
આજે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ભાવનગરથી તળાજાને જોડતા હાઈવે પર ત્રાપજ નજીક વહેલી સવારે 6:00 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. સુરતથી ઉના તરફ જઈ રહેલી લક્ઝરી બસના ચાલકે હાઇવે પર રેતી ભરેલા ડમ્પરની પાછળ ધડાકાભેર ઘૂસાડી દીધી હતી. જેમાં બાળકો સહિત બસમાં સવાર 6 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યાં છે અને 15થી વધારે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા હાઈવે મુસાફરોની ચીચીયારીઓથી ગુંજી ઊઠયો હતો. આ ગમખ્વાર અકસ્માતના પગલે બસમાં સવાર 6 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે 15થી વધુ લોકોને ઈજા થતાં સારવાર અર્થે તળાજા અને ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જો કે, ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત પણ હજુ ગંભીર મનાઈ રહી છે. જેના કારણે હજુ પણ મૃત્યુઆંક વધે તેવી શક્યતા જણાઈ રહી છે.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બસની એક સાઈડનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બસના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાય છે. બીજી તરફ અકસ્માતના પગલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ અકસ્માતની કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણિયા જાણ થતાં ભાવનગર સર.ટી હોસ્પિટલના સ્ટાફને ફટાફટ જાણ કરી હતી. ઈજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર માટે જે પણ કરવું પડે તે કરવાં સુચના આપી હતી. કલેક્ટર સાથે સતત સંપર્કમાં રહી તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ પર પહોંચવા અને બનતી તમામ મદદો કરવા સુચના આપી હતી.
મૃતકોના નામ
• ગોવિંદ કવાડ (ઉં.વ. 4)
• તમન્ના કવાડ (ઉં.વ. 7)
• જયશ્રી નકુમ (ઉં.વ. 38)
• ખુશીબેન બારૈયા (ઉં.વ. 8)
• ચતુરાબેન હડિયા (ઉં.વ. 45)
• છગનભાઇ (ઉં.વ. 45)







