
અમદાવાદના એસ.જી. હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં તબીબી કેમ્પ દરમિયાન થયેલા બે દર્દીઓના મોતની દુ:ખદ ઘટના મામલે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી સહિત તમામની ધરપકડ કરી લીધી છે. મહેસાણાના બોરીસણામાં કેમ્પ યોજી દર્દીઓને હોસ્પિટલમાં લાવી ન જરુર હોવા છતાં સર્જરી કરી નાખતાં 2 દર્દીઓના મોત થયા હતા.
17 જેટલાં દર્દીઓના નિવેદન લીધા
ત્યારે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ મહેસાણાના કડી તાલુકામાં આવેલા બોરીસણા ગામે પહોંચી હતી. જ્યાં 17 જેટલાં દર્દીઓના નિવેદન લીધા છે. 17 દર્દીઓ ઉપરાંત અન્ય ગ્રામજનોના પણ નિવેદન લેવાયા છે. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સહિત અધિકારીઓ દ્વારા ખ્યાતિ કાંડની તપાસ હાથ ધરાઈ છે.
19 દર્દીઓની જરુરિયાત વગર એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ હતી
બોરીસણા ગામે હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ કરવામાં આવ્યા હતો. ત્યારબાદ ત્યાથી 19 દર્દીઓને લાવી જરુરિયાત વગર એન્જિયોપ્લાસ્ટી કરાઈ હતી. જેમાંથી આયુષ્માન કાર્ડ હેઠળ એન્જિયોપ્લાસ્ટી કરતાં બે દર્દીઓના મોત થયા હતા. ત્યાર બાદ ગામલોકો અને મૃતકોનાં સ્વજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. પોલીસ અને રાજ્યના આરોગ્ય વિભાગે આ મામલે ફરિયાદ અને તપાસના આદેશ આપ્યા હતા.
તપાસમાં હોસ્પિટલનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતુ. જેમાં આયુષ્માનનો ખોટી રીતે ઉપયોગ કરી સરકારને ચૂનો લગાવવામાં આવતો હતો. આયુષ્માન કાર્ડ થકી હોસ્પિટલે કરોડો રુપિયા કમાઈ લીધા હતા. ત્યારે હવે આ મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરાઈ છે. અને દર્દીઓ સહિત લોકોના નિવેદન લેવાનું શરુ કરાયું છે.