
- વડોદરાને પૂરના પાણીથી બચાવશે વિશ્વામિત્રી પ્રોજેક્ટ; મેયરે કર્યું ખાતમુર્હૂત
વડોદરાને વરસાદી પાણીમાં ડૂબતું બચાવવા માટે વડોદરા કોર્પોરેશને વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરી દીધી છે. આ યોજના હેઠળ વડાદરો નજીક આવેલા દેણા ગામ અને સૂર્ય નદીના કિનારે તળાવનું મેયર પિન્કી સોનીએ ખાતમુર્હૂત કરવામાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશને આપેલી માહિતી અનુસાર, આ તળાવ પાંચ હેક્ટર જમીનમાં બનાવવામાં આવશે. આ તળાવમાં 25 કરોડ લિટર પાણીનો સંગ્રહ કરી શકાશે. આ પાણીનો ઉપયોગ પીવા માટે પણ કરી શકાય તેનો પણ પ્લાન બનાવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે.
પાણીપુરવઠા વિભાગના અધિકારી ધાર્મિક દવેએ તળાવ વિશે માહિતી આપતા જણાવ્યું હતુ કે, પાછલા વર્ષે વિશ્વામિત્ર નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આ પૂરના પાણીના નિયંત્રણ માટે યંત્રમાન ઓટોમેટિક જીસીબી કંપનીના CSR ફંડ હેઠળ દેણા ગામ પાસે સૂર્યા નદીના કિનારે વડોદરા કોર્પોરેશનની માલિકીની 7 હેક્ટર જમીન પૈકી 5 હેક્ટર જમીનમાં બફર લેક બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે.
આજવા સરોવરમાંથી છોડવામાં આવતું પાણી સીધુ સૂર્યા નદીમાંથી આ બફર તળાવમાં આવે એવું આયોજન કરવામાં આવ્યું છે. જેસીબી કંપની દ્વારા હાલ 6 JCB મશીન, 4 પોકલેન્ડ અને 5 ડમ્પર આપવામાં આવ્યાં છે. આ સાધનો માટેનો ડીઝલનો ખર્ચ કોર્પોરેશન દ્વારા ઉપાડવામાં આવશે. આ કામગીરી આવનારા 100થી 125 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, એટલે કે આગામી ચોમાસા પહેલાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પડેલા ધોધમાર વરસાદના પગલે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આવું પૂર ફરીથી વડોદરામાં ન આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો-વિદેશ મંત્રાલય અધિકારીના ગંભીર આરોપ; કહ્યું- એસ જયશંકર સૌથી ભ્રષ્ટ, મંત્રાલયમાં થાય છે યૌન શોષણ