
- જમીન માપણીમાં ભૂલ કરે સરકાર અને ભોગવે ખેડૂત; શું છે ખેડૂત જોગ સંદેશ
ખોટી જમીન માપણી સામે સતત લડત ચલાવતા ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા અને ગિરધરભાઈ વાઘેલા દ્વારા દરેક ખેડૂત જોગ સંદેશ આપ્યો છે. તે ઉપરાંત સરકાર સામે અનેક પ્રશ્ન પણ ઉભા કર્યા છે.
ગુજરાતમાં વર્ષ 2010-11 થી જમીન માપણીની કામગીરી હાથ ધરવામાં આવી 492 પાનાંનો મેન્યુઅલ(નિયમોની બુક) છે એમાં લખેલા તમામ નિયમો નેવે મુકાઈ ગયા ખાનગી કંપનીઓએ હવામાં જમીન માપણી કરી, સરકારી કર્મચારીઓ, અધિકારીઓએ સરકારમાં બેઠેલા રાજનેતાઓના દબાણમાં આ ખોટી જમીન માપણીને માન્યતા આપી દીધી
અધૂરી જીત
વર્ષ 2015-16 થી અમે(પાલભાઈ આંબલિયા અને ગિરધારભાઈ વાઘેલા) આ ખોટી જમીન માપણી સામે આધાર પુરાવાઓ સાથે લડતના મંડાણ કર્યા… જેમાં કોંગ્રેસ પક્ષ, ગુજરાતના તમામ જાહેર માધ્યમોએ સંપુર્ણ સાથ સહકાર અને ટેકો આપ્યો અંતે સરકાર ઝૂકી પણ ત્યારે તો 18047 ગામોમાંથી 12000 જેટલા ગામોને ભૂલ ભરેલી જમીન માપણી સાથે સરકારે માન્યતાની મહોર મારી દીધી હતી અમારી લડતના કારણે 6000 જેટલા ગામો આ ખોટી જમીન માપણીનો ભોગ બનતા બચી ગયા આ અમારી આપણી સૌની લડતની જીત હતી કે સરકારે રૂક જાઓનો આદેશ કરવા મજબુર બનવું પડ્યું પણ આ અધૂરી જીત હતી…. 6000 જેટલા ગામો બચી ગયા પણ 12000 ગામોના લાખો ખેડૂતો આ ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણીનો ભોગ બન્યા……
સરકારે કેબિનેટ મંત્રીઓની સમિતિ બનાવી અહેવાલ દાબી દીધો
જે 12000 જેટલા ગામોમાં પ્રમોલગેશન થઈ ગયું હતું તેના માટે અમે સતત સંઘર્ષ કરતા રહ્યા માહિતીસભર અમારા વિડિઓ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરતા રહ્યા સાથે સાથે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરી અને સરકારમાં પણ કાયદાકીય લડત કરતા રહ્યા આ લડતના કારણે જ સરકારે વર્ષ 2018માં 4 કેબિનેટ મંત્રીઓની સમિતિ બનાવી 2 ગામો(દ્વારકા નું સામોર ગામ અને જામનગરનું પીપર ગામ સેમ્પલ ટેસ્ટ માટે પસંદ કરી સરકારી સર્વેયરો દ્વારા આ બન્ને ગામની ફરીથી માપણી કરી ખાનગી કંપનીએ કરેલી માપણી સાથે સરખામણી કરી તો 100% ભૂલો છે તે સાબિત થયું સરકારે આ બન્ને ગામનો સેમ્પલ ટેસ્ટનો તૈયાર થયેલો અહેવાલ દાબી દીધો
મહેસુલ મંત્રીએ એકરાર કર્યો 2% નહિ પણ 20% ભૂલ છે
