
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં ફરી એકવાર નવો વિવાદ સર્જાયો છે. આ પહેલા VIP દર્શનને લઈ પણ વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે મંદિરના સેવક વિનોદ શિવશંકરે મંદિરના વર્તમાન મેનેજર જે.પી. દવેને પદ પરથી દૂર કરવાની માંગ સાથે ઠાસરા પ્રાંત કચેરીમાં રજૂઆત કરી છે.
સેવકે કરેલી અરજીમાં જણાવ્યાનુસાર છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી મેનેજર પદ સંભાળી રહેલા જે.પી. દવે મનસ્વી વહીવટ કરી રહ્યા છે અને મંદિરની પ્રાચીન પરંપરાઓનો છેદ ઉડાડી રહ્યા છે. ઉતરાયણના દિવસે રણછોડરાયના મંદિર તરફથી પાંચ ગાય અને વાછરડીઓનું દાન કરવાની વર્ષો જૂની પરંપરા તેમણે તોડી નાખી છે. ઉપરાંત, આ દિવસે ગાયોને કંસાર ખવડાવવાની પ્રથા પણ બંધ કરી દેવામાં આવી છે.
મંદિરના દરવાજે ઉપવાસ પર ઉતરવાની ચીમકી
સેવકે માત્ર પ્રાંત કચેરી, મુખ્યમંત્રી, યાત્રાધામ વિકાસ બોર્ડ, ડીજીપી અને ખેડા કલેક્ટર સહિતની વિવિધ કચેરીઓમાં પણ આ મુદ્દે અરજીઓ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે, જો મેનેજરને પદ પરથી દૂર કરવામાં નહીં આવે તો તેઓ મંદિરના દરવાજે આમરણાંત ઉપવાસ પર ઉતરશે. જો કે ડાકોરમાં ચાલતી વર્ષો જૂની પરંપરા તૂટતાં ભક્તોમાં પણ રોષ છે. ત્યારે સેવકે કરેલી રજૂઆતથી મામલો વધુ ગરમાય તેવી શક્તાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ કાર્તિક પટેલને કૌભાંડી સ્થળ ખ્યાતિ હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત સાથે લઈ જવાયો