીઓથી લઈને સામાન્ય લોકો આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. અમદાવાદ સાબરમતી નદીમાં એક યુગલે ઝંપલાવીને આત્મહત્યા કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
ખાનપુર સાબરમતી રિવરફ્રન્ટ પાસે નદીમાં યુગલે હાથમાં દુપટ્ટો બાંધી નદીમાં કૂદીને આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ સહિત પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી છે અને બંને યુવક અને યુવતીને નદીમાંથી બહાર કાઢીને ચકાસતા બંને મૃત હાલતમાં જણાયા હતા. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આજે રવિવારે સાંજે 4 વાગ્યાની આસપાસ ખાનપુર તરફ કામા હોટલ પાસે આવેલા વોક વે પરથી યુવક-યુવતીએ નદીમાં ઝંપલાવ્યું હતું. આ મામલે સાબરમતી નદીના રેસ્ક્યુ ટીમે જાણ થતાં ઘટનાસ્થળે દોડીને યુગલે નદીમાંથી બહાર કાઢ્યા હતા. આ પછી 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા બંનેને તપાસતા યુગલ મૃત જાહેર કર્યા હતા.
આપઘાતના કેસમાં બંને યુવક-યુવતીએ હાથમાં દુપટ્ટો બાંધીને મોતને વ્હાલું કર્યુ હતું. યુવતીના ડાબા હાથે પ્રિયાંશી લખેલું ટેટૂ જોવા મળ્યું છે. સમગ્ર મામલે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.