
Kolkata Gang Rape Accused Arrest: કોલકાતાની લો(કાયદા)નો અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપના કેસે દેશભરમાં ચકચાર મચાવી દીધી છે. સીસીટીવી ફૂટેજમાં ગેંગરેપની પુષ્ટિ થઈ છે. કોલેજના સીસીટીવીમાં 25 જૂનના રોજ બપોરે 3:30 વાગ્યાથી રાત્રે 10:50 વાગ્યા સુધીના લગભગ 7 કલાકના ફૂટેજ છે.
એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે પીડિતાને બળજબરીથી ગાર્ડના રૂમમાં લઈ જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ વિદ્યાર્થીની લેખિત ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપોની પુષ્ટિ કરે છે. ઉલ્લેખનીય છે કે કોલકતામાં 10 મહિનામાં જ આ બીજી ઘટના હચમચાવી નાખતી ઘટના બની છે. આ અગાઉ હોસ્પિટલમાં મહિલા ડોક્ટર પર બળાત્કાર ગુજારી હત્યા કરી નાખવામાં આવી હતી.
કુલ 4 આરોપીની ધરપકડ
મળતી માહિતી અનુસાર કોલેજના ગાર્ડનની રૂમમાં બળાત્કાર ગુજાર્યો હતો, તે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 4 ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત આ કેસમાં પાંચ સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. આસિસ્ટન્ટ કમિશનર સ્તરના અધિકારી SITનું નેતૃત્વ કરી રહ્યા છે.
આ ઘટના 25 જૂનના રોજ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પરના ગાર્ડ રૂમમાં બની હતી. મુખ્ય આરોપી મનોજીત મિશ્રા (ઉ.વ. 31) છે. આ ઘટનામાં અન્ય આરોપીઓ પણ સામેલ છે, જૈબ અહેમદ (ઉ.વ. 19) અને પ્રમિત મુખર્જી (ઉ.વ. 20). મનોજીત કોલેજનો પૂર્વ વિદ્યાર્થી છે, જ્યારે જૈબ અને પ્રમિત હાલ કોલેજના વિદ્યાર્થીઓ છે.
મેડિકલ રિપોર્ટમાં પીડિતા પર બળાત્કાર થયો હોવાની પુષ્ટિ
મેડિકલ રિપોર્ટમાં પણ પીડિતા પર બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઈ છે. શનિવારે પીડિત વિદ્યાર્થીનીના મેડિકલ રિપોર્ટમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી. કોલકાતા નેશનલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પીડિતાના શરીર પર હુમલો, કરડવા અને નખુરિયા મારવાના નિશાન હતા. તે પણ પુષ્ટિ થઈ છે કે પિડિતાને માર મારવામાં પણ આવ્યો હતો.
પોલીસે 26 જૂને બે આરોપીઓની અને શુક્રવારે સવારે ત્રીજા આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે ત્રણેયને 1 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. શનિવારે લો કોલેજના ગાર્ડ પિનાકી બેનર્જી (55)ની પણ ધરપકડ કરવામાં આવી હતી.
TMC નેતાએ ઘટના બાદ શું કહ્યું કે વિવાદ થયો?
આ ઘટના અંગે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. બેનર્જીએ કહ્યું- જો કોઈ મિત્ર તેના મિત્ર પર બળાત્કાર કરે તો શું કરી શકાય?
TMC એ કલ્યાણ બેનર્જીના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યુંતૃણમૂલ કોંગ્રેસ (TMC) એ આ ઘટના પર સાંસદ કલ્યાણ બેનર્જીના વિવાદાસ્પદ નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે. બેનર્જીએ શુક્રવારે કહ્યું હતું કે- જો કોઈ મિત્ર તેના મિત્ર પર બળાત્કાર કરે તો શું કરી શકાય.
પાર્ટીએ પોસ્ટમાં લખ્યું છે કે, ‘સાંસદ કલ્યાણ બેનર્જીના નિવેદનો તેમના અંગત છે. આ પાર્ટીનું વલણ નથી. પાર્ટી મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા ધરાવે છે અને ગુનેગારોને કડકમાં કડક સજાની માંગ કરે છે.’
ગેંગરેપનો કેસ કેમ?
મુખ્ય પોલીસ ફરિયાદી સોરીન ઘોષાલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ, બળાત્કાર કરવામાં મદદ કરનારા તમામ વ્યક્તિઓને જવાબદાર ઠેરવવા જોઈએ. આ કેસમાં, બે અન્ય વ્યક્તિઓએ બળાત્કારમાં મદદ કરી હતી. તેથી, આ સામૂહિક બળાત્કારનો કેસ છે.
એક આરોપી તૃણમૂલ સાથે સંકળાયેલો: ભાજપ
ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર એક બંગાળી સમાચાર અહેવાલ શેર કર્યો અને લખ્યું, ‘આઘાતજનક ઘટના! કોલેજ કેમ્પસમાં કાયદાની એક મહિલા વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર થયો. આરોપીઓમાં એક પૂર્વ વિદ્યાર્થી અને બે કોલેજ સ્ટાફનો સમાવેશ થાય છે. તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલા એક વ્યક્તિ પણ આ કેસમાં સામેલ છે.’
બીજી તરફ, ટીએમસી વિદ્યાર્થી પાંખના વડા ત્રિંકુર ભટ્ટાચાર્યએ કહ્યું- અમે ક્યારેય કહ્યું નથી કે મનોજીત મિશ્રા ટીએમસી વિદ્યાર્થી પાંખ સાથે સંકળાયેલા નથી. તેઓ જુનિયર સભ્ય હતા. કોલેજમાં ટીએમસી વિદ્યાર્થી પાંખનું કોઈ સક્રિય એકમ નથી.
બંગાળ સરકારના મંત્રી શશી પંજાએ કહ્યું- અપરાજિતા બિલ (બળાત્કારના દોષિતો માટે મૃત્યુદંડ) પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પસાર થયું હતું. ભાજપે તેને અટકાવ્યું હોવાથી તે અત્યાર સુધી કાયદો બની શક્યું નથી. સ્ત્રીનું શરીર તમારા રાજકારણ માટે યુદ્ધનું મેદાન નથી. તેનું સન્માન કરવું જોઈએ.
કોલકાતામાં 10 મહિનામાં બીજી ઘટના
આ ઘટના બાદ કોલકાતા સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. બંગાળમાં 2 મહિનાથી વધુ સમયથી આરોગ્ય સેવાઓ ઠપ્પ હતી. કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ-હોસ્પિટલમાં 8 ઓગસ્ટ 2024 ના રોજ રાત્રે એક તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવાના દોષિત સંજય રોયને આજીવન કેદ (મૃત્યુ સુધી જેલ) અને 50 હજાર દંડની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે 18 જાન્યુઆરીએ સંજયને દોષિત ઠેરવ્યો હતો.