અમે ચૂપ બેસવાના નહોતા સરકારે ભૂલ સુધારણા અરજીના નામે ખેડૂતોને મૂર્ખ બનાવવા રસ્તો કાઢ્યો લગભગ 9 વખત ભૂલ સુધારણા અરજી કરવાની તારીખમાં મુદત વધારો કર્યો સરકારમાં બેઠેલા મહેસુલ મંત્રી 2017-18 માં કહેતા હતા કે માત્ર 2% જ ભૂલ છે એ જ મહેસુલ મંત્રી 2022 માં સ્વીકારવા મજબુર બન્યા કે 20% ભુલ છે આ પણ આપણી લડતની જીત હતી પણ આટલાથી આપણે સંતોષ માની જઈએ તો તો હજારો-લાખો ખેડૂતભાઈઓના ખેતરના નકશા, 7/12 ભૂલ ભરેલા રહી જાય
સરકારે માપણી સિટ નું તરકટ રચ્યું
સરકારે સામે લડવા અમે RTI નામના હથિયારનો સતત ઉપયોગ કરતા રહ્યા ક્યારેક સરકાર માહિતી આપે ક્યારેક ન આપે પણ અમારી RTI નો મારો સતત ચાલુ રહ્યો સરકાર ભૂલ સુધારણા અરજીના આધારે જે ખેડૂતના ખેતરમાં જઈ ભૂલ સુધરી ગઈ છે તેવા ગાંણા ગાતી હતી એની વાસ્તવિકતા જાણવા RTI કરી ભૂલ સુધારણા અરજીના આધારે માપણી થયા પછી તૈયાર કરવામાં આવતી માપણી સીટની અસર તપાસવા અમે પ્રયાસ કર્યો…. તો પરિણામ ભયંકર આવ્યું……
એક ખેતરમાં ભૂલ સુધારવા જતા બીજા 4થી 8 ખેતરમાં વધારાની ભૂલ થાય છે
માપણી સીટની ખરાઈ કરતા જોવા મળ્યું કે જે ખેતરમાં ભૂલ હતી એ સરકારે સુધારવા પ્રયત્ન કર્યો તો તેની આસપાસના (શેઢા પાડોશીઓ) બીજા 4 ખેતર થી લઇ 8 ખેતર ના નકશા એના 7/12 માં કાયદેસર અસર આવી બીજા 4 થી 8 ખેતરના નકશા બગડ્યા હવે એ 8 સુધારવા જાય તો બીજા 64 ખેતર બગડે છે
અમે ખોટા હોઈએ તો જેલમાં નાખો અથવા ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી સંપૂર્ણ રદ્દ કરો
આ વાત અમે પ્રોજેક્ટરની મદદથી ગુજરાતના જાહેર માધ્યમોના માધ્યમથી સરકાર સુધી પહોંચાડી એટલું જ નહિ સરકારને ચેલેન્જ સાથે કહ્યું કે જો અમે ખોટી માહિતી આપતા હોઈએ તો અમને જેલમાં નાખો અને જો અમારી વાત સાચી છે તો આ ખોટી અને ભૂલ ભરેલી જમીન માપણી રદ્દ કરો હજુ સુધી સરકાર અમને ખોટા સાબીત નથી કરી શકી કે જમીન માપણી રદ્દ કરવાની જાહેરાત પણ નથી કરી
દરેક અરજી કર્તાએ જિલ્લા મથકે એસ.એલ.આર. કચેરીના 5 થી 25 ધક્કા ખાધા છે
આવી પરિસ્થિતિમાં સાબિત તો થઈ જ ગયું છે કે જમીન માપણી ખોટી છે ભૂલ ભરેલી છે લાખો ખેડૂતોના ખેતરના દસ્તાવેજ ખોટા તૈયાર થયા છે અમે જાહેર કરેલા અમારા નમ્બર પર છેલ્લા 5 વર્ષમાં હજારો ખેડૂતોએ કોલ કર્યા છે અમે જવાબ પણ આપ્યા છે 5 લાખ 28 હજાર ખેડૂતોએ સરકારને અરજી કરી લેખિતમાં ફરિયાદ કરી છે કે અમારા ખેતરમાં જમીન માપણીની ભૂલ છે તેમાંથી સરકારે 4 લાખ 13 હજાર અરજીઓનો સાચો ખોટો નિકાલ કરી દીધો છે તે પૈકી 2 લાખ જેટલી અરજીઓ સરકારે દફતરે કરી દીધી છે મતલબ કોઈપણ પ્રક્રિયા કર્યા વગર અરજીને અભેરાઈએ ચડાવી દીધી છે આપણે અરજી કરીએ 5 – 25 વખત જિલ્લા મથકે ધક્કા ખાઈએ, લાગવગ કરવાના પ્રયત્ન કરીએ, રૂપિયાની ઓફરો કરીએ પણ પરિણામ શૂન્ય…. હારી થાકીને બેસી જઈએ….
