
ભારતના જાણીતા તબલાવાદક અને ગ્રેમી એવોર્ડ વિજેતા ઉસ્તાદ ઝાકિર હુસૈનનું નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા અને અમેરિકા રહેતા હતા.
તેમની તબિયત બગડવાથી સેન ફ્રાન્સિસ્કોના એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સોમવારની સવારે પીટીઆઈએ લખ્યું – કુટુંબે પુષ્ટિ કરી છે કે 73 વર્ષીય ઝાકિર હુસૈનનું સેન ફ્રાન્સિસ્કોના હોસ્પિટલમાં નિધન થયું છે.
સમાચાર એજન્સી એએનઆઈએ કુટુંબ દ્વારા જારી કરાયેલા નિવેદનને શેર કર્યું છે.
અમેરિકાના પબ્લિક બ્રોડકાસ્ટર નેશનલ પબ્લિક રેડિઓ (એનપીઆર)એ ઝાકિર હુસૈનના કુટુંબનું નિવેદન પ્રકાશિત કર્યું છે.
તે નિવેદનમાં લખ્યું છે, “એક શિક્ષક તરીકે તેમના કામે અસંખ્ય સંગીતકારો પર અવિસ્મરણિય છાપ છોડી છે. તેમણે નવી પેઢીને આગળ વધવા માટે પ્રેરણા આપી છે. તેઓ એક સાંસ્કૃતિક રાજદૂત અને મહાનતમ સંગીતકારોમાંના એક તરીકે અનોખો વારસો છોડી ગયા છે.”
ઉસ્તાદ ઝાકિર હુસૈનના નિધન પર શાસ્ત્રીય સંગીતકાર ઉસ્તાદ વસીફુદ્દીન દાગરે પીટીઆઈને જણાવ્યું, “ઝાકિરભાઇ આપણે સૌ માટે પ્રેરણાસ્ત્રોત હતા. પરવરદીગારે તેમને ખૂબ સારા હાથ આપ્યા હતા. આ એક અપૂર્ણીય ક્ષતિ છે. તેમના હુનરથી તેમણે કરોડો લોકોના દિલ જીત્યા.”
સંગીતની દુનિયામાં ઝાકિર હુસૈન ભારત જ નહીં પણ દુનિયાભરમાં જાણીતું નામ હતુ.
સંગીતના ઓસ્કર માનવામાં આવતા ગ્રેમી એવોર્ડ્સ માટે તેમને સાત વાર નોમિનેશન મળ્યું હતું. તેઓ કુલ ચાર વાર આ એવોર્ડ જીતી ચૂક્યા છે.
વર્ષ 2009માં તેમણે પહેલીવાર આ પુરસ્કાર જીત્યુ હતુ. તે વખતે તેમને આ પુરસ્કાર ‘ગ્લોબલ ડ્રમ પ્રોજેક્ટ’ માટે મળ્યો હતો. હુસૈને તેના માટે મિકી હાર્ટ અને જીઓવાનિ હિડાલ્ગો સાથે મળી કાર્ય કર્યું હતું. આ એવોર્ડ તેમને બેસ્ટ કન્ટેમ્પરરી વર્લ્ડ મ્યુઝિક એલ્બમ કેટેગરીમાં મળ્યો હતો.
તેના બાદ તેમને વર્ષ 2024માં 66મા ગ્રેમી એવોર્ડમાં ત્રણ ગ્રેમી એવોર્ડ્સ મળ્યા.
તેમને બેસ્ટ કન્ટેમ્પરરી ઇન્સ્ટ્રુમેન્ટલ એલ્બમ કેટેગરીમાં ‘એઝ વી સ્પીક’ માટે, બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક એલ્બમ કેટેગરીમાં ‘ધિસ મૂમેન્ટ’ માટે અને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં ‘પશ્તો’ માટે આ એવોર્ડ્સ મળ્યા.
રવિવારે સાંજે તેમની તબિયત ખરાબ હોવાની ખબર આવી. તેના બાદ અફવા ફેલાઈ કે તેમનું નિધન થયું છે. તેના પછી ઘણા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું.
તે પછી કુટુંબે મીડિયાને જણાવ્યું કે ઝાકિર હુસૈનની સ્થિતિ ગંભીર છે અને તેઓ આઈસીયુમાં દાખલ છે.