
- ચિંતા ન કરો મહેનત રંગ લાવશે! માત્ર 355 કરોડ રૂપિયામાં પીએમ મોદીએ 52 દેશો સાથે બનાવ્યા સારા સંબંધ
અમેરિકાની મુલાકાત પછી આપણા માનનિય વડાપ્રધાન એક વખત ફરીથી પોતાના પ્લેનમાં ઉડી ગયા છે. આ વખતે તેઓ મોરેશિયસની ધરતી ઉપર ટહેલી રહ્યા છે. મોરિશિયસ સાથે સારા સંબંધ બનાવીને ભારતીયોનો વિકાસ થાય તેની સંપૂર્ણ કોશિશ કરવામાં લાગ્યા છે. ભલે અમેરિકા સાથે તેમની કોશિશ રંગ લાવી નહતી, તેથી તેની ભરપાઈ કરવા તેઓ મોરિશિયસ ગયા છે અને ત્યાંથી ભારતીયો માટે સારા સમાચાર લઈને આવશે. તેથી દેશવાસીઓને પોતાના વિકાસને લઈને વધારે ચિંતા કરવાની જરૂર નથી. જ્યાર સુધી પીએમ મોદી છે, ત્યાર સુધી કંઈ વાંધો આવે તેમ દેખાઈ રહ્યુ નથી. હાં એક વાત જરૂર છે કે, તેઓ આપણા માટે આટલા બધા પ્રવાસ કરે છે તો થોડો ઘણો ખર્ચો પણ થઈ શકે છે. તેમાં ક્યાં આરટીઆઈઓ કરવાની જરૂર હોય છે.
પીએમ મોદી વિદેશમાં જાય એટલે દેશની જનતા તરત જ આરટીઆઈ કરીને માહિતી કઢાવી લે છે. આવું કરાય તમે જ કહો.. પેલો વ્યક્તિ આપણા વિકાસ માટે રાત-દિવસ એક કરી રહ્યો છે તો બીજી તરફ કેટલાક લોકો દ્વારા તેમના ખર્ચાઓ ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. દેશના લોકો પોતાના વિકાસ માટે આટલા પણ પૈસા ન ખર્ચી શકે? તો હવે આરટીઆઈ કરી દીધી છે તો પછી જણાવી જ દઈએ કે, પોતાને દેશના ફકીર ગણાવતા પીએમ મોદીએ પાછલા ચાર વર્ષમાં 52 દેશોની વર્લ્ડ ટૂર કરી છે. આ 52 દેશોની મુલાકાત દરમિયાન 165 દિવસ તેઓ વિદેશી ધરતી ઉપર રહીને દેશના વિકાસ માટે તન્મય રહ્યા હતા, તેવું તમારે મનોમન માની લેવાનું કેમ કે દેવ જેવા પીએમ મોદી જરાપણ કામચોરી કરે તેવા નથી. તેમના ઉપર વિશ્વાસ જ તમને તારવી શકે છે. તેમની મહેનતના કારણે તો દેશની મોંઘવારી-બેકારી કંટ્રોલ થઈ રહી છે. બીજા દેશોમાંથી રોકાણકારો ભારત આવીને ફેક્ટરીઓ લગાવવા માટે પડાપડી કરી રહ્યા છે.
ફ્રાન્સ, જર્મની અને કેનેડાની મુલાકાતમાં ભલે 31 કરોડ રૂપિયાનો ખર્ચ થયો પરંતુ આજ નહીં તો કાલ ત્યાંથી રોકણ ભારત આવી જ જશે. આમ જોવા જઈએ તો 9 દિવસનો ફ્રાન્સ, જર્મની અને કેનેડાની મુલાકાત ખુબ જ મોંઘી ન કહેવાય. હવે વિકાસ માટે આટલો મામૂલી ખર્ચ તો કરવો પડે. ખર્ચ કરો તો રોકાણ આવે, તમે પૈસો જ ન ખર્ચો તો ક્યાંથી બીજો પૈસો દેશમાં આવશે. તેથી 31 કરોડ રૂપિયા સામે જોવાનું નથી, માત્ર પીએમ મોદીની મહેનત સામે જૂઓ.. આજ નહીં તો કાલે જરૂર રંગ લાવશે.
હવે પીએમ મોદી બહાર જાય ત્યારે આટલો તો ખર્ચ થાય તે જનતાને સમજવું રહ્યું. કેમ કે હાલમાં પીએમ મોદી સુરત આવ્યા હતા, તેમાં 350 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાની વાત ચાલી રહી છે. પીએમ મોદી પહેલા ગુજરાતની મુલાકાતે આવતા તો તેના પાછળ ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો પરંતુ હવે તેમની દરેક મુલાકાત પાછળ 31 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.