મારો એક સવાલ આ બધું ક્યાં સુધી ચલાવી લઈશું ક્યાં સુધી ચૂપ બેસી રહીશું…..???
12000 ગામોના ખેડૂતોને, અરજી કરનાર 5 લાખ 28 હજાર ખેડૂતોને, 2 લાખ ખેડૂતો કે જેની અરજી સરકારે દફતરે કરી છે એ બધાને મારો સવાલ છે કે આ બધું ક્યાં સુધી ચલાવી લેશું…..???? ક્યાં સુધી પાલભાઈ આંબલિયા અને ગિરધરભાઈ વાઘેલા એકલા લડતા રહેશે…..?? અમારી પાસે સરકાર જવાબ ન આપી શકે તેવા મજબૂત આધાર પુરાવાઓ છે, સતત 7 વર્ષથી લડીએ છીએ થાક્યા નથી થાકવાના પણ નથી સતત લડત કરવાની તૈયારી છે પણ દુઃખ એ વાતનું છે કે જેના માટે લડીએ છીએ એ જ ખેડૂતો પોતાના જિલ્લા મથકે એકલા 25 ધક્કા ખાશે પણ જ્યારે લડત કરવા બોલાવીએ ત્યારે સામૂહિક લડતમાં જોડાશે નહિ
જો આમ થાય તો સરકાર હલી જાય, સરકારના પગ નીચેથી જમીન સરકી જાય વિચારો 12000 ગામોમાં ભૂલ ભરેલી અને ખોટી જમીન માપણી થઈ છે આ 12000 ગામોમાંથી માત્ર 10-10 ખેડૂતો એક સાથે એક જ દિવસે ગાંધીનગર પહોંચે તો…..?????
કદાચ એ ન થાય તો
5 લાખ 28 હજાર ભૂલ સુધારણા અરજી કરનાર દરેક ખેડૂત એક સાથે એક જ દિવસે ગાંધીનગર પહોંચે તો શું થાય….????? ચાલો માની લઈએ કે એ પણ શક્ય નથી
તો જે ખેડૂતોની અરજી દફતરે કરી દીધી છે એવા 2 લાખ જેટલા ખેડૂતો કે જેની અરજીમાં હવે કોઈ પ્રક્રિયા થવાની નથી કંઈ કર્યા વગર જ સરકારે અભેરાઈએ ચડાવી દીધી છે આ ખેડૂતો નિસાસો નાખીને ઘરે બેસી ગયા છે તેઓ એક સાથે એક જ દિવસે ગાંધીનગર પહોંચે તો…….?????? તો સરકાર હલી જાય…. સરકારની પગ નીચેથી જમીન સરકી જાય…..
ખેડૂત એકતાનો પરચો બતાવવા ક્યારે બહાર નિકળીશું…..??
સરકાર રાતોરાત ખોટી અને ભૂલ ભરેલી માપણી રદ્દ કરવા મજબુર બની જાય બસ જરૂર છે આવા દરેક ખેડૂતે જાગૃત થવાની….. આવા દરેક ખેડૂતોએ એક સામુહિક લડત કરવાની….. જરૂર છે ખેડૂતોની એકતાની તાકાત બતાવવાની…. શું ગુજરાતના ખેડૂતો લડત ન કરી શકે….??? શું ગુજરાતના ખેડૂતો એકસૂત્રતામાં બંધાઈ પોતાની માઁ સમાન જમીન બચાવવા પોતાના વ્યક્તિગત ઈગો, પોતાની વ્યક્તિગત કે રાજકિય વિચારધારાને કોરાણે મૂકી લડતના મેદાનમાં ન આવી શકે….??? ગુજરાતમાં 150 વધારે ખેડૂત સંગઠનો અને 500 થી વધારે ખેડૂત આગેવાનો છે તેમને પણ વિનંતી છે કે જમીન માપણીના પ્રશ્ને એક થઈ નેક થઈ લડત કરવા સૌએ સાથે મળી સહિયારી લડત કરવી જોઈએ.