
અહેવાલઃ ઉમંગ રાવલ
અરવલ્લી જિલ્લાના જાણીતા યાત્રાધામ શામળાજીમાં એક ચોરીની ચકચારી ઘટના સામે આવી છે. શામળાજી બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાનગી કંપનીના ATM માં 5.50 લાખની ચોરી કરી 5 તસ્કરો કારમાં ફરાર થયા હતા. એટલું જ નહીં ચોરી કર્યા બાદ ATM માં આગ લગાડી દીધી હતી. આ ઘટના બાદ પોલીસ તંત્રએ તપાસ હાથ ધરી છે.
રાત્રિ દરમ્યાન કારમાં આવેલા પાંચ તસ્કરો ATM ના સીસીટીવી ઉપર સ્પ્રે મારી ગેસ કટરથી એટીએમ કાપી તેમાં રહેલા 5.50 લાખની રોકડ ચોરી કરી ફરાર થયા હતા. તસ્કરો લાખોની ચોરી કરી ATMને આગચંપી કરી હતી. ખાનગી કંપનીના ATMમાં કોઈ ચોકીદાર હાજર ન હોવાનું સામે આવ્યું હતું. પવિત્ર યાત્રાધામ શામળાજીમાં આવેલા બસ સ્ટેશન પાસે રાત્રે વૈભવી કારમાં હથિયારો સાથે આવેલા તસ્કરો ખાનગી ATM ને નિશાન બનાવ્યું હતું.
સીસીટીવીમાં સ્પ્રે માર્યો
આ ATMમાં ઘૂૂસી તસ્કરો સીસીટીવીમાં સ્પ્રે મારી ગેસ કટરથી ATM મશીન કાપીને તેમાં રહેલા 5.50 લાખ ચોરી કર્યા બાદ આગ લગાવી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જો કે ચોરી કરવા આવેલા આ 5 તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા. જેથી ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે એફએસએલની ટીમ બોલાવી વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી હતી. સેંકડો યાત્રાળુઓ શામળાજીમાં આવતા હોય ત્યારે લાખોની ચોરી બાદ સુરક્ષા સામે સવાલો ઉઠયા છે.