
- ગુજરાત સરકારની કેનાલ બનાવવામાં કામચોરી; રાજ્યના ખેડૂતોને માત્ર દિવાસ્વપ્ન
નર્મદાને ગુજરાતની જીવાદોરી માનવામાં આવે છે. રાજ્યના લાખો ખેડૂતો તેના પાણી આવવાની રાહ જોઈને કાંગડા ડોળે રાહ જોઈ રહ્યા છે. ગુજરાતના અનેક વિસ્તારો ભૂગર્ભ પાણી બાબતે ડાર્ક ઝોનમાં આવી ગયા છે. પરંતુ વર્ષોથી સત્તામાં રહેલી ભાજપ સરકાર ખેડૂતોને પાણી ચોરવા બાબતે કેસ નોંધી રહી છે પરંતુ બીજી તરફ સરકાર પોતે પોતાના કામને પુરૂં કરવામાં કામચોરી કરી રહી છે. આજે પણ લાખો ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહ્યુ નથી. કેમ કે વર્ષોથી સત્તામાં રહેલી બીજેપી સરકાર કેનાલો બનાવવામાં નિષ્ફળ ગઈ છે. પોતે સરકારે સ્વીકાર્યું છે કે, હજું સુધી 5,921 કિલોમીટર કેનાલ બનાવવાની બાકી છે.
એક તરફ સરકાર ખેડૂતોની આવક ત્રણ ઘણી વધારવાની વાત પાછલા ઘણા વર્ષોથી કરી રહી છે. પરંતુ બીજી તરફ જે વિસ્તારમાં કેનાલ થકી સિંચાઈનું પાણી આપવામાં આવે છે, તેમાં પણ પૂરતા પ્રમાણમાં ન આપવાના કારણે ખેડૂતોને હાંલાકી ભોગવવાનો વારો આવે છે, તો ખેડૂત પોતાના સૂકાતા પાકને લઈને કેનાલમાંથી પાણી લઈ લે તો તેના ઉપર પાણી ચોરીનો આરોપ નાંખીને કેસ કરી દેવામાં આવે છે. આમ ગુજરાતનો ખેડૂતને બધી જ બાજું માર મારવામાં આવી રહી છે. ગુજરાતનો ખેડૂત ગરીબ થતો જઈ રહ્યો છે. સિંચાઈના પાણીથી લઈને દવા-ખાતર-બિયારણ અને પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવના કારણે તેનો નફો ઘટી ગયો છે. ખેડૂતોની આવક ત્રણ ઘણી તો નહીં પરંતુ અડધી જ રહી ગઈ હોય તેવી સ્થિતિ ઉદ્દભવી છે.
ગુજરાતમાં કેનાલોનુ નેટવર્ક સ્થાપવામાં સરકારે કાચું કાપ્યું છે. જો પૂરતા પ્રમાણમાં કેનાલો બનાવવામાં આવે તો રાજ્યમાં ખેડૂતોનો સિંચાઈના પાણીની સમસ્યા દૂર થઈ શકે છે. મહત્વપૂર્ણ બાબત તે છે કે, નર્મદાની મુખ્ય શાખા નહેર મોટાભાગે પૂર્ણ થઈ છે. તેથી ખેડૂતો સુધી પાણી પહોંચાડવાનું સરળ બની શકે છે. તો બીજી તરફ કેનાલ થકી પાણી પહોંચતા બોરવેલથી ખેચવામાં આવી રહેલા ભૂગર્ભ જળ ખત્મ થવાની સમસ્યા પણ દૂર થશે.
નર્મદાની મુખ્ય કેનાલનું કામ મોટા ભાગે પૂરું થયું છે, માત્ર 46.13 કિ.મી કેનાલ બનાવવાનું બાકી છે. પરંતુ, 1052 કિ.મી પ્રશાખા અને 4663 કિ.મી પ્રપ્રશાખા હજુ સુધી બનાવવામાં આવી નથી. કુલ 69829 કિ.મી નર્મદા કેનાલ બનાવવાનું નક્કી કરાયું છે પરંતુ, અત્યાર સુધી માત્ર 53908 કિ.મી કેનાલ જ બની શકી છે. હજુ 5921 કિ.મી કેનાલ બનાવવાનું બાકી છે. પરંતુ સરકારની આળસ અને કામચોરીના કારણે ખેડૂતો રાહ જોતા ઉભા રહ્યા છે.
આ પણ વાંચો- અમરેલી લેટરકાંડ મુદ્દે રાહુલ ગાંધીની હાજરીમાં જ કોંગ્રેેસનું બીજેપી સાથે ઇલું-ઇલું!
તેથી સરકાર નાની કેનાલોનું નેટવર્ક બનાવવામાં પોતાની નિયત સાફ રાખે તો ખેડૂતોનું જીવન ધોરણ ઉપર લાવી શકાય તેમ છે. પરંતુ સરકાર કેનાલો બનાવીને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવામાં નિરશ હોય તેવું લાગી રહ્યું છે. માત્ર ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરીને મજા લેતી હોય તેવું લાગી રહ્યુ છે. ગ્રાઉન્ડ લેવલે ઉતરીએ તો ખેડૂતોની કફોડી સ્થિતિ નરી આંખે દેખી શકાય છે.