કેટલાક અવળચંડા લોકોએ પીએમ મોદીના સ્વદેશ પ્રવાસ ઉપર કેટલો ખર્ચ થયો તેના વિશે આરટીઆઈ કરી હતી. તે તો સારૂ થયું કે તેને રિઝેક્ટ કરી દેવામાં આવી. પરંતુ આપણે માની લેવાનું કે પીએમ મોદીની સુરક્ષામાં જ પ્રતિદિવસ કરોડો રૂપિયાનો ખર્ચો થતો હોય તો તેમની રાજ્યોની મુલાકાત પાછળ થોડા ઘણા પૈસા ખર્ચ થાય તે સ્વભાવિક છે. તેમાં ક્યાં આરટીઆઈ કરવાની જરૂરત છે. આપણે બધું જાણીએ જ છીએ.
પીએમ મોદી સાથે સ્વદેશ પ્રવાસમાં પણ મસમોટા કાફલા હોય છે. તે આપણે ક્યાં નથી જાણતા. જેમ કે ગુજરાતના સુરતમાં પીએમ મોદી આવવાના હતા, તો તેમની તૈયારીઓમાં હજારોની સંખ્યામાં સરકારી અધિકારી અને લોકોને લગાવી દેવામાં આવ્યા હતા. રોડ-રસ્તા સારા બનાવ્યા, સાફ સફાઈ કરાવી, પોસ્ટરો બનાવ્યા, તેમના માટે સુરક્ષા પૂરી પાડવા માટે રાજ્યભરની પોલીસને ત્યાં ખડકી દેવામાં આવી અને સાથે-સાથે તેમની રેલી માટે માનવ મહેરામણ ભેગી કરવા માટે રાજ્યભરની બસો દોડાવવામાં આવી. આ બધી રાજ્યોની ફરજ છે. પીએમ મોદી આવતા હોય ને આટલું ન કરે તો સારૂં ન લાગે.. કેમ કે તે વ્યક્તિ આપણા માટે દુનિયાભરમાં ફરતો રહે છે. તેવામાં પોતાના ઘરે આવે તો પછી ખર્ચા પાછળ થોડું દેખાય.. ભલે દેવું કરવું પડે પણ તે મહામાનવની આગતા સ્વાગતામાં જરાપણ કચાશ રાખવી જોઈએ નહીં. ગુજરાતની જનતા દેવું ભરપાઈ કરવા માટે તૈયાર છે, તેથી તો પાછલા 30 વર્ષથી સતત વિકાસ કરવા માટે પીએમ મોદીની પાર્ટીને જીતાડી રહી છે. તેથી પીએમ મોદીની આગતાસ્વાગતામાં જરાપણ કચાશ રાખવી ન જોઈએ.
આ તમામ તૈયારીઓમાં પીએમ મોદીના વિદેશ પ્રવાસ કરતાં વધારે ખર્ચો બેસે છે. એક ડેટા અનુસાર, પીએમ મોદી સ્વદેશમાં કોઈ એક ટૂર કરે છે, તો તેના પાછળ પહેલા 10 કરોડ રૂપિયા ખર્ચ આવતો હતો. પરંતુ હવે તેમાં ધરખમ વધારો થયો છે. હવે પીએમ મોદીની કોઈ રાજ્યની ટૂર પર 30-31 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.
આટલી દોડોદોડી અને કરોડો રૂપિયાના ખર્ચા પછી દેશનું ભવિષ્ય થોડું કંઈ અંધકારમય બની શકે, પીએમ મોદી ગમે તે ભોગે દેશના યુવકોને રોજગાર-ધંધો આપશે તેવી યુવાઓને આશા છે. હજું પણ વિશ્વના નકશામાં થોડા-ઘણા દેશો બચ્યા છે, તેમના સાથે સારા સંબંધ સ્થાપિત કરવા માટે 2029માં પીએમ મોદીને જીતાડવા જરૂરી છે. જેથી થોડા ઘણા બચેલા દેશોની મુલાકાત કરીને ત્યાંથી દેશના યુવાઓ માટે બેકારી-મોંઘવારી દૂર થાય તેવી ડિલ કરીને દેશમાં વધેલી નાની-એવી સમસ્યાઓ પણ દૂર કરી દેશે. તે પછી વિપક્ષ પાસે કોઈ મુદ્દો બચશે જ નહીં.
આ પણ વાંચો- Gujarat Earthquake: કચ્છમાં 1 દિવસમાં બેવાર ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