
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકે રાજ્યમાં નવી 9 મહાનગરપાલિકાઓ કાર્યરત કરવાની મંજૂરી ગઈકાલે આપી છે. નવી મહાનગરપાલિકાઓ તાત્કાલિક અસરથી અમલમાં આવતા નગરપાલિકાઓની વર્તમાન પાંખની અવેજીમાં હવે સંબંધિત જિલ્લા કલેકટર મહાનગરપાલિકાઓના વહીવટદાર તરીકે ફરજ બજાવશે.
મહેસાણા, નવસારી, નડિયાદ (ખેડા), વાપી (વલસાડ), આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ (કચ્છ)ના જિલ્લા કલેકટર આ મહાનગરપાલિકાના વહીવટીદાર તરીકે કાર્યભાર સંભાળશે.
રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા થઈ
ગુજરાતમાં અત્યાર સુધી 8 મહા નગરપાલિકા હતી. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર સામેલ છે. પરંતુ રાજ્ય સરકારે 9 નવી મહા નગરપાલિકાને મંજૂરી આપતાં હવે મનપાની સંખ્યા વધીને 17 અને નગરપાલિકાઓની સંખ્યા 149 થઈ ગઈ છે. છેલ્લા ઘણાં સમયથી આ તમામ શહેરના લોકોની માગ હતી, જે હવે પૂર્ણ થઈ છે. જેને લઈને હાલ અહીંના લોકોમાં ખુશીનો માહોલ છે.
આ અધિકારીઓને મ્યુનિસિપલ કમિશનર તરીકે મળી જવાબદારી
- નડિયાદ મ્યુ. કમિશનર તરીકે મીરાંત પરીખ
- પોરબંદર મ્યુ. કમિશનર એચ. જે. પ્રજાપતિ
- મહેસાણા મ્યુ. કમિશનર રવીન્દ્ર ખટાલે
- વાપી મ્યુ. કમિશનર તરીકે યોગેશ ચૌધરી
- સુરેન્દ્રનગર મ્યુ. કમિશનર તરીકે જી. એચ. સોલંકી
- આણંદ મ્યુ. કમિશનર તરીકે મિલિન્દ બાપના
- નવસારી મ્યુ. કમિશનર તરીકે દેવ ચૌધરી
- ગાંધીધામ મ્યુ. કમિશનર તરીકે એમ. પી. પંડ્યા
- મોરબી મ્યુ. કમિશનર તરીકે સ્વપ્નિલ ખરે
નવી મનપા બનાવવાનો હેતુ શું?
નીતિ આયોગની ‘સિટીઝ એઝ એન્જિન્સ ઓફ ગ્રોથ’ સંકલ્પના સાર્થક કરવા પ્રમાણમાં મોટા શહેરી વિસ્તારોનું ભવિષ્યલક્ષી આયોજન અને સુચારૂ વહીવટતંત્ર સ્થાપી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓની રચના કરીને તેમાં વિકાસલક્ષી કામો અને વહીવટીતંત્રમાં અસરકારકતા તેમજ પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવી છે.